ગુજરાત

gujarat

DNH લોકસભાની પેટા ચૂંટણી બાબતે શિવસેનાના કાર્યકર્તાની ધરપકડ, સંજય રાઉત સહિતના નેતાઓની સેન્ટ્રલ ઓબ્ઝર્વર સમક્ષ રજૂઆત

By

Published : Oct 27, 2021, 10:49 AM IST

દાદરા નગરહવેલીમાં લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તંત્રના આદેશ અનુસાર, અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે હાલમાં જ શિવસેનાના પ્રમુખ કાર્યકર્તા સુમન પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તંત્રએ કોઈના ઈશારે આ જોહુકમી કરી હોવાના આક્ષેપ સાથે શિવસેના તરફથી સંજય રાઉત અને અભિનવ ડેલકર સહિતના કાર્યકર્તાઓએ સેન્ટ્રલ ઓબ્ઝર્વર સમક્ષ રજૂઆત કરી હતી.

  • શિવસેનાના કાર્યકર સામે કાર્યવાહી
  • શિવસેનાએ સેન્ટ્રલ ઓબ્ઝર્વર સમક્ષ રજૂઆત કરી
  • તંત્ર પર પોલિટિકલ પ્રેશર છે: સંજય રાઉત

સેલવાસઃ દાદરા નગરહવેલીના ડોકમરડી ગામમાં શિવસેના કાર્યકર્તાના વિસ્તારમાં જઈ બાલદેવી ગામના ભાજપના કાર્યકરે ચૂંટણી પ્રચાર બાબતે બોલાચાલી કરી હતી. આ ઘટનામાં શિવસેનાના કાર્યકર્તા અને સેલવાસ નગરપાલિકાના વિપક્ષના નેતા, 4 ટર્મના કાઉન્સર સુમન પટેલ સમક્ષ અને ભાજપના કાર્યકર સમક્ષ પોલીસે કડક વલણ અપનાવી કલમ 151 અને 107 લગાવી જેલમાં બેસાડી દીધા છે.

આ પણ વાંચો-Shivsena અને Congress લોકોને ગુમરાહ કરી રહ્યા છે. ડ્રગ્સ મામલે NCB એ યોગ્ય તપાસ કરવી જોઈએ: Rupala

સેન્ટ્રલ ઓબ્ઝર્વરને વીડિઓ, પૂરાવા આપ્યા

આ મામલે મંગળવારે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત, શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરના પુત્ર અભિનવ ડેલકર, ચૂંટણી પ્રભારી કૌશિલ શાહે સચિવાલય ખાતે સેન્ટ્રલ ઓબ્ઝર્વર સાથે રૂબરૂ મળી ખરી હકીકતથી વાકેફ કરી ખોટી રીતે તેમના કાર્યકર સુમન પટેલ સામે કાર્યવાહી થઈ હોવાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચો-સંઘપ્રદેશમાં સુરક્ષિત રહેવું હોય તો નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરો: સી.આર.પાટીલ

તંત્ર પર સત્તાનો ઓવરડોઝ છે

શિવસેના પ્રવક્તા સંજય રાઉતે આ અંગે જણાવ્યું હતું કે, શિવસેનાના ઉમેદવાર ચૂંટણી જીતી રહ્યા છે. એટલે પ્રશાસન પર રાજકીય દબાણ વધ્યું છે. અમે અમારા કાર્યકર્તાઓને પહેલાથી જ કહી રાખ્યું છે કે, આ ચૂંટણી જીતવી છે. એટલે સંયમથી કામ કરી રહ્યા છે, પરંતુ સામેવાળા માહોલ બગાડી રહ્યા છે. તંત્ર પર સત્તાનો ઓવરડોઝ છે. એટલે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. નીચેના અધિકારીઓ સતત દબાણમાં રહે છે. આવા દબાણમાં જ મોહન ડેલકરે જીવ ગુમાવવો પડ્યો હતો.

મોહન ડેલકરની ચૂંટણી વખતે હતી તેવી જ પરિસ્થિતિ ફરી નિર્માણ થઈ છે

મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે જણાવ્યું હતું કે, જે પરિસ્થિતિ તેમના મોહન ડેલકરની ચૂંટણી વખતે હતી. તેવી જ પરિસ્થિતિ ફરી નિર્માણ થઈ છે. આ ચૂંટણી નિષ્પક્ષ શાંતિપૂર્ણ સંપન્ન થાય તેવું શિવસેના ઈચ્છે છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છીએ ત્યારે ભય કોણ ફેલાવે છે તે સામે છે. જો 4 ટર્મના કાઉન્સિલર સામે કાર્યવાહી થઈ શકતી હોય તો સામાન્ય લોકો સાથે કેવો વ્યવહાર તંત્ર તરફથી કરવામાં આવતો હશે?

અધિકારીઓ રજૂઆત સાંભળી કોઈ સાથે ફોન પર એક એક વિગત આપે છે

તો શિવસેનાના ચૂંટણી પ્રભારી કૌશિલ શાહે આક્રોશ ઠાલવ્યો હતો કે, અમને પહેલાથી જ ઈનપુટ મળ્યા હતા કે, તંત્ર આ પ્રકારના કેસ કરશે એટલે દરેક કાર્યકરને સંયમ રાખવા જણાવ્યું હતું અને કાર્યકર્તાઓએ સંયમ રાખ્યો છે. તેમ છતાં ખોટા કેસમાં ફિટ કરી દીધા છે. આ અંગે રજૂઆત કરવા આવ્યા તો, અધિકારીઓ અમારી રજૂઆત સાંભળી કોઈ સાથે ફોન પર એક એક વિગત આપે છે. ફોન કોને કરે છે તે ખબર નથી, પરંતુ આ ચૂંટણી શિવસેનાના કલાબેન મોટા માર્જિનથી જીતે છે.

પ્રશાસક માટે આ ચૂંટણીમાં છબી સુધારવાની તક છે

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે શિવસેનાના કાર્યકર્તા અને ભાજપના કાર્યકર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વીડિઓ એવીડન્સ શિવસેનાએ સેન્ટ્રલ ઓબ્ઝર્વર સમક્ષ રજૂ કર્યો છે. અને આ ચુંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અભિનવ ડેલકરે આક્રોશ ઠાલવ્યો હતો કે ગત ચૂંટણીમાં ભૂલ કરનારા પ્રશાસક માટે આ ચૂંટણીમાં છબી સુધારવાની તક છે.

ABOUT THE AUTHOR

...view details