પંચમહાલના શહેરા તાલુકામાં છોકરીની છેડતી બાબતે 3 યુવકોને નિવસ્ત્ર કરી માર મરાયો

author img

By

Published : Aug 27, 2021, 6:54 PM IST

Panchmahal News

પંચમહાલના શહેરા તાલુકામાં એક 14 વર્ષિય સગીરાની છેડતી કરી તેનો ફોન નંબર માગવાની ઘટના બની હતી. આ મામલે તેના પરિવારજનોએ 3 યુવકને નિવસ્ત્ર કરી માર માર્યો હતો. આ મામલે પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

  • શહેરા તાલુકાના એક ગામમાં બે વિદ્યાર્થીનીઓની છેડતી
  • ફોન નંબર માંગી કરાઈ વિભસ્ત માંગણી
  • 3 યુવકોએ કરી હતી છેડતી

પંચમહાલ: શહેરા તાલુકામાં આવેલા એક ગામડાની બે વિદ્યાર્થીનીઓ ધોરણ 9 અને ધોરણ 11 માં અભ્યાસ કરે છે. કોરોના મહામારીના કારણે થોડા સમય પહેલા જ રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેથી બંને વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે શાળાએ ગઈ હતી અને બપોરના 12 વાગ્યે શાળા છૂટતાં પોતાના ઘરે આવતી હતી. તે સમયે જંગલ વિસ્તાર પાસે આવેલા માર્ગે પસાર થતી હતી. તે દરમ્યાન શહેરા તાલુકાનાં વિજાપુર ગામનો અનિલ ઉર્ફે ઈનો રતિલાલ લુહાર, મીઠાલી ગામના નિતેશ વિનોદભાઈ રાવત અને જીતેન્દ્ર દ્વારા ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા પાસે મોબાઈલ નંબરની માગણી કરી છેડતી કરવા લાગ્યા હતા. આથી સાથી સહધ્યાયીએ તેઓને આવું ન કરવાનું કહેતા તેને પણ પતાવી દેવાની અને સગીરાને ભગાડી જવાની ધમકી આપી હતી. જેથી તેઓ ભાગીને પોતાના ઘરે આવી ગયા હતા.

છોકરીઓના પરિવારજનોએ 3 યુવકોને નિવસ્ત્ર કરી માર માર્યો

14 વર્ષીય સગીરાએ બનેલી ઘટનાથી તેણીની માતાને વાકેફ કરતા તેણીની માતાએ પિતાને જણાવતા ક્રોધાવેશમાં આવી વિજાપુર ગામે રહેતા અનિલ ઉર્ફે ઈનો રતિલાલ લુહારને શોધવા જતા રસ્તામાં જ તેનો ભેટો થતા તેને છોકરીની છેડતી કેમ કરી કહી મારવા લાગેલા અને ત્યારબાદ તેના મીઠાલી ગામના અન્ય બે મિત્રો કે જે આ છેડતીમાં સામેલ હતા તેઓને ફોન કરી પસનાલ ચોકડી પર બોલાવાનું કહેતા બંને મિત્રો ત્યાં આવી પહોંચ્યા હતા. એક શખ્સ દ્વારા તેની સફેદ ગાડીમાં અનિલ ઉર્ફે ઈનોને પણ ત્યાં લઈ જઈ ત્રણેયને ઢોરમાર મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ પણ તેઓની ભડાશ ઓછી ન થતા ડોકવા ગામની કોઈ અજાણી જગ્યાએ લઈ જઈ ત્રણેય યુવાનોને નિર્વસ્ત્ર કરી લાકડી, ડંડા, બેલ્ટ જેવા મારક હથિયારો અને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ ઘટનાને લઈ સમગ્ર શહેરા પંથકમાં ચકચાર મચી

આ ઘટનાની જાણ ખાંડીયા સરપંચને થતા તેઓએ ત્રણેય યુવાનોને મારમાંથી બચાવી શહેરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ગંભીરતા જાણી તાત્કાલિક ત્યાં પહોંચી 108 દ્વારા ઇજાગ્રસ્ત ત્રણેય યુવાનોને શહેરા સરકારી દવાખાને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જોકે 14 વર્ષીય સગીરાની છેડતી કરનારા ત્રણ યુવાનોને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવાની ઘટનાને લઈ સમગ્ર શહેરા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સગીરાના પિતાની ફરિયાદના આધારે ત્રણેય યુવાનો સામે છેડતી અને પોક્સો અધિનિયમ 2012 ની કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તો સામે પક્ષે પણ ત્રણ યુવાનો પૈકી અનિલ ઉર્ફે ઈનોએ પોતે નિર્દોષ હોવાનું જણાવી સગીરાના દાદા, પિતા, કાકા અને બીજા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બન્ને પક્ષે સામ-સામે પોક્સો અને રાયોટિંગનો ગુનો નોંધતી શહેરા પોલીસ

હાલના તબક્કે યુવાનો પોલીસ નિગરાણી હેઠળ સારવાર હેઠળ છે અને સારવાર પૂર્ણ થયા બાદ કોરોના ગાઈડલાઈન અનુસાર તેઓની ધરપકડ કરવામાં આવશે. તો સગીરાના દાદા, પિતા, કાકા અને ત્રણ બીજા શખ્સોની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે. વિદ્યાર્થીની ની છેડતી કરતા 3 યુવાનો સામે છેડતી અને પોક્સો અન્વયે શહેરા પોલીસ મથકે સગીરાના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણેય યુવાનોને ગ્રામજનોએ છેડતીનો રોષ રાખી નિર્વસ્ત્ર કરી ઢોર મારમારતા સગીરાના દાદા, પિતા, કાકા અને ત્રણ બીજા શખ્સો સામે પણ રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.