નવસારી જિલ્લામાં પેટાચૂંટણીમાં થયું શાંતિપૂર્ણ મતદાન

author img

By

Published : Oct 4, 2021, 4:40 PM IST

નવસારી જિલ્લામાં પેટાચૂંટણીમાં થયું શાંતિપૂર્ણ મતદાન

નવસારી ખાલી પડેલી ચાર બેઠકો પર તારીખ 3 ઓક્ટોબરના રોજ યોજાયેલી પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે. બે નગરપાલિકા, એક જિલ્લા પંચાયત અને એક તાલુકા પંચાયતની બેઠક મળી કુલ 11 ઉમેદવારો હતા. નવસારીમાં શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં મતદાનની ટકાવારી વધુ જોવા મળી હતી.

  • ચારેય બેઠકો પર જીતેલા સભ્યોનું કોરોનાને કારણે થયું હતું મોત
  • શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં મતદાનની ટકાવારી વધુ
  • ક્યાક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો જંગ

નવસારી : કોરોનાની બીજી લહેરમાં નગરપાલિકાઓના બે નગરસેવકો અને જિલ્લા પંચાયતના એક સભ્ય અને વાંસદા તાલુકા પંચાયતના એક સભ્યનું અવસાન થયું હતુ. જે ખાલી પડેલી ચાર બેઠકો માટે આજે યોજાયેલી પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે. જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં શહેર કરતાં ગ્રામ્ય બેઠકો પર વધુ મતદાન નોંધાયું હતુ. જ્યારે મતદાન સાથે કુલ 11 ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં કેદ થયું છે.

નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાના વોર્ડ નં. 3 ના નગરસેવક મુનાફ માસ્તર, બીલીમોરા નગરપાલિકાના વોર્ડ નં. 6 ના નગરસેવક રંજનબેન દેસાઈ, વાસદા તાલુકા પંચાયતની 28 ઝરી બેઠકના સભ્ય અરવિંદ પટેલ તેમજ નવસારી જિલ્લા પંચાયતની 28 રૂમલા બેઠકના સભ્ય નગીન ગાવિત કોરોનાનો શિકાર બન્યા હતા અને ચારેય સભ્યોનું અવસાન થતાં બેઠકો ખાલી પડી હતી. જે ખાલી પડેલી ચારેય બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી મતદારોએ ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરંતુ નગરપાલિકા કરતા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે મતદારોનો ઉત્સાહ વધુ જોવા મળ્યો છે.

સૌથી વધુ- સૌથી ઓછું મતદાન ક્યાં નોંધાયું, જાણો...
ત્રણ બેઠકો પર ત્રિપાંખીયો જંગ, એક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર તો બીજી બાજુ આપ પણ મેદાને આવી છે, ત્યારે 3 ઓક્ટોબરના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી નોંધાયેલા મતદાન પર નજર કરીએ તો ગણદેવી નગરપાલિકાના વોર્ડ નં. 3ની એક બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપ ચૂંટણી મેદાનમાં હતા. જેમાં કુલ 2041 મતદારોમાંથી 1132 મતદારોએ મતદાન કરતા 55.46 ટકા મતદાન નોંધાયું છે. બીલીમોરા નગરપાલિકાના વોર્ડ નં. 6 ની એક બેઠક માટે નોંધાયેલા 5105 મતદારોમાંથી 2146 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા 46.04 ટકા મતદાન નોંધાયું છે.

નવસારી જિલ્લામાં પેટાચૂંટણીમાં થયું શાંતિપૂર્ણ મતદાન

નવસારીના રૂમલા બેઠક ઉપર પણ ત્રિપાંખીયો જંગ ખેલાયો

નવસારી જિલ્લા પંચાયતની 18 - રૂમલા બેઠક ઉપર પણ ત્રિપાંખીયો જંગ ખેલાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો માટે આજે યોજાયેલા મતદાન કુલ 22389 મતદારોમાંથી 15226 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 68 ટકા મતદાન કર્યું હતુ. જ્યારે કોંગ્રેસના ગઢ ગણાતા વાંસદા તાલુકાની તાલુકા પંચાયતની 28 - ઝરી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો જંગ રહ્યો છે. જેમાં નોંધાયેલા કુલ 6599 મતદારોમાંથી 4425 મતદારોએ મતદાન કરતા 70 ટકા મતદાન નોંધાયું છે.

5 મી ઓક્ટોબરે કોણ મારશે બાજી

ઉલ્લેખનીય છે કે બે નગરપાલિકા, એક જિલ્લા પંચાયત અને એક તાલુકા પંચાયતની બેઠક મળી કુલ 11 ઉમેદવારો હતા. જેમાં સૌથી વધુ વાંસદા તાલુકા પંચાયતની ઝરી બેઠક પર, સૌથી ઓછું બીલીમોરા પાલિકાના વોર્ડ નં. 6 ની બેઠક પર નોંધાયું મતદાન થયું છે. મતદાનની અંતિમ ટકાવારી હજુ સુધી મળી શકી નથી. જોકે ચારેય બેઠકો પર ચૂંટણી જંગ ખેલનારા 11 ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં કેદ થયું છે, જે 5 મી ઓક્ટોબરને મંગળવારે EVM ખુલતાં મતદારોએ કયા ઉમેદવાર ઉપર વિશ્વાસ મૂક્યો છે એની ખબર પડશે.

આ પણ વાંચોઃ Gandhinagar Election 2021: મતદાન સમયે બે જૂથો વચ્ચે અથડામણ, ટેન્ટ અને ખુરશીઓ તૂટી

આ પણ વાંચોઃ મહેસાણા જિલ્લાની ચારેય બેઠક પર સરેરાશ 55.65 ટકા મતદાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.