જન્માષ્ટમી પર્વ પર પોરબંદરના દુર્ગેશ ઓઝાનો ભગવાન કાન્હાને પત્ર

author img

By

Published : Aug 29, 2021, 10:17 PM IST

Updated : Aug 30, 2021, 6:18 AM IST

જન્માષ્ટમી પર્વ પર પોરબંદરના દુર્ગેશ ઓઝાનો ભગવાન કાન્હા પત્ર

આજે 30 ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીનો પર્વ છે. ગયા વર્ષે આ પર્વની ઉજવણી કોરોનાના કારણે થઇ ન હતી. ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા સરકારે કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને ઉજવણીમાં છૂટછાટ આપી છે. ત્યારે પોરબંદરના દુર્ગેશ ઓઝાએ જન્માષ્ટમીના પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણને એક પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.

'પ્રિય શ્રીકૃષ્ણ'

"હે કાનામાતર જેટલોય સ્વાર્થ ન રાખનારા કાના, મારા મિત્ર, જન્માષ્ટમીએ, તારા જન્મદિને દુર્ગેશ ઓઝા નામધારી જીવ આ પત્ર દ્વારા તને અભિનંદન આપે છે. હે કેશવ, તને અભિનંદન આપવાનું મન એટલે થાય છે કે, એક તો તું મારો મિત્ર, ને બીજું, તું ઊભું કરે છે તારી સારપથી અનેરું ચિત્ર, આજે ઘણા કહેવાતા મોટા માણસો પદ, રૂપ, ઉંમર, જાતિ, પૈસા એવા બધા ભેદને સ્વાર્થ જોઈને પછી નક્કી કરે છે કે ફલાણા માણસને મળવું કે નહીં ? આની સાથે સંબંધ રાખવો કે નહીં ? પણ તું એવો કોઈ ભેદ નથી જોતો, તું સરળતાથી સૌની સાથે ભળે છે, વાત સાંભળે છે. તું બહારની નહીં, પણ અંતરની સુંદરતાને શ્રીલક્ષ્મી જુએ છે. તું રૂકમણીનેય મળેને કુબ્જાને પણ, તું સુદામાને પણ સહજ ભેટી પડે, તું માત્ર માખણચોર નથી, તું બીજાના મનની વાત જાણી એનાં દુઃખો ચોરે છે. અધર્મીને ઠમઠોરે છે. મિથ્યાભિમાનના પૂતળાં બહુ માન માંગતાં હોય છે, અને સામાન્ય માણસોથી અંતર રાખતા હોય છે, જ્યારે તું અંતર રાખ્યા વિના નિરંતર અંતરમનથી માત્ર પ્રેમ ઝંખે છે, પ્રેમને નિસ્વાર્થપણે કરેલાં સારાં કામ એ તારે મન છપ્પનભોગ! તને ડાયાબીટીશ નથી, જે કાયમ સૌને જીવનમીઠાશ આપે એને ડાયાબીટીશ ક્યાંથી થાય ? તોય તું દુર્યોધનના જાતજાતના પકવાન તજી વિદૂરની ભાજી આરોગે છે, તું માત્ર એક તુલસીપત્રથી પ્રસન્ન. તને કોઈ સાચા હ્રદયથી, રાધાને મીરાં જેવા પ્રેમથી તું કહીને બોલાવે તો તું અડધી સેકન્ડમાં એનો પાકો મિત્ર થઈ જાય છે. આ જોને? હું જ તને તું કહીને નથી બોલાવતો ? તને આવો સ્નેહાળ તુંકારો નડતો નથી. તું તો નરસિંહ મહેતા પ્રેમ અને તારા પ્રત્યે અવિચળ શ્રદ્ધા રાખી રાગ કેદારો ગાય એટલામાં જ ખુશ. ને કાના, તારી બીજી એક વાત મને ગમે છે. ગમે તેટલી વિષમ પરિસ્થિતિ હોય, તારી પાસે દરેક સમસ્યાનો હલ છે. ‘નહીં થાય’ એવો નિરાશાનો સૂર તે નથી કાઢ્યો. તારી જીવનવાંસળીએ ‘થઈ જાશે’ એવી શ્રદ્ધાનો સંવાદી સૂર જ સ્મિત સાથે છેડ્યો છે. એક નાનકડું મોરપીછ જ તારા શણગાર માટે પૂરતું છે. હે કાના, હું પત્રમાં તને એમ નહીં કહું કે અધર્મ વધ્યો છે, માટે તું અહીં આવ. તું અહીંથી ગયો જ નથી, તો આવવાની વાત જ ક્યાં આવી ? માણસની અંદરનો કૃષ્ણ જાગે એટલે અધર્મ ગયો સમજો. ભગવદગીતા જીવનમાં ઉતારી કૃષ્ણ સરીખા બની જીવવાનુંને અધર્મ સામે યુદ્ધ કરવાનું તે શીખવાડ્યું છે ને મોટું આશ્વાસન આપ્યું છે કે ચિંતા ન કર. ભલા કામમાં, ધર્મના જતન માટે હું તારી સાથે જ છું. હે કાના, તું આવો સરળ, ભલો અને પ્રેમાળ છે એટલે તને આ પ્રેમપત્ર લખું છું."

લિ.

તારો મિત્ર, દુર્ગેશ ઓઝા

Last Updated :Aug 30, 2021, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.