વાપીમાં 60 વરસથી જોગમેરકર પરિવાર પોતાના ઘરે ભક્તિભાવથી કરે છે શ્રી લક્ષ્મી ગણેશની સ્થાપના
વલસાડ: હાલમાં પણ ગણેશોત્સવ દરમ્યાન વિશેષ કોરોના ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ત્યારે વાપીમાં 60 વર્ષથી ઘરે જ ગણેશજીની સ્થાપના કરતા જોગમેરકર પરિવારે આ પરંપરાને કોરોના કાળમાં પણ યથાવત રાખી ભક્તિભાવથી શ્રી લક્ષ્મી ગણેશની સ્થાપના કરી છે. આ પરિવાર 60 વર્ષથી પોતાના સ્વખર્ચે જ ગણેશજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરે છે. 1960માં પરશુરામના પિતા નારાયણ જોગમેરકર વાપીમાં લગ્ન કરીને સ્થાયી થયા હતા. ત્યારથી તેઓએ વાપીમાં સૌ પ્રથમ વખત તેમના ઘરે શ્રીજીની સ્થાપના કરી હતી. શ્રી લક્ષ્મી ગણેશજી તરીકે તે દિવસથી દર વર્ષે જોગમેરકર પરિવાર ઘરના શ્રીજીની સ્થાપના કરે છે અને પિતાએ આપેલી શીખ મુજબ પોતાના સ્વખર્ચે જ તેની આરાધના કરે છે. તેમનું માનવું છે કે શ્રીજીની કૃપાથી જ તેમના પરિવાર પર હંમેશા લક્ષ્મીજીની કૃપા રહી છે. જે પરંપરાને તેમણે કોરોના કાળમાં જાળવી રાખી છે.