ગુજરાત

gujarat

Porbandar Lok Sabha Seat: પોરબંદર લોકસભા બેઠક પર માંડવિયા અને લલિત વસોયા વચ્ચે જામશે જંગ

By ETV Bharat Gujarati Team

Published : Mar 13, 2024, 6:30 AM IST

વર્ષ 2024ની સંસદીય ચૂંટણીનું રણશિંગું વાગી ચૂક્યું છે. ભાજપ દ્વારા 15 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું હતું. પરંતુ ગઈકાલે કોંગ્રેસ જાહેર કરેલ બીજી યાદીમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પોરબંદર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલિત વસોયાની જાહેરાત કરવામાં આવી છે.

Porbandar Lok Sabha Seat
Porbandar Lok Sabha Seat

રાજકોટ:રાજકોટ જિલ્લા કોંગ્રેસના તાજેતરના નવનિયુક્ત પ્રમુખ તરીકે જાહેર થયેલા અને ધોરાજી વિધાનસભાના કોંગ્રેસ પક્ષના માજી ધારાસભ્ય લલિત વસોયાને ફરી એક વખત પોરબંદરની સાંસદીય ચૂંટણી લડવા માટેની તક મળી છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાને કોંગ્રેસ પાર્ટી દ્વારા પોરબંદર સાંસદીય મતવિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે ત્યારે જાણીએ કોણ છે લલિત વસોયા અને શું છે તેમની રાજકીય ઇતિહાસ ETV BHARAT ના આ અહેવાલમાં.

રાજકારણમાં 30 વર્ષનો અનુભવ:કોંગ્રેસનું મોટું માથું ગણાતા લલિત વસોયાનો જન્મ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ જસમતભાઈ વસોયા છે. રાજકીય કારકિર્દી ઉપરાંત તે પોતે એક ખેડૂત પણ છે. જણાવી દઈએ કે તેમનો પરિવાર વારસાગત રીતે ખેતી સાથે જોડાયેલો છે. લલિત વસોયાના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વર્ષ 1983માં એસ.વાય.બી.કોમનો અભ્યાસ કરેલ છે. આ સાથે જ તેમની રાજકીય ઈનિંગ પણ ખૂબ લાંબી રહી છે. રાજકારણમાં તેમને 30 વર્ષનો અનુભવ હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવે છે. તેમનું કહેવું છે કે તેમની રાજકીય કારકિર્દી જોઈને જ કોંગ્રેસ દ્વારા તેમને મહત્વના કાર્યો સોંપવામાં આવે છે.

Porbandar Lok Sabha Seat

કેટલી છે સંપત્તિ:વર્ષ 2017માં રાજકોટની ધોરાજી બેઠક પરથી નોંધાવેલી ઉમેદવારી દરમ્યાન આપેલા સોગંદનામા અનુસાર લલિત વસોયાની સંપતિની વાત કરીએ. આ સોગંદનામા પ્રમાણે લલિત વસોયાની જંગમ સંપતિ કુલ 1,99,490 છે. જેમાં હાથ પરની રોકડ 1 લાખ છે. આ સિવાય તેમની બેન્કિંગ અને નોન બેન્કિંગ થાપણો 18,382 છે. મ્યૂચ્લ ફંડ અને બેન્ચરમાં રોકાણ 19,400 છે. આ સિવાય તેમની પાસે 50000 કિંમતનુ 2 તોલા સોનુ છે. તેમની સ્થાવર મિલકતો પર નજર કરીએ તો તેમની પાસે કુલ 1,60,00,000ની સ્થાવર મિલકત છે. જેમાં જમીન, મકાન અને વારસામાં મળેલ જમીનનો સમાવેશ થાય છે.

તેમની પત્નીની સંપત્તિની વાત કરવામાં આવે તો સોગંદનામામાં જણાવ્યા અનુસાર તેમી પત્ની પાસે કુલ 54,47,72ની જંગમ સંપત્તિ છે. જેમાં 1,05,000 હાથ પરની રોકડનો સમાવેશ થાય છે. આ સાથે જ 1,70,171ની બેન્કિંગ અને નોન બેન્કિંગ થાપણો સામેલ છે. આ સિવાય 19600ના ડિબેન્ચર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણોનો પણ સમાવેશ જંગમ સંપત્તિમાં થાય છે. લલિત વસોયાના પત્ની પાસે કુલ 250000ની કિંમતનુ 8 તોલા સોનું પણ છે. આ સાથે જ તેમની પત્ની પાસે કુલ 65,00,000ની કિંમતની સ્થાવર સંપત્તિ પણ સામેલ છે.

નકલી સોગંદનામાએ ફેલાવી અફવા:

