આદિવાસી સમાજના જીવનકાળ સાથે માનગઢ હત્યાકાંડ કે જે જલિયાવાલા બાગના હત્યાકાંડથી મોટો હત્યાકાંડ માનવામા આવે છે. જેમાં 1500થી વધૂ આદિવાસીઓ અંગ્રેજ સલ્તનત અને સ્થાપિત હિતોનો ભોગ બન્યા હતા. પંચમહાલની શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજના ઈતિહાસ વિભાગમા ફરજ બજાવતા આસિટન્ટ પ્રોફેસર ડો.ગણેશ નિસરતાએ "ગોવિંદગૂરુ ભગત સંપ્રદાય" વિષય ઉપર સંશોધન કર્યુ છે.
- કોણ હતા ગોવિંદગૂરૂ ?
રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના વેડસા (વાસીયા) ગામે વણઝારા કુટુંબમા શ્રી ગોવિંદગૂરુનો જન્મ ઇ.સ.1863માં થયો હતો. તેમનું બાળપણમા નામ ગોવિંદા કે ગોમા પણ હતુ. તેમને માત્ર ઔપચારિક શિક્ષણ જ મેળવ્યૂ હતુ. વણઝારા હોવાના કારણે તેમનો બળદ વેંચવાનો વ્યવસાય સુંથ, ઇડર સહિતના વિસ્તારોમા હતો. 1884માં તેમને વૈરાંગી જીવન જીવવાનુ શરૂ કર્યુ અને 1800-1900 દરમિયાન સમાજસુધારાની પ્રવૃતિ કરી હતી. આ દરમિયાન ભારતમા છપ્પનિયો દુકાળ પડતા રાજસ્થાન તેમજ પંચમહાલ પ્રદેશના વિસ્તારોને પણ અસર પહોચી હતી. આથી, ગોવિંદગૂરૂએ સુંથ રાજ્ય જે હાલનુ સંતરામપુરના નટવા ગામે આસરો લીધો હતો. આ દુકાળમાં તેમની પત્ની અને બાળકો પણ મૃત્યુ પામ્યાં હતાં.
તે દરમિયાન તેમને અહી તેમને ભીલ આદિવાસી સમાજ સાથે આત્મિયતા બંધાઇ હતી અને 1902થી 1907 દરમિયાન તેઓએ ડુંગર, સુરપુર, ઊંબરેલી નામના ગામોમા હબી તરીકે (હળ ચલાવનાર) તરીકે કામ કર્યુ હતું. આ દરમિયાન તેમને માનગઢમાં "સંપસભા"નામે એક વિશાળ સંગઠનની સ્થાપના કરી અને તેમને સુંઠ રાજ્યમા સંપસભા સંબોધવાનું કામ કર્યુ હતું. જોતજોતામાં માત્ર દોઢસો અનુયાયીઓથી શરુ થયેલી આ સંપસભાના અનુયાયીઓની સંખ્યા હજારોમાં થઇ ગઇ હતી. સંપસભામા સામાજીક અને ધાર્મિક ઉપદેશ આપવામા આવતો. જેમાં દારૂપીવો નહીં, સત્ય બોલવું, ચોરી-લુંટફાટ કરવી નહીં જેવી દુર થયેલી બદીઓનો સમાવેશ થતો હતો.
