નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, સામે કોંગ્રેસે પણ આબરૂ સાચવી રાખી

author img

By

Published : Oct 6, 2021, 11:44 AM IST

નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, સામે કોંગ્રેસે પણ આબરૂ સાચવી રાખી

નવસારી જિલ્લાની ચાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જોકે વાંસદા તાલુકા પંચાયતની ઝરી બેઠક કોંગ્રેસે જાળવી રાખી છે. પેટા ચુંટણીમાં આમ આદમી પાર્ટીનું બે બેઠકો પર સારૂ પરફોર્મન્સ રહ્યું છે. જ્યારે ગણદેવી પાલિકામાં કોંગ્રેસ ફક્ત ૩૪ મતોએ સમેટાઈ ગઈ હતી.

  • ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસને ફક્ત 34 મતો જ મળ્યા
  • જિલ્લા પંચાયતની રૂમલા બેઠક પર ભાજપના મતો ઘટ્યા
  • ગણદેવી, બીલીમોરા, રૂમલા, અને ઝરી બેઠકની ચૂંટણી યોજાઇ હતી

નવસારી : નવસારી જિલ્લાના નગરપાલિકાની ગણદેવી, બીલીમોરા, રૂમલા, અને ઝરી બેઠકના લોક પ્રતિનિધિઓ કોરોનાનો શિકાર બન્યા બાદ ચારેયનું અવસાન થયું હતું. ત્યારબાદ ખાલી પડેલ ચારેય બેઠકો પર ત્રીજી ઓક્ટોબરે પેટા ચુંટણી યોજાઇ હતી. જેમાં શહેરી વિસ્તારમાં મતદાન ઓછું અને ગ્રામ્ય વિસ્તારની જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક પર 70 ટકાની આસપાસ મતદાન નોંધાયું હતું. પેટા ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. જેમાં ગણદેવી નગરપાલિકા, બીલીમોરા નગરપાલિકા અને નવસારી જિલ્લા પંચાયતની રૂમલા બેઠક મળી કુલ 3 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે વાંસદા તાલુકા પંચાયતની ઝરી બેઠક જીતવાનો ભાજપનો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો. અને કોંગ્રેસને ઝરી બેઠક સાચવી રાખવામાં સફળતા મળી હતી.

કેબિનેટ પ્રધાનના ઘરમાંજ ભાજપના મતો ઘટ્યા

નવસારી જિલ્લા પંચાયતની 18 રૂમલા બેઠક પર બે ટર્મ વિજેતા રહેલા નગીન ગાવીત ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાની સરહદોના આદિવાસી પટ્ટાના નેતા હતા. ગત ચૂંટણીમાં નગીન ગાવીત રૂમલા બેઠક પરથી 10,050 મતો મેળવી 5528 મતોની લીડ સાથે વિજેતા થયા હતા. પરંતુ કોરોના બાદ તેમનું હાર્ટ એટેક આવતા અવસાન થયું હતુ. જેથી ખાલી પડેલી રૂમલા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતુ. ત્રણેય ઉમેદવારો 8000 થી વધુ મતદારો ધરાવતા અને રાજ્યના નવનિયુક્ત આદિજાતિ વિકાસ વિભાગના પ્રધાન નરેશ પટેલના ગામ રૂમલાના હતા. ભાજપનો દબદબો હોવા છતાં રૂમલા બેઠક પર કોંગ્રેસ અને આપનું જોર પણ જોવા મળ્યું હતું. જેમાં ભાજપના બાલુ પાડવી ને 8077 મત મળ્યા છે. જેની સામે કોંગ્રેસને 5842 અને આપને 1538 મતો મળ્યા છે. જેથી ભાજપના બાલુ પાડવી 2232 મતોની લીડથી જીત્યા છે. જેને જોતા રાજ્ય કક્ષાના કેબિનેટ પ્રધાનના ઘરમાં જ ભાજપના મતો ઘટ્યા છે.

કોંગ્રેસે તેનો ગઢ સાચવી રાખ્યો

કોંગ્રેસનો ગઢ ગણાતી વાંસદા તાલુકા પંચાયતની 28 ઝરી બેઠક પર ગત ચુંટણીમાં કોંગ્રેસના અરવિંદ પટેલ 3044 મત મેળવી 1627 મતોની લીડથી જીત્યા હતા. જેમાં ભાજપના હસમુખ પટેલને 1417 મળતો જ મળ્યા હતા. પરંતુ અરવિંદ પટેલનું કોરોનામાં આવસાન થયા બાદ ખાલી પડેલી ઝરી બેઠક જીતવા માટે ભાજપે ભાજપી આગેવાનોની ફોજ ઉતારી હતી. જોકે આ ભાજપનો મરણિયો પ્રયાસ સાબિત થયો છે. ઝરી બેઠક પર કોંગ્રેસના ધનજી પટેલને 3015 મળ્યા હતા. જ્યારે ભાજપના સંજય પટેલ 1724 મત મળ્યા હતા. જેથી કોંગ્રેસના ધનજી પટેલે 1291 મતોની લીડથી જીત મેળવી હતી. જોકે ગત ચુંટણી કરતા આ પેટા ચુંટણીમાં કોંગ્રેસની લીડ પણ ઘટી છે.

નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, સામે કોંગ્રેસે પણ આબરૂ સાચવી રાખી

બેઠક અનુસાર મળેલ મતો અને લીડ

ગણદેવી ન. પા. વોર્ડ 3 ની એક બેઠક પર ભાજપના ઇદરીશ તાઈને 880 મતો મળ્યા હતા, અહીં આપને 216 અને કોંગ્રેસને ફક્ત 34 મતો મળ્યા હતા. જેથી ઇદરીશ તાઈ 680 મતોની લીડથી જીત્યા હતા. બીલીમોરા ન. પા. ના વોર્ડ નં. 6 ની એક બેઠક પર ભાજપના હેતલબેન દેસાઈને 2033 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 215 અને આપને 124 મતો મળતા, તેમનો 1818 મતોની લીડથી વિજય થયો હતો. નવસારી જિલ્લા પંચાયતની 18 રૂમલા બેઠક પર ભાજપના બાલુ પાડવીને 8077 મતો મળ્યા હતા. જેની સામે કોંગ્રેસને 5842 અને આપને 1538 મતો મળ્યા હતા. જેથી બાલુ પાડવીનો 2232 મતોની લીડથી વિજય થયો, પરંતુ ગત ટર્મની લીડથી 3296 મતો ઓછા છે. વાંસદા તાલુકા પંચાયતની 28 ઝરી બેઠક પર કોંગ્રેસના ધનજી પટેલને 3015 મતો મળ્યા હતા. જેની સામે ભાજપના સંજય પટેલને 1724 મતો મળ્યા હતા, જેથી ધનજી પટેલની 1291 મતોની લીડથી જીત નોંધાઈ હતી.

આ પણ વાંચો : આજે સર્વપૃતિ અમાસ શ્રાદ્ધનો છેલ્લો દિવસ, જાણો આજે કઈ રીતે અને કયા લોકોનું શ્રાદ્ધ કરી શકાય?

આ પણ વાંચો : Navratri 2021: નવરાત્રીમાં કલશની સ્થાપના માટે શુભ મુહર્ત, પૂજા પદ્ધતિ અને સામગ્રીની યાદી જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.