નવસારીની સર જે. જે. સ્કૂલે RTE હેઠળ 23 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ન આપ્યો, વાલીઓએ કરી રજૂઆત

author img

By

Published : Sep 23, 2020, 12:59 PM IST

vc

નવસારીની સર જે. જે. સ્કૂલે આરટીઇ હેઠળ મેળવનારા 23 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ન આપતા વાલીઓ રોષે ભરાયા હતા અને જિલ્લા અધિક કલેકટર કમલેશ રાઠોડને મળ્યા હતાં.

નવસારી: શિક્ષણના અધિકાર (આરટીઇ) હેઠળ સરકાર દ્વારા નવસારીના 23 બાળકોને શહેરની સર જે. જે. પ્રાયમરી સ્કૂલમાં પ્રવેશ આપ્યો છે, પરંતુ પખવાડિયુ વીતવા છતા શાળાએ લઘુમતી શાળા હોવાથી આરટીઇના નિયમમાં આવતી ન હોવાનું જણાવી બાળકોને પ્રવેશ ન આપતા વિવાદ વકર્યો છે. જેમાં પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળાને કારણદર્શક નોટીસ આપ્યા બાદ પણ શાળા તસની મસ ન થતા વાલીઓએ આજે મંગળવારે નવસારી જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી બાળકોનું ભવિષ્યને ધ્યાને રાખી ન્યાયની માંગણી કરી હતી.

Navsari
સર જે. જે. શાળા

ગરીબ અને મધ્યમ વર્ગીય બાળકોને પણ પ્રાથમિક શિક્ષણ મળી રહે એ હેતુથી સરકાર દ્વારા શિક્ષણનો અધિકાર કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. આરટીઇ હેઠળ ખાનગી શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગીય બાળકોને પ્રવેશ આપવાનો હોય છે અને બાળકોને કઈ શાળામાં પ્રવેશ આપવો એ સરકારનું શિક્ષણ વિભાગ નક્કી કરતુ હોય છે. નવસારી શહેરના 23 ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકોને આરટીઇ હેઠળ સરકાર દ્વારા શહેરની સર જે. જે. પ્રાયમરી સ્કૂલમાં પહેલા પ્રવેશ આપ્યો હતો. પરંતુ શાળા દ્વારા તમામ વિદ્યાર્થીઓને લઘુમતી શાળા હોવાનું જણાવી ફરી પ્રવેશ આપ્યો ન હતો. જેથી વાલીઓએ સરકારમાં રજૂઆત કરતા નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ગત અઠવાડીએ શાળાને કારણદર્શક નોટીસ આપી, શાળા પાસે લઘુમતી શાળાનું પ્રમાણપત્ર માંગ્યુ હતુ.

Etv bharat
વાલીઓ રોષે ભરાયાં

તો બીજી તરફ વાલીઓ બાળકોના ભવિષ્યની ચિંતા સાથે શાળાએ આચાર્યને મળવા જતાં તેઓ વાલીને મળ્યાં પણ નહતા. રોજ ધક્કા ખવડાવતા આચાર્યથી કંટાળેલા વાલીઓ આજે મંગળવારે શાળાએ પહોંચ્યા હતા અને જ્યાં સુધી આચાર્ય સાથે વાત ન થાય ત્યાં સુધી શાળામાં જ બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. વાલીઓની ચેતવણી બાદ શાળાના કલાર્કે આચાર્યને ફોનમાં વાલીઓની વાત કરી હતી, ત્યારે પણ શાળા લઘુમતી હોવાનું જણાવી બાળકોને પ્રવેશ આપવાનો આચાર્યએ નન્નો ભણ્યો હતો. સાથે જ ડીઇઓને વકીલ મારફતે જવાબ પાઠવ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી.

Etv bharat
વાલીઓએ કરી રજૂઆત
સરકાર દ્વારા પ્રવેશ અપાયો હોવા છતાં લઘુમતી શાળા હોવાનું બહાનું કાઢી પ્રવેશ ન આપનારી સર જે. જે. પ્રાયમરી સ્કૂલ સામે બાળકોને ન્યાય અપવાવાની માંગ સાથે વાલીઓ આજે મંગળવારે નવસારી જિલ્લા અધિક કલેકટર કમલેશ રાઠોડને મળ્યા હતા. વાલીઓએ રોજે રોજ બહાના કાઢતા આચાર્યની ફરિયાદ કરી તમામ 23 બાળકોના ભવિષ્યની ચિંતા સાથે તેમને ન્યાય અપાવવાની માંગ સાથે અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ. જેને ધ્યાને લઇ કલેકટરે શિક્ષણાધિકારીના અહેવાલ બાદ ગાંધીનગર રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યુ હતુ.

નવસારીના 23 બાળકોને પાયાનું શિક્ષણ આપવા આરટીઇ હેઠળ સરકારે પ્રવેશ આપ્યો, પણ સર જે. જે. પ્રાયમરી સ્કૂલ દ્વારા લઘુમતી શાળા હોવાના બહાનું કાઢી શહેરના 23 બાળકોને પ્રવેશ ન આપતા બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.