ભાવનાત્મક સ્વાસ્થ્યને બહેતર રાખવા માટે પ્રયાસો જરુરી છે, જાણો આ 9 ગુરુચાવીઓ

author img

By

Published : Aug 26, 2021, 5:22 PM IST

ભાવનાત્મક સ્વાસ્થ્યને બહેતર રાખવા માટે પ્રયાસો જરુરી છે, જાણો આ 9 ગુરુચાવીઓ

ભાવનાત્મક અસ્વસ્થતા શરીરમાં વિભિન્ન પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી ખૂબ જરુરી છે કે પોતાના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સાથે ભાવનાત્મક સ્વાસ્થ્યને લઇને સચેત રહો.

  • ભાવનાત્મક સ્વાસ્થ્ય બહેતર જીવન માટે જરુરી
  • ભાવનાત્મક સ્વસ્થતા પ્રદાન કરે શાંતિપૂર્ણ જીવન
  • ETV Bharat Sukhibhav સાથે જાણો બહેતર જીવનની ગુરુચાવીઓ

ન્યૂયોર્ક શહેરની ટૌરો કૉલેજમાં વર્તણૂકીય ઉપચાર (ઓસ્ટીઓપેથિક મેડિસિન)માં સહાયક પ્રોફેસર (PHD) અને ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડૉ. જેફ ગાર્ડેરે ભાવનાત્મક સ્વાસ્થ્યથી સંબંધિત એક રીપોર્ટમાં જણાવે છે કે ભાવનાત્મક સ્વાસ્થ્યની કાળજી રાખવી એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી તમારા ભૌતિક શરીરની કાળજી રાખવી. જો તમારું ભાવનાત્મક સ્વાસ્થ્ય અસંતુલિત છે તો તમનેે હાઈ બ્લડપ્રેશર, અલ્સર, છાતીમાં દુખાવો અથવા અન્ય ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે તમે તમારા વિશે સારું એટલે કે ભાવનાત્મક રીતે સ્વસ્થતા અનુભવી રહ્યાં છો તો જીવનના નાનામોટા ઉતારચઢાવનો સારી રીતે સામનો કરી શકો છો.

સારા ભાવનાત્મક સ્વાસ્થ્યની જરૂરિયાતને લઇને ETV ભારત સુખીભવને વધારે જાણકારી આપતા રીલેશનશિપ કાઉન્સિલર અને મનોવૈજ્ઞાનિક ડૉ. રચના સેઠી જણાવે છે કે ભાવનાત્મક સ્વાસ્થ્ય વ્યક્તિની માનસિક સ્થિતિ, તેના વિચાર, ભાવનાઓ તથા વ્યવહારથી જોડાયેલું હોય છે. જે રીતે શારીરિક અને માનસિક અસ્વસ્થતા વ્યક્તિ સામે સામાન્ય જીવન જીવવામાં મુશ્કેલીઓ પેદા કરે છે. એ જ રીતે વ્યક્તિનું ભાવનાત્મક સ્વાસ્થ્ય ન ફક્ત વ્યક્તિના વિચાર અને તેની મનોદશા પરંતુ તેના જીવનની ગુણવત્તાને પણ પ્રભાવિત કરે છે. આ કારણે ઘણું જરૂરી છે કે ભાવનાત્મક સ્વાસ્થ્યને જાળવી રાખવાના પ્રયત્નો કરવામાં આવે. ડૉ. રચનાની સાથે વાતચીતના આધાર પર અમે વાચકો સાથે કેટલીક ટિપ્સ શેર કરી રહ્યાં છીએ, જેને અપનાવીને ન ફક્ત તમે ભાવનાત્મક સ્વાસ્થ્યને વધારે સારું, પરંતુ સુખદ બનાવી શકો છો.

દોસ્ત બનાવો અને તેમની સાથે સમય પસાર કરો

આપણાં દોસ્ત આપણાં માટે એ સ્તંભ જેવા હોય છે જેઓ દરેક પરિસ્થિતિમાં આપણને સ્નેહ, ટેકો અને સાથ આપે છે. આ કારણે ઘણું જરૂરી છે કે આપણી પાસે મિત્રો અને પરિવારનું એક સપોર્ટ ગ્રુપ હોય. જેમની પાસેથી જરૂર પડ્યે પોતાની સમસ્યાઓ, મનની પીડા, પોતાની ખુશી અને દુ:ખ વહેંચી શકીએ અને અનુભવી શકીએ કે આપણે એકલાં નથી.

અકારણ ડર દૂર કરો

આપણાં ભાવનાત્મક સ્વાસ્થ્યને અનિશ્ચિતતા, ભવિષ્યની ચિંતા અને કંઇક ખરાબ થવાનો ડર ઘણો જ પ્રભાવિત કરે છે. આ કારણે ઘણું જરૂરી છે કે પોતાના ડરને ઓળખો અને તેને દૂર કરવાનો દરેક શક્ય પ્રયત્ન કરો.

