અમદાવાદઃ જાસપુરમાં મા ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ પ્રસંગ એક યાદગાર પ્રસંગ બનવા જઇ રહ્યો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા 431 ફૂટના ઉમિયા મંદિરના સિવાય પણ એક અન્ય વિશ્વવિક્રમ થવાનો છે, જેમાં આરાધના કરતા 11000 બહેનો જવારા યાત્રામાં ભાગ લેવાનો છે, જે એક વિશ્વવિક્રમ સ્થાપિત થશે. આ જ રીતે અંદાજિત બે દિવસમાં પાંચ લાખથી વધુ ભાવિક ભક્તો ઉમિયા ધામમાં દર્શનાર્થે પધારશે, તેમના માટે ભોજનશાળા પણ સજ્જ થઈ ગઈ છે. બે દિવસમાં અંદાજે ૧૦ લાખ જેટલા ચોખ્ખા ઘીના લાડુ અને પાંચ લાખથી વધુ મોહનથાળ તેમ જ ફૂલવડી પણ ભાવિક ભક્તો માટે તૈયાર થઇ રહી છે.
ઉમિયાધામ શિલાન્યાસમાં બે દિવસમાં 5 લાખ ભક્તો ઉમટશે, ભોજનપ્રસાદની તૈયારીઓ જોરશોરમાં વિશ્વ ઉમિયા ધામ ખાતે ૧૧ હજાર બહેનો દ્વારા આજે જવારા યાત્રા પ્રસ્થાન કરવામાં આવશે, તેમ જ અમદાવાદના તમામ 48 વિસ્તારમાંથી આ પ્રસંગે બહેનો ભાગ લેશે. આ 11000 બહેનો એએમટીએસની 131 બસ દ્વારા વિશ્વ ઉમિયાધામ પહોંચશે. ઊડીને આંખે વળગે તેવી વાત એ છે કે આ તમામ ૧૧ હજાર બહેનો મા ઉમિયાની પ્રસાદીરૂપની ગુલાબી રંગની સાડીમાં સજ્જ હશે. ત્યારે જવારા યાત્રાનો રૂટ દોઢ કિલોમીટર લાંબો હશે. વળી વિશ્વ ઉમિયા ધામના જવારાયાત્રાનું આયોજન માત્ર 100 બહેનોની ટીમ જ કરી રહી છે. સમગ્ર જવારા યાત્રાની વ્યવસ્થા અને આયોજન માત્ર મહિલાઓએ કર્યાં છે જેના પ્રમુખ ડો.રૂપલબહેન પટેલ છે.