ગુજરાત

gujarat

નડીયાદની વિધી સરક્રીક બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને બાંધશે રાખડી

By

Published : Aug 12, 2021, 3:36 PM IST

નડીયાદની વિધી સરક્રીક બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને બાંધશે રાખડી

દેશના શહીદ પરિવારોને રૂબરૂ મળી તેમને સાંત્વના પાઠવી આર્થિક મદદરૂપ બનવાની સેવાકીય પ્રવૃત્તિ કરતી નડીયાદની વિદ્યાર્થીની વિધિ જાદવને રક્ષાબંધન પર્વ પર સરહદના છેલ્લા પિલ્લર સુધી જઈને જવામર્દ સિપાહીઓને રાખડી બાંધવાની પરવાનગી આપવામાં આવી છે.

  • નડિયાદની દિકરી ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ઉજવશે રક્ષાબંધન
  • વિધિ જાદવ 21 અને 22 ઓગસ્ટના રોજ કચ્છ સરહદે 2 દિવસ રોકાશે
  • વિધિએ 295 શહિદ સૈનિકના પરિવારોને કરી આર્થિક મદદ

નડીયાદ: દેશની સરહદો જ્યાંથી ખૂબ આઘેરી છે એવા મધ્ય ગુજરાતના નડિયાદની દીકરી છે વિધિ જાદવ સ્વભાવની સાવ સીધી અને માયાળુ 19 વર્ષિય વિદ્યાર્થીની વિધિ જાદવે અત્યાર સુધીમાં સેંકડો સૈનિક પરિવારોની મુલાકાત લીધી છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે. વિધીનો પોતાનો પરિવાર કંઈ માલેતુજાર નથી. મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો એનો પરિવાર છે. પરંતુ ઘણીવાર કોઈ દાતા ના મળે તો આ પરિવાર પોતે આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃતિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી કરતો.

નડીયાદની વિધી સરક્રીક બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને બાંધશે રાખડી

વિધિને રક્ષાબંધને સરહદના છેલ્લા પિલર સુધી જવાની મળી પરવાનગી

વિધિએ રાખડી પૂનમના પર્વે દેશની સીમાઓ પર ઘરબાર અને બહેનની મમતાનો મોહ ત્યાગીને અવિરત અને અઘરી ફરજો બજાવતા સૈનિકો સુધી રાખડીઓ લઈને પહોંચવાનું અને તેમની સાથે રક્ષાબંધન મનાવવાનું નક્કી કર્યું છે. તેની સૈનિક સમ્માન પ્રવૃત્તિઓનો ઉજળો રેકોર્ડ જોઈને શિસ્તબદ્ધ સેનાધિકારીઓએ તેને સરહદના છેલ્લા પિલર સુધી જઈને પાકિસ્તાની ચોકીઓ જ્યાંથી નરી આંખે દેખાતી હોય એવી સુરક્ષા ચોકીએ પહોંચીને સૈનિકોને રાખડી બાંધવાની વિશેષ મંજૂરી આપી છે.

નડીયાદની વિધી સરક્રીક બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને બાંધશે રાખડી

વિધિને બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા તમામ મંજૂરી આપવામાં આવી

વિધિ જાદવ 21 અને 22 ઓગસ્ટના રોજ કચ્છ સરહદે આવેલી ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર (સરક્રીક વિસ્તાર) પર ફરજ બજાવતા ભારતીય સેનાના જવાનો સાથે ભાઈ બહેનના પવિત્ર એવા રક્ષાબંધનનું પર્વ મનાવશે. 21 ઓગસ્ટના રોજ વીઘાકોટ બોર્ડરે જવાનોને રાખી બાંધી વીઘાકોટ કિલ્લાની મુલાકાત લઈ જવાનો સાથે દિવસ વિતાવશે. ત્યાર બાદ 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધની યાદગીરીમાં BSFના વોર મેમોરિયલની મુલાકાત લઈ ત્યાં પણ જવાનોને રાખડી બાંધશે. 22 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે આપણા દેશની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના સૌથી છેલ્લા પિલ્લરની મુલાકાત લેશે. આ વિસ્તાર કાદવ કીચડ વાળો છે, જ્યાં આર્મીના ખાસ વાહન દ્વારા જ જઈ શકાય છે. આ સ્થળે નાગરિકોને જવા માટે પરવાનગી મળતી નથી. જેથી આ વિસ્તારમાં જવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યાં આપણાં જવાનોને રાખડી બાંધશે. ત્યારબાદ લખપત પાસે આવેલી ગુનેરી બોર્ડર પોસ્ટ ખાતેના જવાનોને રાખડી બાંધશે. આ કામે વિધિને બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા તમામ મંજૂરી આપવામાં આવી છે, જ્યાં 2 દિવસ રોકાશે અને આપણા દેશના સૈનિકો સાથે રક્ષાબંધન પર્વ મનાવશે.