- શ્રી ગોવિંદગૂરુના ઉપદેશોનો આદિવાસી પર પ્રભાવ
ગોવિંદગુરૂના ઉપદેશો અને પ્રચાર કાર્યની આદિવાસી સમાજ ઉપર હકારાત્મક અસર થવા લાગી હતી. શ્રી ગોવિંદગૂરુના પ્રભાવમાં ભગત બનેલા ભીલો કેસરી સાફો અને રુદ્રાક્ષની માળા ધારણ કરતા હતા. સાથે દારૂ, માંસ, ચોરી અને અન્ય કુરિવાજોનો ત્યાગ કરી એક નવચેતન ભર્યાજીવનને જીવી રહ્યા હતા. ગોવિંદ ગુરૂ અને તેમની ભગત ચળવળની પ્રતિભાઓ દેસી રાજ્યોના પરંપરાગત અર્થતંત્રમાં ગાબડા પાડી રહ્યા હતા. તેથી ભીલ જાગૃતિને કચડી નાંખવા દેશી રાજ્યો મેદાને પડ્યા હતા. જેની શરૂઆત તેઓ ભગત સંપ્રદાયના અનુયાયીઓને માનસિક હેરાનગતિ કરવાથી કરી હતી. ગોવિંદ ગુરુ અને તેમના અનુયાયીઓને ધુણીઓની પૂજા કરતા અટકાવવા માટે દરેક ગામમાં સંપ્રદાયની ધુણી ખોદી કાઢી. ધુણીઓ ઉપર પેશાબ કરવો. જ્યારે સિપાઈઓ ભીલોને દારૂ પી હિંસાનું વાતાવરણ સર્જવા ઉશ્કેરતા અને ધુણીઓ ઉપર પ્રદુષિત ખોરાક ફેકતા હતા. દેશી રાજ્યોના શારીરિક માનસિક ત્રાસના કારણે શ્રી ગોવિંદગૂરુ શરૂઆતમાં ઈડર રાજ્ય તથા છેવટે માનગઢની ટેકરીઓ જે હાલમાં ગુજરાત અને રાજસ્થાન સરહદ ઉપર આશ્રય લેવો પડ્યો હતો.
- માનગઢ હત્યાકાંડમા હજારો આદિવાસી મોતને ભેટ્યા
અમૃતસરમાં થયેલા જલિયાવાલા બાગ જેવી જ ઘટના અહીં માનગઢ જે હાલમાં મહિસાગર જીલ્લાની સરહદેલ અને રાજસ્થાનની સરહદે છે તે ડુંગરોમાં પણ બની હતી. 17 નવેમ્બર 1913ના રોજ માનગઢની ટેકરી ઉપર હજારોની સંખ્યામાં મહિલાઓ, નાના બાળકો, અનુયાયીઓ એકત્રીત થઈ ધુણીમાં હવન અને પુજાપાઠ કરી રહ્યા હતા. તે જ સમયે અંગ્રેજ લશ્કર, દેશી રાજ્યોએ માનગઢની પહાડીઓને ઘેરી વળ્યા અને તોપ, મશીનગન, બંદુક વડે હુમલો કરવામા આવ્યો હતો. જેમાં 1500થી વધુ આદિવાસીઓ મોતને ભેટ્યા હતા. આ ઘટના માટે ગોંવિદગુરૂને દોષી ઠેરવામાં આવ્યા હતાં. તેમના શિષ્ય પુંજા પારગીની પણ ધરપકડ કરવામા આવી હતી. ગોવિંદગુરૂને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને આ સજા પુર્ણ થયા બાદ તેઓ ઝાલોદ પાસેના કંબોઈ ગામે આવીને વસવાટ કરે છે. અને પોતાના ભગત સંપ્રદાયનો પ્રચાર કરતા કરતા 1931માં ગોવિંદગુરૂ અવસાન પામ્યા હતાં.
- પંચમહાલના વડામથક ગોધરા ખાતે આવેલી છે શ્રી ગોવિંદગૂરુ યૂનિર્વસીટી
આદિવાસીઓના મસિહા અને ધર્મગુરુ બનેલા એવા શ્રી ગોવિંદગૂરુના નામથી પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે મધ્ય ગુજરાતની નવનિર્મિત યુનિર્વસીટીને શ્રી ગોવિંદગૂરુ નામાભિધાન આપીને સ્થાપના ૨૦૧૬માં તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે કરવામા આવી હતી. આ યુનિર્વસીટી પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર તેમ કુલ પાંચ જીલ્લાની કોલેજો ખાતે સંલગ્ન જોડાયેલી છે. જેમાં હાલમાં ડો.પ્રતાપસિંહ ચૌહાણ VC તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે હાલ વિવિધશાખાના અભ્યાસક્રમ પણ ચાલી રહ્યા છે. અહીંના વિદ્યાર્થીઓને દુર અમદાવાદ, વડોદરા જેવા દુરના શહેર સુધી અભ્યાસ અર્થે જવુ પડતુ નથી.