ગુજરાત

gujarat

આર્ય કન્યા ગુરુકુળની વિદ્યાર્થીનીઓએ રક્ષાબંધનના દિવસે યજ્ઞોપવિત અને વેદારંભ સંસ્કાર લીધા

By

Published : Aug 22, 2021, 4:24 PM IST

આર્ય કન્યા ગુરુકુળની વિદ્યાર્થીનીઓએ રક્ષાબંધનના દિવસે યજ્ઞોપવિત અને વેદારંભ સંસ્કાર લીધા

દેશ ભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, આ શ્રાવણી પૂનમના દિવસને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે રવિવારે પોરબંદરની આર્ય કન્યા ગુરુકુળ સંસ્થામાં માં વૈદિક મંત્રોચ્ચાર દ્વારા 150 જેટલી વિદ્યાર્થીનીઓએ મંત્રોચ્ચાર સાથે નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી.

  • આર્ય કન્યા ગુરુકુળ ખાતે દિકરીઓમાં કરવામાં આવે છે સંસ્કાર સિંચન
  • ધોરણ 5થી કોલેજ સુધીની દીકરીઓએ ધારણ કર્યા યજ્ઞોપવિત સંસ્કાર
  • 150 જેટલી દીકરીઓને જનોઈ ધારણ કરી

પોરબંદર :શ્રાવણી પૂનમે રક્ષાબંધનના દિવસની સાથે નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે બ્રાહ્મણો નવી યજ્ઞોપવિત ધારણ કરે છે. સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે પુરુષો યજ્ઞોપવીત ધારણ કરે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખતી શહેરમાં આવેલી આર્ય કન્યા ગુરુકુળ સંસ્થામાં વૈદિક મંત્રોચ્ચાર દ્વારા દર વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર ગ્રહણ કરે છે.

આ પણ વાંચો:જૂનાગઢમાં પૂજન બાદ બ્રાહ્મણોએ ધારણ કરી નવી જનોઇ

તમામ દીકરીઓએ જનોઈ ધારણ કરી

પોરબંદરમાં રાજરત્ન શ્રેષ્ઠી નાનજી કાલિદાસ મહેતા આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત આર્ય કન્યા ગુરુકુળ છેલ્લા 83 વર્ષથી દિકરીઓમાં સંસ્કારનું સિંચન કરી રહી છે. કન્યા કેળવણી ક્ષેત્રે દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત આ સંસ્થામાં દીકરીઓને યજ્ઞોપવિત તથા વેદારંભ સંસ્કાર આપવામાં આવે છે, તે મુજબ આજે રક્ષાબંધનના પાવન દિવસે સંસ્થામાં રહી અભ્યાસ કરતી ધોરણ 5થી કોલેજ સુધીની 150 જેટલી દીકરીઓને વૈદિક મંત્રોચાર સાથે યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા હતા. આ બાદ તમામ દીકરીઓએ જનોઈ ધારણ કરી હતી.

આ પણ વાંચો:શ્રાવણી પૂર્ણિમાએ SGVP ગુરુકુળ ખાતે ઋષિકુમારોએ નવી યજ્ઞોપવિત ધારણ કરી

પરંપરા નાનજી કાલિદાસ મહેતાએ શરૂ કરી

યજ્ઞોપવિત સંસ્કારના કાર્યક્રમમાં શાળાના આચાર્યા ડૉ. રંજના મજીઠીયાએ દીકરીઓને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા હતા. આર્ય કન્યા ગુરુકુળમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના દરેક દીકરીઓને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવે છે અને દરેક દીકરીઓ જનોઈ ધારણ કરે છે. આ પરંપરા સંસ્થાના સ્થાપક નાનજી કાલિદાસ મહેતા દ્વારા શરૂ કરવામાં આવી હતી. પૂજ્ય સવિતાદીદી દ્વારા કાર્યરત રાખવામાં આવેલી પરંપરા આજ દિવસ સુધી જાળવવામાં આવી છે. આ પ્રસંગે આર્ય કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી મેધાવિની મહેતા, જય મહેતા, જુહી મહેતા તથા સમગ્ર મહેતા પરિવાર તેમજ સંસ્થાના સુરેશ કોઠારી, ડૉ.અનુપમ આર.નાગર સહિતના લોકોએ યજ્ઞોપવિત ધારણ કરનાર દીકરીઓને શુભેચ્છા પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details