Survey on Clinomania in Saurashtra University : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં ક્લિનોમેનિયા પર કરાયો સર્વે

author img

By

Published : Jan 23, 2023, 3:34 PM IST

Survey on Clinomania in Saurashtra University : સતત ઊંઘના જ વિચારો અને બેચેની કરાવે ક્લિનોમેનિયા

મનોવિજ્ઞાનના નિષ્ણાતો દ્વારા ઊંઘ અને તેને લગતા વિકારો સંદર્ભે સર્વે કરવામાં આવ્યો છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવન વિદ્યાર્થિનીઓ દ્વારા ક્લિનોમેનિયા વિશે (Survey on Clinomania in Saurashtra University ) સર્વે કરવામાં આવ્યો છે. જે એક પ્રકારે સતત ઊંઘના વિચારોના મનોવિકાર સાથે સંબંધિત છે.

રાજકોટ ઊંઘ વ્યક્તિના મનોસ્વાસ્થ્ય માટે જરુરી ગણાતી શારિરીક સ્થિતિ છે. જેનો સીધો સંબંધ મનો સ્વાસ્થ્ય સાથે જોડાયેલો રહે છે. ઊંઘ વ્યક્તિની એવી જરૂરિયાત છે જે પૂર્ણ ન થતા ઘણા પ્રકારના ભ્રમ, વિભ્રમ અને શારીરિક કે માનસિક સમસ્યાઓ સર્જે છે. ક્યારેક વ્યક્તિને પથારીમાં રહેવાની ઈચ્છા થતી હોય છે, તે સામાન્ય છે. પરંતુ કેટલીક વ્યક્તિઓને સતત અને વારંવાર પથારીમાં રહેવાની તીવ્ર ઈચ્છા થાય છે. તેઓ પથારીમાંથી બહાર નીકળી શકતા નથી. જેને ક્લિનોમેનિયા અથવા ડાયસેનિયા કહે છે.

998 લોકો પર સર્વે : આ ક્લિનોમેનિયા વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીઓ ભટ્ટ કર્તવી અને સૌંદરવા અંકિતા દ્વારા અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 998 લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો.જેમાં એવો નિષ્કર્ષ મળ્યો હતો કેં ઊંઘની સમસ્યાનું કારણ માનસિક છે એવું આશરે 73 ટકા લોકોનું માનવું છે.

ક્લિનોમેનિયાનું મુખ્ય લક્ષણ :ક્લિનોમેનિયા એક મનોવૈજ્ઞાનિક સમસ્યા છે. જેમાં વ્યક્તિને ઊંઘ ન આવતી હોવા છતાં પથારી છોડવામાં તકલીફ પડે છે. ક્યારેક આવું થવું એ કોઈ ચિંતાનું કારણ નથી, પરંતુ વારંવાર આવું થવું અને જેના કારણે રાત્રે પણ સૂવામાં તકલીફ પડે તો તે કલિનોમેનિયાનું મુખ્ય લક્ષણ છે. જ્યારે આની સાથે જ જોડાયેલા ડાયસેનિયાનો અર્થ થાય છે પથારીમાંથી ઉઠવામાં ખુબ મુશ્કેલી થવી અથવા પથારી છોડવામાં અસમર્થ હોવું. ડાયસેનિયા ક્લિનોમેનિયા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે, જે વારંવાર અને સતત પથારીમાં રહેવાનું વળગણ અને તીવ્ર ઇચ્છા સાથે જોડાયેલ છે.

આ પણ વાંચો જે લોકો તડકામાં ગયા વિના રાત વિતાવે છે તેઓ બને છે આ બિમારીનો ભોગ

તો વિકૃતિ બની જાય :ઘણી વખત વ્યક્તિ જવાબદારીથી બચવા માટે અથવા બહારની દુનિયાથી દૂર રહેવા માટે પણ આવું કરતા હોય છે. પણ તે ક્યારે વિકૃતિનું સ્વરૂપ લઈ લે છે તેનો ખ્યાલ પણ રહેતો નથી. તેઓની પથારીમાં રહેવાની ઈચ્છા એટલી પ્રબળ હોય છે કે તેઓ તેમના રોજીંદા કાર્યો પણ કરવા ઈચ્છતા નથી હોતાં. કોઈ પ્રવૃત્તિમાં તેમને રસ રહેતો હોતો નથી. આખો દિવસ પથારીમાં રહેવાને કારણે વ્યક્તિને ઊંઘ આવતી નથી અને છતાં પથારીમાં જ રહેવાનું પસંદ કરે છે.

