ચિત્તોડગઢઃ શનિવારે જશોદાબેને ચિત્તોડગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓ કિલ્લાના સમગ્ર પરિસરમાં ફર્યા હતા. તેમણે ચિત્તોડગઢ કિલ્લામાં મીરા મંદિરના દર્શન કર્યા હતા. તેઓ સંબંધી સાથે વ્યૂ પોઈન્ટ પર પણ ગયા હતા. જો કે આ બાબતની કોઈને જાણકારી ન હતી. તેમની આ મુલાકાત વિશે પોલીસ કે વહીવટી તંત્રને કોઈ આગોતરી જાણકારી અપાઈ નહતી. વ્યૂ પોઈન્ટ પર બીજા અનેક ગુજરાતી પર્યટકો પણ હતા. તેઓ જશોદાબેનને ઓળખી ગયા અને તેમનું અભિવાદન પણ કર્યું. જશોદાબેને પોતાના સંબંધીઓ સાથે વ્યૂ પોઈન્ટ પર ક્વાલિટી ટાઈમ વીતાવ્યો હતો.
જશોદાબેનની ચિત્તોડગઢ કિલ્લાની મુલાકાતની જાણ થતાં જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો. સુરક્ષા એજન્સીઓ પણ એકશન મોડમાં આવી ગઈ હતી. સૂત્રો અનુસાર ખાનગી એજન્સીએ સ્થાનિક ગાઈડને હાયર કર્યો હતો. આ ગાઈડને સુરક્ષા સંબંધી સૂચનાઓ અપાઈ હતી. આ ગાઈડ જશોદાબેનને વિજય સ્તંભ બતાવવા લઈ ગયો હતો. ત્યારબાદ તેને જશોદાબેનને જોહર સ્થળ પણ બતાવ્યું. જશોદાબેને જોહર સ્થળ જોયું અને તેના દર્શન પણ કર્યા.
જોહર સ્થળ બાદ જશોદાબેન ચિત્તોડગઢ કિલ્લા પરિસરમાં આવેલ મીરા મંદિરે ચાલતા ગયા હતા. તેમણે મીરા મંદિરમાં ધ્યાન કર્યુ અને થોડોક સમય વીતાવ્યો હતો. ચિત્તોડગઢના કિલ્લા બાદ જશોદાબેનને પદ્મિની પેલેસ લઈ જવાયા. તેમણે અન્ય સ્થળો પર જવાનું હોવાથી પદ્મિની પેલેસ માત્ર બહાર થી જ જોયો. ત્યારબાદ તેઓ સીધા કીર્તિ સ્તંભ ગયા હતા. તેમણે અનેક સ્થળો જોયા બાદ ત્યાંથી તેઓ રવાના થયા હતા. તેમના આ પ્રવાસને લઈને પોલીસ તેમજ વહીવટી તંત્ર તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી.