Gujarat Assembly Election 2022 : રાધનપુરના નપાણીયા વિસ્તારમાં મતદારો ભાજપના અલ્પેશ ઠાકોરનું પાણી માપશે

author img

By

Published : May 27, 2022, 6:01 AM IST

Gujarat Assembly Election 2022 : રાધનપુરના નપાણીયા વિસ્તારમાં મતદારો ભાજપના અલ્પેશ ઠાકોરનું પાણી માપશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો પાટણની રાધનપુર વિધાનસભા બેઠક (Radhanpur Assembly Seat) વિશે.

પાટણઃ કચ્છ જિલ્લાને અડીને આવેલ પાટણ જિલ્લાના પછાત અને નપાણીયા વિસ્તાર એવી રાધનપુર વિધાનસભા બેઠક (Radhanpur Assembly Seat)2002 અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી હતી.પરંતુ 2002માં ભાજપે ચૌધરી સમાજના આગેવાન શંકર ચૌધરીને આ બેઠક ઉપર ઉતારી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી આ બેઠક આંચકી લીધી હતી. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો આ બેઠક (Assembly seat of Radhanpur) પરથી ચૂંટાયા હોવા છતાં રાધનપુર પંથકમાં પીવાના પાણીની તંગી અને પછાતપણાનું મહેણું હજી સુધી ભાંગી શક્યા નથી. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022 ) મતદારો કયા પક્ષના ઉમેદવારને વિજયની વરમાળા પહેરાવશે તે જોવું રહ્યું.

રાધનપુર વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી- પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠકમાં (Radhanpur Assembly Seat)સમી, સાંતલપુર અને રાધનપુર તાલુકાના કુલ 172 ગામોનો સમાવેશ થાય છે. ત્રણ તાલુકાઓમાં સમાવિષ્ટ આ બેઠક ઉપર તારીખ 5 /1/2022 સુધીની છેલ્લી પ્રસિદ્ધ થયેલી મતદારયાદીમાં મુજબ 153801 પુરુષ,141986 સ્ત્રી, તથા અન્ય 1 મતદાર મળી કુલ 2,95,788 મતદારો નોંધાયેલા છે. આ બેઠક ઉપર બક્ષીપંચ જાતિ નું પ્રભુત્વ છે માધવસિંહ સોલંકીની HMTની ખામથેરીને ને કારણે જ રાધનપુર બેઠક એ અગાઉ કોંગ્રેસનો ગઢ કહેવાતી હતી જ્ઞાતિ વાઇઝ મતદારોનું વિશ્લેષણ જોઈએ તો સૌથી વધુ 90 હજાર ઠાકોર સમાજના મતદારોનું પ્રભુત્વ છે. ઠાકોર સમાજ નું મતદાન આ બેઠક ઉપર નિર્ણાયક સાબિત થાય છે. મુસ્લિમ સમાજના 30 હજાર, રબારી અને ભરવાડ સમાજના 30 હજાર, દલિત સમાજના 30 હજાર,ચૌધરી સમાજના 22 હજાર,આહિર સમાજના 20 હજાર, રાજપૂત સમાજના 12 હજાર સહિત અન્ય નાના-નાના સમાજોના મતદારોનો સમાવેશ થાય છે.

મતદારોનું ગણિત
મતદારોનું ગણિત

આ પણ વાંચોઃ Gujarat Election 2022 : સુરતની વરાછા બેઠક જે પાટીદારોના બળે આપનું જોર વધારનારી બની ગઈ, જાણો તેની વિશેષતા

અગાઉની ચૂંટણીના પરિણામ -રાધનપુર વિધાનસભા બેઠક(Radhanpur Assembly Seat) ઉપર અગાઉ કોંગ્રેસમાંથી ખોડીદાસ ઝુલા મહેશ મુલાણી જેવા ખમતીધર નેતાઓનું વર્ચસ્વ હતું અને તેઓ કોંગ્રેસના બેનર ઉપર જીતી વિધાનસભામાં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતાં. તે સમયે આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. પરંતુ વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક અંકે કરવા ભાજપ દ્વારા સ્થાનિક અને ચૌધરી સમાજના આગેવાન એવા શંકર ચૌધરીને ટિકીટ આપી મેદાનમાં ઉતાર્યા હતા અને ભાજપનો આ જુગાર સફળ ગયો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસના લવિંગજી ઠાકોર ને 53247 મળ્યા હતા જ્યારે ભાજપના શંકર ચૌધરીને 63297 મત મળતાં તેઓ નો 10050 મતોથી વિજય થયો હતો. જ્યારે વર્ષ 2007ની વિધાનસભાની ચુંટણીમાં પણ ભાજપે શંકર ચૌધરીને ટિકીટ આપતાં મતદારોએ પુનરાવર્તન કર્યું હતું. કોંગ્રેસના રઘુ દેસાઈને 27771 મત મળ્યા હતા. જ્યારે ભાજપના શંકર ચૌધરીને 55507 મત મળતા શંકર ચૌધરીનો 27736 મતે વિજય થયો હતો. વર્ષ 2012ની વિધાનસભામાં કોંગ્રેસ ભાજપ બંને પક્ષોએ પોતપોતાના ઉમેદવારો બદલાયાં હતાં. ભાજપે સ્થાનિક ઉમેદવાર નાગરજી ઠાકોરને ટીકીટ આપતા કોંગ્રેસે પણ સ્થાનિક ઠાકોર સમાજના ભાવસિંહ રાઠોડને ટિકીટ આપી મેદાનમાં ઉતારતા ચૂંટણી જંગ જામ્યો હતો. જેમાં નાગરજી ઠાકોરને 69493 મત મળ્યા હતા.જ્યારે ભાવસિંહ રાઠોડને 65659 મળતાં ભાજપના નાગરજી ઠાકોર નો 3834 મતે વિજય થયો હતો.

2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી જીત્યાં હતાં અલ્પેશ ઠાકોર
2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી જીત્યાં હતાં અલ્પેશ ઠાકોર

2017 ચૂંટણીનું પરિણામ -2017 ની વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2017) અનામત આંદોલનને કારણે અલ્પેશ ઠાકોર , જીગ્નેશ મેવાણી તથા હાર્દિક પટેલની ત્રિપુટીનો રાજકીય ઉદય થતાં કોંગ્રેસ દ્વારા રાધનપુર વિધાનસભા બેઠક (Radhanpur Assembly Seat)ઉપર ક્ષત્રિય ઠાકોર સેનાના યુવા નેતા અલ્પેશ ઠાકોરને ટિકિટ (Alpesh Thakor Seat) આપી છેલ્લા ત્રણ ટર્મથી ભાજપ પાસે રહેલી આ બેઠક આંચકી લેવાનો દાવ અજમાવ્યો હતો. તો ટિકિટ નહીં મળતાં કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું જે તક ભાજપે ઝડપી લઇ લવિંગજી સોલંકીને છેલ્લી ઘડીએ ટિકિટ આપી સૌને ચોંકાવી દીધા હતાં. આ ચૂંટણીમાં કુલ 19 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું.જેમાં મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રહી હતી. કોંગ્રેસના અલ્પેશ ઠાકોરને 85777 મત મળ્યા હતાં. જ્યારે ભાજપના લવિંગજી સોલંકીને 70920 મત મળતા અલ્પેશ ઠાકોરનો 14857 મતે વિજય થયો હતો.

અલ્પેશ ઠાકોરના પક્ષપલટાને નકારતી જનતા
અલ્પેશ ઠાકોરના પક્ષપલટાને નકારતી જનતા

રાધનપુર બેઠક પેટાચૂંટણી -2017ની વિધાનસભા ચૂંટણીમાં રાધનપુર બેઠક (Radhanpur Assembly Seat)ઉપરથી કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોર વિજય થયા બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદો શરૂ થતાં ટૂંકા ગાળામાં જ અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor Seat)ધારાસભ્યપદેથી રાજીનામું આપી કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાતા રાધનપુર બેઠક ખાલી પડતાં 2019 માં પેટાચૂંટણી ( Radhanpur Assembly ByElection 2019 ) યોજવામાં આવી હતી. જેમાં ભાજપે અલ્પેશ ઠાકોરને જ મેદાનમાં ઉતાર્યો હતો જ્યારે કોંગ્રેસે ઘાટલોડિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને માલધારી સમાજના આગેવાન એવા રઘુ દેસાઈને (Raghu Deasi Seat) ટિકિટ આપતા પાટણ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અને સ્થાનિક આગેવાન હરસુખ રાણીએ કોંગ્રેસમાંથી નારાજ થઈ પક્ષ સાથે છેડો ફાડી એનસીપીમાંથી ઉમેદવારી નોંધાવતા ત્રિપાખીયો ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં રઘુ દેસાઈને 77,410, ભાજપના અલ્પેશ ઠાકોરને 73,603 અને NCPના ફરસુગોકલાણીને 7200 મત મળ્યા હતાં. આ ચૂંટણીમાં 3807 મતે કોંગ્રેસના રઘુ દેસાઈનો વિજય થયો હતો. વર્ષ 2002થી અત્યાર સુધીની ચૂંટણીમાં સતત ત્રણ ટર્મ આ બેઠક ભાજપના ફાળે ગઇ છે. જ્યારે 2017 અને 2019ની પેટાચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : મહેસાણાની વિસનગર વિધાનસભા બેઠક જ્યાં પાટીદારોએ ભાજપને હંમેશા વધાવ્યો ત્યાં આ વખતે નવાજૂની થશે?

એમએલએ રઘુ દેસાઇનો ઘોડો વિનમાં -વર્ષ 2019ની રાધનપુર બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના રઘુ દેસાઈ (Raghu Deasi Seat) વિજય બન્યા બાદ તેઓએ પોતાના મત વિસ્તારમાં સતત લોકસંપર્ક જીવંત રાખ્યાં છે. આ વિસ્તારની કાયમી એવી પાણીની સમસ્યા તેમજ અંતરિયાળ ગામડાઓના રોડ રસ્તા મામલે વિધાનસભામાં પણ સતત રજૂઆતો કરી છે. આ ઉપરાંત પોતાની ધારાસભ્ય ગ્રાન્ટનો વિસ્તારના વિકાસના કામોમાં ઉપયોગ કરતાં તેઓની આ કામગીરી મતદારોમાં પ્રશંસાને પાત્ર બની છે. આગામી 2022 ની વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 )કોંગ્રેસ દ્વારા રઘુ દેસાઈને ટિકિટ આપવામાં આવશે તે નિશ્ચિત છે. તો બીજી તરફ ભાજપમાં ટિકિટને લઇ દાવેદાર ઉમેદવારોમાં અત્યારથી જ ખેંચતાણ જોવા મળી રહી છે. ભાજપના સ્થાનિક આગેવાનોની અગાઉ મળેલી બેઠકમાં સ્થાનિક ઉમેદવારને જ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરાઇ છે. તો બીજી તરફ રાધનપુરમા તાજેતરમાં યોજાયેલ ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નમાં હાજરી આપવા આવેલ અલ્પેશ ઠાકોરે આ બેઠક પરથી જ ચૂંટણી લડવાનો હુંકાર કરતાં ભાજપનું રાજકારણ ગરમાયું છે.

રાધનપુરની આગવી ઓળખ
રાધનપુરની આગવી ઓળખ

રાધનપુર વિધાનસભા બેઠકની ખાસિયત- રાધનપુર વિધાનસભામાં (Radhanpur Assembly Seat)એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ચારણકા ખાતે સ્થાપવામાં આવ્યો છે. જેના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી ઉપલબ્ધ થઈ છે. તો બીજી તરફ મીઠું પકવવાનો ઉદ્યોગ પણ આ વિસ્તારમાં આવેલો છે. સાંતલપુરના રણમાં અગરિયાઓ દ્વારા મીઠું પકવવામાં આવે છે. આ અગરિયાઓના ઉત્થાન માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ અમલી કરી છે જેનો તેવો લાભ પણ લઈ રહ્યા છે. રાધનપુર ગંજ બજાર પણ મોખરે છે, તો વરાણા ખાતે પ્રસિદ્ધ ખોડિયાર માતાનું મંદિર સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીંયા મહા મહિનામાં પંદર દિવસે મેળો ભરાય છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ મેળાને મીની કુંભ મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે.ગોતરકા ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે આસ્થાના પ્રતીક સમાન મહાબલિ પીરની દરગાહ આવેલી છે જ્યાં ભરાતો ઉર્ષ (મેળો) પણ સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે. તો સાંતલપુર નજીક ચોરવાડના આલુવાસમાં આવેલ પાંચ પાંડવોની પ્રાચીન જગ્યા પણ પ્રસિદ્ધ છે. આ જગ્યા ઉપર આવેલ કુંડ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે.

પાણી તો જાણે કે પ્રાણપ્રશ્ન જ છે
પાણી તો જાણે કે પ્રાણપ્રશ્ન જ છે

રાધનપુર વિધાનસભા બેઠકના મતદારોની અપેક્ષા - રણ કાંધીએ આવેલ રાધનપુર વિધાનસભા મતક્ષેત્રમાં (Radhanpur Assembly Seat)વર્ષોથી પાણીની ભારે સમસ્યા જોવા મળે છે. સરકાર દ્વારા અગાઉ નેધરલેન્ડ યોજના અને ત્યારબાદ નર્મદા નહેરો દ્વારા પાણી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ આજે પણ આ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા ઉનાળામાં જોવા મળે છે. ઉનાળો શરૂ થતાં જ અંતરિયાળ ગામડાઓમાં ટેન્કરો દ્વારા પાણી (Gujarat Assembly Election 2022 )પહોંચાડવામાં આવે છે.પરંતુ સમયસર પાણી નહીં મળતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તો પશુપાલકોને પણ ઘાસચારો અને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલાક માલધારીઓ ઉનાળો આવતા જ પાણીની તંગીને કારણે પશુઓ સાથે સ્થળાંતર પણ કરે છે. સરકાર દ્વારા નર્મદાની કેનાલો બનાવવામાં આવી છે. જેમાં પાણી છોડવામાં આવે છે પરંતુ ગુણવત્તા વગરની કામગીરીને કારણે બનાવવામાં આવેલી કેનાલોમાં વારંવાર ગાબડાં પડતાં ખેડૂતોની દશા 'પડતા ઉપર પાટું' જેવી સર્જાય છે. મીઠા ઉદ્યોગ અને સોલર પાર્ક સિવાય આ વિસ્તારમાં અન્ય કોઈ ઉદ્યોગ-ધંધા ન હોવાને કારણે લોકોને ખેતી અને મજૂરી કામ ઉપર જ નિર્ભર રહેવું પડે છે.

સેન્સ લઇ રહ્યાં છે રાજકીય પક્ષો- 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 ) રાધનપુર બેઠક (Radhanpur Assembly Seat)કબજે કરવા ભાજપ કોંગ્રેસના મોવડી મંડળો દ્વારા અત્યારથી જ મતદારો અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચાઓ કરી સલાહ સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે. ભાજપ કોઇ પણ ભોગે આ બેઠક ઉપર પુનઃ કબજો કરવા કમર કસી રહ્યો છે. તો સામા પક્ષે કોંગ્રેસ અગ્રણીઓ પણ આ બેઠક જાળવી રાખવા મનોમંથન કરી રહ્યા છે. ત્યારે મતદારોને રિજવવામાં કોણ સફળ થશે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.