ડાયસેનિયાના લક્ષણો :ડાયસેનિયાનું મુખ્ય લક્ષણ તો સતત પથારીમાં રહેવાની તીવ્ર ઈચ્છા હોય છે. એ સિવાય પણ કેટલાક લક્ષણો છે જેના દ્વારા આ માનસિક સમસ્યાને ઓળખી શકાય છે. જેમકે વધુ પડતી ઊંઘ, અકારણ થાક, થોડું કાર્ય કરે તો પણ થાકનો અનુભવ થવો, રાત્રે 9 કલાકથી વધારે ઊંઘ પછી પણ સુસ્તી લાગવી અને ઊંઘ ન આવવા છતાં પથારીમાં પડ્યા રહેવું. વ્યક્તિએ પથારીમાં કેટલો સમય પસાર કરવો જોઈએ તે ઉંમરના આધારે બદલાય છે. પુખ્ત વ્યક્તિને દરરોજ રાત્રે સાતથી નવ કલાકની ઊંઘની જરૂર હોય છે.

ડાયસેનિયાના કારણો :પથારીમાં વધુ પડતો સમય વિતાવવો એ ડિપ્રેશન જેવી સમસ્યાની નિશાની પણ હોઇ શકે છે . ડિપ્રેશન એ મૂડ ડિસઓર્ડર છે જે ઘણા લક્ષણો ધરાવે છે. જેમાં કોઈ પ્રવૃત્તિઓ કે લોકો સાથે વાતચીત કરવામાં વ્યક્તિને રસ રહેતો નથી, વજનમાં ફેરફાર થાય છે, ઊંઘમાં મુશ્કેલી પડે છે અને થાકનો અનુભવ થાય છે. આ લક્ષણોને કારણે પણ વ્યક્તિને સતત પથારીમાં રહેવાની ઈચ્છા થાય છે.

પથારીમાં વધુ સમય વિતાવવો : એ પણ હાઈપરસોમનિયાનું લક્ષણ પણ હોઈ શકે છે . હાયપરસોમનિયા એ અતિશય ઊંઘની વિકૃતિ છે. તેવા લોકોને રાત્રે સૂતા પછી પણ સુસ્તીનો અનુભવ થાય છે અને દિવસ દરમિયાન પણ વારંવાર સૂઈ જવાની જરૂર લાગે છે. તેના મનોવૈજ્ઞાનિક કારણો એ છે કે ઓછું આત્મસન્માન હોવું, સામાજિક સંબંધોનો ડર હોવો, નિષ્ફળતાનો ડર હોવો. ક્લિનોમેનિયા ધરાવતા સૌથી વધુ લોકો ડિપ્રેશનથી પીડાતા હોય છે અને જેઓ ચિંતાનો ભોગ બનેલા હોય છે.

આ કારણો પણ હોઇ શકે : કેટલીક અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે પણ વ્યક્તિ સતત થાકનો અનુભવ થાય છે. જેમ કે ક્રોનિક સ્ટ્રેસ, કોઈ લાંબા સમયનો દુઃખાવો વગેરેને કારણે પણ વ્યક્તિ ક્લિનોમેનિયાનો ભોગ બની શકે છે.

આ પણ વાંચો જરુર કરતા ઓછી ઊંઘના કારણે થઈ શકે છે આંખની આ મોટી બીમારી

સર્વેમાં પૂછવામાં આવેલ પ્રશ્નો : 998 લોકોને આ સર્વેમાં સાંકળવામાં આવ્યાં હતાં તેમને એક પ્રશ્નતાલિકા દ્વારા કેટલીક બાબતોના જવાબો આપવાનું જણાવાયું હતું. દાખલા તરીકે સર્વેમાં જોડાયેલા લોકોને પૂછાયું હતું કે શું તમને સવારે જાગવામાં તકલીફ પડે છે? તો તેના જવાબમાં 49 ટકા લોકોએ હા અને 26 ટકા લોકોએ ક્યારેક અને 25ટકા લોકોએ ના પાડી હતી. શું તમને જાગી ગયા પછી પણ ફરી સુઈ જવાની ઈચ્છા થાય છે? તેવા પ્રશ્નના જવાબમાં 57.3 ટકા લોકોએ હા, 22.9 ટકા લોકોએ ક્યારેક અને 19.8 ટકા લોકોએ ના જણાવી. તો શું તમને દિવસનો વધુ પડતો સમય ઊંઘવાના વિચારો આવ્યા કરે છે? તેના જવાબમાં 57.3 ટકા લોકોએ હા, 25ટકા લોકોએ ક્યારેક અને 17.7 ટકા લોકોએ ના જણાવી હતી.

કાર્ય અને ઊંઘ : મનોવિજ્ઞાન ભવનના આ સર્વેમાં કાર્ય અને ઊંઘ વિશે પણ જાણકારી મેળવવામાં આવી હતી. સર્વેમાં જોડાયેલા 998 લોકોને તેને લઇને પ્રશ્નો પૂછાયાં હતાં. જેમ કે કોઈ કાર્ય કરતી વખતે પણ તમને પથારીમાં પડ્યા રહેવાના વિચારો આવે છે? એવા પ્રશ્નના જવાબમાં 44.8 ટકા લોકોએ હા, 32.3 ટકા લોકોએ કયારેક અને 22.9 ટકા લોકોએ ના જણાવી. ક્યાંક બહાર ગયા હો ત્યારે પણ ઘરે આવીને ઊંઘી જવાની ઈચ્છા થયા કરે છે? એવા પ્રશ્નના જવાબમાં 56.3 ટકા લોકોએ હા, 24 ટકા લોકોએ ક્યારેક અને 19.8 ટકા લોકોએ ના જણાવી. તો રાત્રે પૂરતી ઊંઘ લીધા પછી પણ સુતા રહેવાની ઈચ્છા થાય છે? એવા પ્રશ્નના જવાબમાં 41.7 ટકા લોકોએ હા, 41.7 ટકા લોકોએ ક્યારેક અને 16.7 ટકા લોકોએ ના જણાવી હતી.

