- વાવાઝોડાએ દિશા બદલતા જિલ્લા ઉપરથી મોટો ખતરો ટળ્યો
- ખેતીના પાકને કોઇ નુકશાન ન થતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો
- સ્થળાંતર કરાયેલા પરિવારોને સહાય ચૂકવવામાં આવશે
પાટણઃ તૌકેતે વાવાઝોડું પાટણ જિલ્લા પરથી પસાર થાય તેવા હવામાન વિભાગ દ્વારા દિશાનિર્દેશનો મળતા પાટણ જિલ્લા વહીવટીતંત્ર સાબદું બન્યું હતું અને 57 જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમો એલર્ટ રાખી હતી. તેમજ કોરોના હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન સહિત સારવારમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પણ તકેદારી રાખવામાં આવી હતી. અસરગ્રસ્ત બને તેવા વિસ્તારોમાંથી અગમચેતીના ભાગરૂપે 1 હજાર પરિવારો તેમજ 4 હજાર અગરિયાઓને સલામત સ્થળે ખસેડ્યા હતા. જોકે, વાવાઝોડાએ મોડી રાત્રે ખેરાલુ તરફ દિશા બદલતા જિલ્લા ઉપરથી મોટો ખતરો ટળ્યો હતો.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને લઈ કેન્દ્રએ ગુજરાતને 1000 કરોડ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી
વાવાઝોડાથી પાટણ જિલ્લામાં કોઈ જ પ્રકારનું નુકસાન થયું નથી
વાવાઝોડાની અસરરૂપે 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન સાથે દિવસ દરમિયાન સમગ્ર જિલ્લામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે કેટલાક સ્થળે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. જેને પગલે વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વૃક્ષો હટાવી માર્ગો ખુલ્લા કર્યા હતા. જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘબ ગુલાટીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાથી પાટણ જિલ્લામાં કોઈ જ પ્રકારનું નુકસાન થયું નથી. જોકે, જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે તેવા લોકોને સહાય આપવામાં આવશે.
વાતાવરણ સ્વચ્છ બનતા જનજીવન રાબેતા મુજબ બન્યું
પાટણ જિલ્લામાં હાલમાં ઉનાળુ પાકની સીઝન ચાલી રહી છે, પરંતુ સામાન્ય વરસાદ અને પવનથી આ પાકોને કોઇ જાતનું નુકસાન થયું નથી. મોડી રાત્રે મહેસાણા પાસેથી વાવાઝોડું હેરાન તરફ દિશા બદલતા વરસાદી વાતાવરણ પણ હળવું બન્યું હતું. જ્યારે બુધવારે સવારથી આકાશ પણ સ્વચ્છ બનતા જનજીવન રાબેતા મુજબ બન્યું હતું.