થોડા દિવસો પહેલા વસોયાના નામનું નકલી સોગંદનામુ વાયરલ થયુ હતું. ત્યારે આ વાયરલ એફિડેવિટમાં માવા (મસાલા)ની વાત હોવાનુ જોવા મળ્યું હતું. તેમાં લખ્યું હતું કે, “હું ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી જીતી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવીશ તો હું સરકાર પાસે 135 વાળા માવાના રૂ. 12માંથી 5 રૂપિયા કરાવીને પછી જ બીજુ કામ કરીશ. લલિત વસોયાએ આ બાબતે સ્પષ્ટતા આપતા કહ્યું કે, વાયરલ પોસ્ટ ખોટી છે અને કોઇએ ચેડાં કરેલા છે. ભાજપના ટીખળખોર લોકોએ આ કામ કર્યું છે. મેં મારા મતવિસ્તારના લોકો માટે સોગંદનામુ કરેલું છે. મારો પગાર લોકો માટે વાપરવાનું સોગંદનામુ કરેલું છે. મારા શુભ આશયને અમુક લોકોએ ચેડાં કરી વાયરલ કરી છે. વસોયાએ કહ્યું કે, મારા હિત વિરોધી લોકોએ ખોટી એફિડેવિટ વાયરલ કરી. 2017માં ઉમેદવારી વખતે પગાર-ભથ્થા લોકોની સેવામાં વાપરવાની એફિડેવિટ કરી હતી. ધારાસભ્યને મળતો પ્લોટનો ઉપયોગ લોકો માટે કરવા એફિડેવિટ કરી હતી. મહત્વનું છે કે, પોસ્ટમાં MLA બનતા માવાના ભાવ રૂ. 5 કરવાનો ઉલ્લેખ હતો.

Porbandar Lok Sabha Seat

ભાજપમાં જોડાવાની ચર્ચા અંગે શું કહ્યું ?લલિત વસોયાને હાર્દિક પટેલ ગ્રૂપના માનવામાં આવે છે. જેથી હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે તો ચર્ચા ચાલી રહી છે કે, લલિત વસોયા પણ આવું જ કરી શકે છે. જોકે, આવા સવાલ પર લલિત વસોયાએ આ તમામ વાતો નકારતા જણાવ્યું કે, ‘આવું કાંઇ નથી, હું કોઇપણ કોંગ્રેસના ગ્રુપમાંથી લેફ્ટ નથી થઇ રહ્યો.’ મને કોઇ જાણી જોઇને બદનામ કરવા માટે આવા સ્ક્રીન શોટ ફરતા કરી રહ્યાં છે. જો આમાંથી એકપણ વાતની ખરાઇ કરી બતાવે તો હું સોગંધ ખાઇને કહું છું કે, હું ધારાસભ્યના પદેથી રાજીનામું આપી દઉં. આ મને બદનામ કરવા માટેની અફવા જ છે.’

હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તો લલિત વસોયા પણ કોંગ્રેસને અલવિદા કહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ મુદ્દે તેમણે કહ્યું કે હાર્દિકની નજીકના હોવાથી આવી અફવા ઉડે છે, તેના જવાબમાં લલિત વસોયાએ જણાવ્યું કે, ‘કોંગ્રેસનો કોઇપણ પાટીદાર માણસ હાર્દિક પટેલની સાથે જવાનું વિચારી પણ ન શકે. તે ભાજપમાં જોડાયો તે બાદ તેની પહેલી ટીકા અમે કરી હતી. જો ઉદાહરણ તરીકે જ માત્ર કહું છું કે, હું મહિના પછી પણ ભાજપમાં જોડાવ તો પણ હાર્દિક અમારો ગોડ ફાધર નથી.’

લલિત વસોયાએ વધુમાં જણાવ્યુ કે, ‘જો મારે કોંગ્રેસ છોડવી હશે તો હું મહિના પહેલા જ બધાને ફોન કરીને કહી દઇશ કે, હું કોંગ્રેસ છોડવાનો છું અને એ પાછળના આ કારણો છે. હાલ મારે કોંગ્રેસ છોડવાનું કોઇ કારણ જ નથી. મારી વ્યક્તિગત કે રાજકીય રીતે કોંગ્રેસ અથવા તો ભાજપના કોઇપણ વ્યક્તિ સાથે કોઇ દુશ્માનાવટ નથી. મારે કોંગ્રેસમાંથી જવું હશે તો હું કોંગ્રેસ ભવનમાં જઇને પહેલા જ કહી દઇશ તેવું જણાવ્યું હતું.

હાલ તો રાજકોટ જીલ્લાના કોંગ્રેસના પ્રમુખ તારીખે ધોરાજી વિધાનસભાના કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાનું નામ જાહેર થયું છે ત્યારે આ મામલે કાર્યકરોમાં અને આગેવાનોમાં કેવો માહોલ છે તે આવતા દિવસોમાં ખ્યાલ આવશે. પરંતુ લલિત વસોયા એક લડાયક નેતા તરીકે જાણીતા છે અને લોકોના પ્રશ્નો, સમસ્યાઓ અને જરૂરીયાતો માટે કાયમી પોતાનો અવાજ ઉઠાવતા હોવાની બાબતથી સૌ કોઈ જાણકાર છે.

માંડવિયા સામે મેદાને:પોરબંદર મતવિસ્તાર ની વર્ષ 2024 ની સાંસદીય ચૂંટણીમાં પોરબંદરના ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને મેદાને ઉતારવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા લલિત વસોયાને રીપીટ કરવામાં આવ્યા છે ત્યારે અહીંયા ચૂંટણીની અંદર લલિત વસોયા સામે ભાજપના રમેશ ધડુકને વર્ષ 2019 ની સંસદીય ચૂંટણી માટે મેદાને ઉતારવામાં આવ્યા હતા જ્યારે આ ચૂંટણીની અંદર ભાજપના રમેશ ધડુક 2,20,000 ઉપરાંતની લીડથી જીત મળી હતી અને લલિત વસોયાની હાર થઈ હતી જ્યારે પુનઃ લલિત વસોયાને આ બેઠક પરથી સંસદીય ચૂંટણી લડાવવા માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે મેદાનને ઉતારવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details