ભારત પાકિસ્તાન 1971ના યુધ્ધમાં વીરતાપૂર્વક લડીને શહીદ થયેલા મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા ગામના વનરાજસિંહ હાલુભા ઝાલાને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે આજે કોયબા ગામમાં શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અખીલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશ અને સમસ્ત કોયબા ગામ દ્વારા શહીદ વનરાજસિંહ ઝાલાની શહાદતના 50 વર્ષ પૂર્ણ થતા આજે શહીદ યાત્રા યોજવામાં આવી હતી. જે યાત્રા સમગ્ર ગામમાં ફરી હતી જેમાં સમસ્ત ગ્રામજનો ઉપરાંત પ્રધાન કિર્તીસિંહ વાઘેલા, ધારાસભ્ય પરષોતમ સાબરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદના અગ્રણીઓ જોડાયા હતા.