ઊંઘ અને વિચારો : સર્વેમાં જોડાયેલા લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે સતત ઊંઘના વિચારો અન્ય કોઈ કામમાં વિઘ્ન ઉભા કરે છે? તો તેમાં 50 ટકા લોકોએ હા, 33.3 ટકા લોકોએ ક્યારેક અને 16.7 ટકા લોકોએ ના જણાવી. નવરાશના સમયમાં પણ પથારીમાં પડ્યા રહેવાનું ગમે છે? એવા પ્રશ્નના જવાબમાં 46.9 ટકા લોકોએ હા, 32.3 ટકા લોકોએ કયારેક અને 20.8 ટકા લોકોએ ના જણાવી. જ્યારે પૂરતી ઊંઘ લીધા પછી પણ ક્યારેક ચીડિયાપણું કે તણાવ અનુભવાય છે? તેના જવાબમાં 43.9 ટકા લોકોએ હા, 36.6 ટકા લોકોએ ક્યારેક અમે 19.5 ટકા લોકોએ ના જણાવી.

ઊંઘ અને સ્ફૂર્તિ : સર્વેમાં આ સંબંધે પણ જાણકારીઓ મેળવવામાં આવી છે. સર્વેમાં જોડાયેલા લોકોને એમ પૂછાયું કે શું જાગ્યા પછી કંટાળા કે થાકનો અનુભવ થાય છે? તો તેના જવાબમાં 43.9 ટકા લોકોએ હા, 36.6 ટકા લોકોએ કયારેક અને 19.5 ટકા લોકોએ ના જણાવી. ઊંઘની અસર કાર્યક્ષમતા પર થાય છે? તો તેમાં 46.3 ટકા લોકોએ હા, 31.7 ટકા લોકોએ ક્યારેક અને 22 ટકા લોકોએ ના જણાવી હતી. તો જાગ્યા પછી નબળાઈ કે ધ્રુજારીનો અનુભવ થાય છે? આવા પ્રશ્નના જવાબમાં 58.5 ટકા લોકોએ હા, 24.4 ટકા લોકોએ ક્યારેક અને 17.1 ટકા લોકોએ ના કહી હતી.

આ પણ વાંચો નબળી ઊંઘના કારણે, આ બિમારીનું વધી છે જોખમ

ઊંઘ અને દુઃખાવો : શરીરને પૂરતી ઊંઘ ન મળે તો દુઃખાવાની સમસ્યા વિશે પણ આ સર્વેમાં કેટલાક પ્રશ્ન પૂછાયાં હતાં. જેમ કે ઊંઘ લીધા પછી પણ માથાનો દુખાવો કે તણાવ અનુભવાય છે? તો તેના જવાબમાં 41.5 ટકા લોકોએ હા, 34.1 ટકા લોકોએ ક્યારેક અને 24.4 ટકા લોકોએ ના પાડી હતી.

ઊંઘમાં સમસ્યાઓ થવાનું મુખ્ય કારણ કયું હોઈ શકે? : આધુનિક સમયમાં ઊંઘની સમસ્યાઓ ખૂબ વ્યાપક બની છે ત્યારે સર્વેમાં જોડાયેલા લોકોએ આ પ્રશ્નનો જે જવાબ આપ્યો તે વિચારમાં પાડી દે.ં 73.2 ટકા લોકોએ માનસિક, 22 ટકા લોકોએ શારીરિક, 2.4 ટકા લોકોએ સામાજિક અને 2.4 ટકા લોકોએ આર્થિક કારણોને જવાબ તરીકે રજૂ કર્યાં હતાં.

ઉપાય શું ? : ક્લિનોમેનિયા તેમ જ ડાયસેનિયા જેવી સમસ્યા સામે ઉપચાર પણ આ સર્વેના તારણોરુપે બતાવવામાં આવ્યો છે. જેમાં યોગ્ય સમયે કાઉન્સિલરની મદદ લેવી જોઈએ. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો જોઇએ. કોઇ ગમતી પ્રવૃત્તિને રોજીંદા કાર્યમાં ઉમેરવી જોઇએ. સારા પુસ્તકો વાંચવા જોઇએ. તેમ જ થોડા થોડા સમયેે બહાર ફરવા જવું જોઇએ. તો સ્ક્રીનનો ઉપયોગ બને એટલો ઓછો કરવો એ પણ ઉપાયોમાં શામેલ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.