બાલાસોરઃઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે બાલાસોર બહનાગા ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને મૃતકોના પરિવારજનોને રૂપિયા 5 લાખ અને ગંભીર રીતે ઈજાગ્રસ્તોને રૂપિયા 1 લાખની સહાયની જાહેરાત કરી છે. આ રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવામાં આવશે. આ સાથે મુખ્યપ્રધાને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, તેઓ ઈજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે.
ખાનગી હોસ્પિટલમાં પણ સારવારઃશુક્રવારના ટ્રેન દુર્ઘટનાના ભોગ બનેલા લોકો ભુવનેશ્વર અને બાલાસોર વચ્ચેની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો ત્યાં, ભદ્રકથી બપોરે 1 વાગે સ્પેશિયલ ટ્રેન શરૂ થશે, જે ચેન્નાઈ સુધી દોડશે. તે CTC, BBSR અને રસ્તામાં તમામ મુખ્ય સ્થળોએ રોકાશે. મૃતદેહને લઈ જવા માટે ટ્રેન સાથે એક પાર્સલ વાન પણ જોડવામાં આવશે. ફસાયેલા મુસાફરો અને સંબંધીઓ ટ્રેન સેવાનો લાભ લઈ શકશે.
શું બોલ્યા રેલવે પ્રધાનઃ દુર્ઘટના સ્થળે હાજર રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે કહ્યું છે કે, અકસ્માતના પ્રાથમિક તપાસ અહેવાલ મુજબ દોષિતો મળી આવ્યા છે. રેલ સેવા પુનઃસ્થાપિત કરવાનું કામ સ્થળ પર કરવામાં આવી રહ્યું છે. એક ટ્રેક નક્કી કરવામાં આવ્યો છે. ટ્રેકનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એક ટ્રેક સાંજ સુધીમાં પૂર્ણ થશે. બુધવારે સવાર સુધીમાં રેલ સેવા સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ જશે.
મોદી પહોંચ્યા ઘટના સ્થળેઃબાલાસોરમાં થયેલી રેલ દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ઘટના સ્થળે પહોંચીને રેલવેના સંબંધીત મોટા અધિકારીઓને આદેશ આપ્યા હતા. જ્યારે રેલવે પ્રધાને પણ સમગ્ર ઘટનાનો રીપોર્ટ તૈયાર કરવા, ઊંડી તપાસ કરવા માટેના આદેશ કર્યા હતા. મોદીએ ત્યાં સુધી કહ્યું હતું કે, જવાબદારોને કોઈ કાળે છોડવામાં નહીં આવે.