નડીયાદની વિધી સરક્રીક બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને બાંધશે રાખડી

વિધિએ 295 શહિદ સૈનિકના પરિવારોને આર્થિક મદદ કરી

વિધિ દેશમાં કોઈપણ સૈનિક શહીદ થાય ત્યારે તેના પરિવારને આશ્વાસન પત્ર લખી રુપિયા 5 હજાર મોકલી આપે છે. અત્યાર સુધી આવા 295 શહીદ સૈનિકોના પરિવારને વિધિએ રૂ.5000 હજાર અને પત્રો લખી મોકલ્યા છે.

જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલામાં શહીદ થયેલ 40 જવાનોના તમામ પરિવારને પત્ર લખી, દરેક પરિવારને રૂપિયા 11 હજાર મોકલી તેઓ સાથે ટેલીફોનીક સંપર્ક કરી વાતચીત કરી છે. આમ કુલ 295 શહીદ સૈનિકના પરિવારોને આર્થિક મદદ કરી છે. તેમજ આ તમામ શહીદ પરિવાર સાથે રોજે રોજ ફોન કે વોટ્સએપ દ્વારા વાતચીત કરી તેમના ખબર અંતર પૂછે છે. તેમના નાના બાળકો સાથે પણ વાતચીત કરે છે. આ શહીદ પરિવારો પૈકી તેણે 112 થી વધુ પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી છે. ઉરી ખાતે થયેલા હુમલાના તમામ શહીદ પરિવારોની વિધિ જાદવ રૂબરૂ મુલાકાત લઈ ચુકી છે. આ શહિદ પરિવારોમાંથી 10 શહિદ પરિવારોએ તેના નડિયાદના ઘરની મુલાકાત પણ લીધી છે.

નડીયાદની વિધી સરક્રીક બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને બાંધશે રાખડી

10 શહીદોની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં હાજરી અને 4 બોર્ડરની મુલાકાત

વિધિએ અત્યાર સુધીમાં જુદા જુદા રાજયોમાં 10 શહીદોની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી છે. વિધિ અત્યાર સુધી ગુજરાત-રાજસ્થાનની કુલ-4 બોર્ડરોની મુલાકાત તહેવારો દરમિયાન લઈ ચુકી છે.

નડીયાદની વિધી સરક્રીક બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને બાંધશે રાખડી

વિદ્યાર્થીઓને પણ થાય છે મદદરૂપ

પરા વિસ્તારની 70 શાળાઓની મુલાકાત લઈ તમામ વિધાર્થીઓને સ્ટેશનરી, પાઉચ, સાબુ, ચોકલેટનું વિતરણ કર્યું છે અને આવી શાળાઓમાંથી 45 જેટલા વિધાર્થીઓ કે જેને પોતાના માતા-પિતા ગુમાવ્યા છે અને અતિ ગરીબ છે. તેઓને દર દિવાળી નવરાત્રીમાં અનાજની કિટ સાથે દર વર્ષે રૂપિયા 1 હજાર આપે છે. વિધિએ વર્ષ 2018માં વિશ્વ શાંતિ દિવસેે યુનાઈટેડ નેશન્સ સહિત વિશ્વના 52 દેશોના રાષ્ટ્રપતિ વડાપ્રધાનને વિશ્વમાં શાંતિ રાખવા અંગેના પત્રો મોકલ્યા હતા. જેના અનુસંધાને વિવિધ રાષ્ટ્રોએ વિધિને અભિનંદન પત્રો મોકલ્યા છે. વિધિએ કોવિડ-19 મહામારીમાં CM ફંડમાં રૂપિયા 51 હજારનો ચેક ખેડા કલેકટરને ગત વર્ષે અર્પણ કર્યો હતો.

તાજેતરમાં મુખ્યપ્રધાને કર્યુ સન્મા

વિધિના આ સૈનિક સેવા અભિયાનની જાણકારી મળતા તાજેતરમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સહૃદયતા સાથે વિધિને ગાંધીનગર બોલાવીને સૌજન્ય મુલાકાતમાં તેની પ્રવૃતિઓની વિગતવાર જાણકારી મેળવી, રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિની તેની આ અનોખી પ્રવૃત્તિને પ્રેરક ગણાવી, તેનું સન્માન કર્યું હતું. અગાઉ મુખ્યપ્રધાને વિધિ જાદવને રાજ્ય યુથ એવોર્ડથી પણ નવાજી છે.

નડીયાદની વિધી સરક્રીક બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને બાંધશે રાખડી

આ પણ વાંચો:Independence Day પૂર્વે કચ્છની બોર્ડર પર Alert

દુનિયામાં પોતાના હોય તેના પ્રત્યે આદર, લાગણી અને સંવેદના તો સૌને હોય, પરંતુ જેમની સાથે કોઈ લેવા-દેવા ન હોય તેમ છતાં તેમના હિત અને કલ્યાણ માટે પ્રયત્નશીલ હોય તેવા માનવો જ માનવ ગરિમાનું સાચું માધ્યમ બનતા હોય છે. નડિયાદની આ દિકરીને સો સો સલામ...

ABOUT THE AUTHOR

...view details