નિયમિત કસરત શરીર, મન અને ભાવનાઓને સ્વસ્થ રાખશે

ભાવનાત્મક અસ્વસ્થતાની સૌથી વધારે અસર આપણાં મૂડ પર પડે છે. વર્તનમાં ચીડિયાપણું, ગુસ્સા પર નિયંત્રણનો અભાવ, કંઇ ન કરવાની ઇચ્છા જેવી ઘણી અસરો છે. જે શારીરિક, માનસિક અને ભાવનાત્મક અસ્વસ્થતાના પરિણામે આપણાં વર્તન પર જોવા મળે છે. આવામાં નિયમિત કસરત ઘણો ફાયદો કરી શકે છે. નિયમિત કસરતના પ્રભાવ સ્વરૂપે ન ફક્ત સ્વાસ્થ્ય સારું થાય છે, પરંતુ જીવનમાં શિસ્ત આવે છે, આવેગો અને લાગણીઓને નિયંત્રિત કરવાની ક્ષમતા વધારે છે અને તણાવ કાબૂ કરવામાં મદદ કરે છે.

મૂડને સુખદ બનાવવામાં સેક્સ પણ મદદરૂપ છે

સામાન્ય રીતે વિવિધ કારણોસર પુખ્ત વયના લોકોમાં ભાવનાત્મક ગરબડ વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં જીવનસાથી સાથે આત્મીયતા અથવા જાતીય સંબંધો તેમના ભાવનાત્મક સ્વાસ્થ્યને સુધારવામાં સક્ષમ છે. આનાથી ન ફક્ત તણાવ દૂર થાય છે, પરંતુ મન પણ પ્રસન્ન થાય છે અને આત્મવિશ્વાસ વધારે છે.

હૉબીને સમય આપો

શોખ હોવાના માનસિક વિકાસમાં લાભો ઉપરાંત, સ્વાસ્થ્ય લાભો પણ છે. જો આપણે આપણી દિનચર્યાનો થોડો સમય આપણા શોખમાં પસાર કરીએ, તો તે વિચારમાં હકારાત્મકતા વધારવામાં અને જીવનમાં સુખ, સંતોષ અને આત્મવિશ્વાસ વધારવામાં ઘણી મદદ કરે છે. ખાસ કરીને સર્જનાત્મક શોખ માટે સમય કાઢવાથી મૂડ સુધરે છે અને ચિંતા ઘટે છે, સાથે સાથે માનસિક કાર્યક્ષમતા વધે છે અને જૂની બીમારીઓનું જોખમ ઓછું રહે છે.

નિયંત્રણમાં રહીને સ્વસ્થ ખાવું-પીવું

ભોજન હોય કે કોઇપણ આદત, કંઈપણ વધારે પડતું નુકસાનકારક હોય છે. પરંતુ જો સંયમ અને શિસ્તની સાથે શોખની મજા લેવામાં આવે તો મૂડને આનંદમાં રાખવામાં મદદ કરે છે. એટલા સુધી કે નિયંત્રિત પ્રમાણમાં દારૂ પણ તણાવ ઓછો કરવામાં મદદરૂપ થઈ શકે છે. તો મર્યાદિત માત્રામાં ટેસ્ટ બદલવા માટે કોઇકવાર બહારનું ચટપટું ખાવાનું પણ મનને પ્રસન્ન કરે છે.

ધ્યાન તેમજ યોગ તણાવ દૂર કરવામાં મદદરૂપ

ધ્યાન અને યોગ જેવી ગતિવિધિઓ તણાવમાં મદદરૂપ થાય છે. આનાથી બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે, વર્તનમાં ચિંતા અથવા અકળામણ ઘટાડે છે, અને તણાવ માથાનો દુ:ખાવો, ઘા, અનિદ્રા, સ્નાયુ અને સાંધાના દુ:ખાવામાં રાહત આપે છે. ધ્યાન અને યોગ દરમિયાન શરીરમાં સેરોટોનિન હોર્મોનનું વધુ ઉત્પાદન થાય છે. જેના કારણે મનમાં આનંદની લાગણી વધે છે, રોગપ્રતિકારક શક્તિ સુધરે છે. જ્યારે પણ તમને અકળામણ થતી હોય, અસ્થિર અને ભાવનાત્મક રીતે અસ્વસ્થ હોવ ત્યારે ધ્યાન તમને શાંત કરે છે.

પૂરતી ઊંઘ લો

જે લોકો રાતની સારી ઊંઘ લે છે તેઓ વધારે સારી સ્ફૂર્તિથી જાગે છે. સારી રીતે તમામ કામો કરવામાં સક્ષમ બને છે. જો તમે વધારે થાકેલાં છો તો દરેક કાર્ય અને જવાબદારી વધારે લાગે છે. આવામાં નાની-નાની મુશ્કેલીઓ પણ મોટી લાગવા માંડે છે.

ના કહેવાનું શીખો

જો તમે તમારી ક્ષમતાથી વધારે કોઈપણ કાર્ય કરવાનો પ્રયત્ન કરો છો તો તમે ફક્ત નિરાશ અને તણાવગ્રસ્ત થશો. જો કોઈ તમને કંઇક એવું કરવાનું કહે છે જે તમે બિલકુલ નથી કરી શકતાં તો તેને સ્પષ્ટ અને મક્કમ રીતે ના કહો.

આ પણ વાંચોઃ યોગાસનથી કરો અસ્થમાનો ઇલાજ

આ પણ વાંચોઃ ડાયાબિટીસમાં શુગર કંટ્રોલ માટે એન્ટાસિડ મદદરુપ બની શકે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.