ગુજરાત

gujarat

દમણગંગા નદીમાં આવ્યું મધુબન ડેમનું 1.79 લાખ ક્યુસેક પાણી, કાંઠા વિસ્તારના 7 ગામમાં એલર્ટ

By

Published : Sep 23, 2021, 12:59 PM IST

દમણગંગા નદીમાં આવ્યું મધુબન ડેમનું 1.79 લાખ ક્યુસેક પાણી, કાંઠા વિસ્તારના 7 ગામમાં એલર્ટ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલા મધુબન ડેમ અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા કુર્ઝે ડેમમાંથી ભારે વરસાદને કારણે પાણી છોડાયુ છે. મધુબન ડેમમાંથી 1.79 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. જ્યારે કુર્ઝે ડેમનું પાણી સંજાણ નજીક વારોલી નદીમાં 2600થી વધુ ક્યુસેક પાણી છોડાયું છે. જેને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ ઉમરગામ તાલુકામાં 10 અને વાપી તાલુકાના ત્રણ જેટલા ગામમાં એલર્ટ આપી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

  • મધુબન ડેમમાંથી છોડાયું 1.79 લાખ ક્યુસેક પાણી
  • ડેમના 10 દરવાજા 3.20 મીટર ખોલ્યા
  • દમણગંગા નદીમાં આવ્યું ઘોડાપૂર

વાપી (વલસાડ): જિલ્લાના સૌથી મોટા ડેમ ગણાતા મધુબન ડેમના ઉપરવાસમાં બુધવારે ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ડેમમાં 1.92 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે મધુબન ડેમનું વોર્નિંગ લેવલ 79.86 મીટર સામે હાલનું લેવલ 79.55 મીટર પર હોય ડેમના તમામ 10 દરવાજા 3.20 મીટર સુધી ખોલીને દમણગંગા નદીમાં 1.79 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે તંત્રના જણાવ્યા મુજબ જો હજુ પણ વરસાદ શરૂ રહેશે તો સાંજના 4 વાગ્યા સુધીમાં કે તે બાદ 2 લાખ ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે.

પોણા 2 લાખ ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં ઠલવાયું

પોણા 2 લાખ ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં ઠલવાઇ રહ્યું હોય વાપી નજીક દમણગંગા વિયર છલકાયો છે. અહીં દરિયામાં ઉછળતા મોજાથી પણ વધુ ઊંચા મોજા સાથે ધોધમાર પાણી દમણના દરિયામાં વહી રહ્યું છે. જો કે કરોડો લીટર પાણીનું પૂર વહેતુ હોવા છતાં નદી કાંઠે સ્થાનિક યુવાનો માછલાં પકડવામાં મશગુલ છે. જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય બ્રાહ્મણો નદી કાંઠે પૂરના ઉછળતા પાણીના સાનિધ્યમાં પિતૃ તર્પણ કરી રહ્યા છે.

દમણગંગા નદીમાં આવ્યું મધુબન ડેમનું 1.79 લાખ ક્યુસેક પાણી, કાંઠા વિસ્તારના 7 ગામમાં એલર્ટ

આ પણ વાંચો:રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદથી જળાશયોમાં કુલ 36.2 ટકા નવા નીર આવ્યા

કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા

ભારે પાણીની આવક દમણગંગા નદીમાં આવતી હોય વલસાડ વહીવટીતંત્ર અને દાદરા નગર હવેલી વહીવટીતંત્રએ લોકોને નદી કાંઠાથી દૂર રહેવા સૂચના આપી છે. તો, દમણગંગા નદી કાંઠા વિસ્તારમાં ઉમરગામ તાલુકાના અચ્છારી, વલવાડા, બોરીગામ, મોહનગામ, કરમબેલા સહિતના ગામોમાં લોકોને સાવચેત રહેવા એલર્ટ અપાયું છે. જ્યારે વાપી તાલુકાના લવાછા, ચણોદ, ડુંગરા, નામધા, ચંડોર ગામના લોકોનો પણ સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

આ પણ વાંચો:રાજકોટમાં અડધા કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ, રસ્તાઓ થયાં પાણી પાણી

કુર્ઝે ડેમ માંથી પણ છોડાયું 2600 ક્યુસેક પાણી

મધુબન ડેમની જેમ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના કુર્ઝે ડેમ માંથી પણ અંદાજિત 2600 ક્યુસેક પાણી વારોલી નદીમાં છોડવામાં આવ્યુ છે. વારોલી નદી ઉમરગામના સંજાણ, હુમરણ, ટીમ્ભી, ભાઠી કરમબેલી ગામ કાંઠા વિસ્તારના ગામો હોય એ ગામોમાં પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details