Lilavati Pharmacy Store : અમદાવાદમાં દેશનો પ્રથમ લીલાવતી ફાર્મસી સ્ટોર શરુ, ફાર્મસીમાં જ ડોક્ટર કન્સલ્ટ કરી શકશે
અમદાવાદમાં દેશનો પ્રથમ લીલાવતી ફાર્મસી સ્ટોર શરુ કરવામાં આવ્યો છે. મુંબઈમાં સ્થિત લીલાવતી કિર્તીલાલ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત લીલાવતી હોસ્પિટલ દ્વારા દેશમાં 500 લીલાવતી ફાર્મસી સ્ટોર ખોલવામાં આવશે. ત્યાં આવતા ગ્રાહકોને સર્જીકલ તપાસ તથા તબીબી સાધનો ઉપલબ્ધ હશે. દર્દીઓ ફાર્મસીમાં જ ડોક્ટર કન્સલ્ટ કરી શકશે અને યોગ્ય સારવાર મેળવી શકે છે.
Published : September 25, 2023 at 7:15 PM IST
અમદાવાદ : આગામી સમયમાં ગાંધીનગર ગિફ્ટ સિટીમાં અંદાજે 350 કરોડના ખર્ચે નામાંકિત લીલાવતી હોસ્પિટલ તૈયાર થઈ રહી છે. ઉપરાંત લીલાવતી હોસ્પિટલ તેમજ લીલાવતી ફાર્મસી દ્વારા દેશમાં આગામી 5 વર્ષમાં 500 જેટલા સ્ટોર શરુ કરવાની તૈયારી દર્શાવી છે. જેના ભાગરૂપે લીલાવતી મહેતા પરિવાર દ્વારા દેશનો પ્રથમ લીલાવતી ફાર્મસી સ્ટોર અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આગામી સમયમાં અન્ય શહેરમાં પણ લીલાવતી ફાર્મસી સ્ટોર શરુ કરવામાં આવશે.
લીલાવતી હોસ્પિટલ : આ અંગે લીલાવતી હોસ્પિટલ ડાયરેક્ટર પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે, લીલાવતી ફાર્મસી આગામી 5 વર્ષમાં દેશભરમાં 500 નવા સ્ટોર સ્થાપવા તૈયાર છે. જેમાં વિશ્વભરની આરોગ્ય સુવિધા ઊભી કરવામાં આવશે, જ્યાં દરેક વ્યક્તિ સરળતાથી પહોંચી નિષ્ણાંત પાસે ઉત્તમ સારવાર મેળવી શકે છે. 25 વર્ષ પહેલા મુંબઈમાં સુપર સ્પેશિયાલિસ્ટ લીલાવતી હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ હવે ગાંધીનગરમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ લીલાવતી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે.
લીલાવતી ફાર્મસી સ્ટોર :લીલાવતી ફાર્મસી સ્ટોરમાં એક મીની હોસ્પિટલ જેવી તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. જેમાં દવા સાથે સર્જીકલ તથા તબીબી સાધનો ઉપલબ્ધ હશે. દર્દીઓ ફાર્મસીમાં જ ડોક્ટર કન્સલ્ટ કરી યોગ્ય સારવાર મેળવી શકશે. અમદાવાદમાં દેશનો પ્રથમ સ્ટોર શરુ કરવામાં આવ્યો છે. હવે આગામી 5 વર્ષની અંદર દેશભરમાં 500 જેટલા ફાર્મસી સ્ટોર સ્થાપિત કરવામાં આવશે. અમદાવાદ બાદ હવે દેશના અલગ અલગ શહેરમાં આરોગ્ય સુવિધાનો વિકાસ જોવા મળશે.
હવે ગુજરાતમાં લીલાવતી હોસ્પિટલ : ગાંધીનગર ગિફ્ટ સિટીમાં લીલાવતી કિર્તીલાલ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત લીલાવતી હોસ્પિટલ અંદાજે 350 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહી છે. જેના કારણે અમદાવાદ અને ગાંધીનગર શહેરની આસપાસના લોકોને ખૂબ જ મોટો ફાયદો થશે. આ 13 માળ ધરાવતી હોસ્પિટલમાં A અને B વિંગ હોસ્પિટલ હશે. જેમાં 3 બેઝમેન્ટ પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવશે. હાલમાં હોસ્પિટલના પાયાનું ખોદકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા : ગુજરાતના અનેક દર્દીઓ સારવાર માટે મુંબઈ લીલાવતી હોસ્પિટલમાં પહોંચતા હોય છે. આ દર્દીઓને હવે ગુજરાતમાં પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર મળી રહેશે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં તૈયાર થઈ રહેલ લીલાવતી હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં 300 બેડની હોસ્પીટલ તૈયાર કરવામાં આવશે. આ હોસ્પિટલમાં હૃદયરોગ, ગેસ્ટ્રોલોજી, ફેફસા, ન્યુરોલોજી, ડેન્ટલ, ગાયનેક, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધા પણ ઉપલબ્ધ થશે. જેના કારણે દર્દીઓ હવે મુંબઈની જગ્યાએ ગુજરાતમાંથી જ સારવાર પ્રાપ્ત કરી શકશે.