ભરૂચ પાસે આવેલા અખોડ ગામની સીમમાંથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળતા ચકચાર
ભરૂચ: વાગરા તાલુકાના અખોડ ગામની સીમમાંથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા લોકોમાં ચકચાર મચી જવા પામી હતી. ત્રણેય સભ્યોના મોતના કારણ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મોતનું સાચું કારણ પોલીસ તપાસ અને પોસ્ટ મોર્ટમ રીપોર્ટ બાદ બહાર આવશે. આ ત્રણેય મૃતક ખેતમજૂરીના કામ સાથે સંકળાયેલ હતા અને ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા ગયા હતા. જે દરમિયાન ઝેરી દવાની અસરથી મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં ગમગીની જોવા મળી રહી છે.