ગુજરાત

gujarat

કોંગ્રેસને મળ્યો કનુભાઈ કલસરિયાનો સાથ, અમરેલી લોકસભા બેઠક પર જેની ઠુમર માટે કરશે ચૂંટણી પ્રચાર - Loksabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : Mar 28, 2024, 9:57 PM IST

અમરેલી લોકસભા બેઠક પર મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમર સાથે જોવા મળશે. આજે પૂર્વ સાંસદ વીરજી ઠુમરની સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સાથે બેઠક મળી હતી. જેમાં કનુભાઈએ કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમર સાથે ચૂંટણીપ્રચારની તૈયારી દર્શાવી છે. Loksabha Election 2024

કોંગ્રેસને મળ્યો કનુભાઈ કલસરિયાનો સાથ
કોંગ્રેસને મળ્યો કનુભાઈ કલસરિયાનો સાથ

જૂનાગઢઃ થોડા દિવસ પૂર્વે કોંગ્રેસના તમામ હોદ્દા અને સક્રિય સભ્ય પદેથી રાજીનામું આપનાર મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા ફરી એક વખત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે કામ કરતા જોવા મળશે. હાલ તો કનુભાઈ કલસરીયા કોંગ્રેસમાં જોડાતા નથી પરંતુ અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરનો પ્રચાર કરતા જોવા મળશે. મહુવા વિધાનસભા બેઠક અમરેલી લોકસભામાં સામેલ છે અને આ વિસ્તારમાં કનુભાઈ કલસરિયાનો વિશેષ પ્રભાવ છે. તેથી આ બેઠક પર કનુભાઈ કલસરિયા કોંગ્રેસની સાથે આવવાથી ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી વાતાવરણ સર્જાવાની શક્યતા પણ ઊભી થઈ છે.

થોડા દિવસ પહેલા સી. આર. પાટીલ સાથે મુલાકાતઃ કનુભાઈ કલસરિયા એ થોડાક દિવસ પૂર્વે મહુવામાં સી.આર. પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી. તે સમયે એવા અહેવાલો પણ પ્રસિદ્ધ થતા હતા કે કનુભાઈ ભાજપમાં જોડાશે. આજે કનુભાઈની બેઠક અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર જેની ઠુમર સાથે થઈ હતી. થોડા જ દિવસોમાં આ પ્રકારની રાજકીય ગતિવિધિઓથી અમરેલી લોકસભા બેઠકનું રાજકીય પરિમાણ સતત બદલાતું જોવા મળી રહ્યું છે.

કનુભાઈનો પ્રતિભાવઃ આજે કોંગ્રેસના નેતાઓ અને અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર સાથે મુલાકાત થયા બાદ કનુભાઈ કલસરિયાનો ઈટીવી ભારતે ટેલીફોનિક સંપર્ક કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે પરંતુ કોંગ્રેસે ખૂબ જ સુશિક્ષિત અને યુવાન મહિલા નેતાને અમરેલી લોકસભા બેઠક માટે પસંદ કરી છે. જેને તેઓ ખૂબ જ આવકારી રહ્યા છે. રાજકારણમાં સુશિક્ષિત, યુવા અને મહિલા લોકો આવવા જોઈએ. અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસનુ આ પરિમાણ તેમને ફરી એક વખત કોંગ્રેસ સાથે નજદીકી બનાવવા માટે યોગ્ય લાગ્યું છે. જેથી તેઓ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અમરેલી બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર જુનીબેન ઠુંમરનો પ્રચાર કરશે.

  1. મનસુખ માંડવિયાએ કેશોદમાં ચૂંટણી પ્રચાર કર્યો, બામણસામાં યોજાયેલ ભાગવત કથામાં ઉપસ્થિત રહ્યા - Loksabha Election 2024

ABOUT THE AUTHOR

...view details