- વરસાદ અટકે નહીં, તો ડાંગરની કાપણી કરવા અંગે ખેડૂતોમાં ચિંતા
- ડાંગરમાં ફૂગજન્ય રોગ ફેલાવાની સંભાવના
- ઉભેલી ડાંગર વરસાદને કારણે જમીન પર ઢળી પડી
નવસારી: જિલ્લામાં આદિવાસી પર્વતીય વિસ્તારને છોડીને નહેર આધારિત ખેતી હોવાથી જુલાઈ મહિનામાં મોટા પ્રમાણમાં ડાંગરના પાકનું વાવેતર થાય છે. જે ત્રણથી ચાર મહિનામાં એટલે સપ્ટેમ્બરના અંત સુધીમાં તૈયાર થઇ જાય છે. જેથી ખેડૂતો કાપણીની તૈયારી કરતા હોય છે પરંતુ ચોમાસાની પેટર્ન બદલાતા, સપ્ટેમ્બર પૂરો થવાને આરે હોવા છતાં વરસાદ છે કે અટકવાનું નામ નથી લઇ રહ્યો. જેને કારણે જિલ્લાના નવસારી, ગણદેવી, જલાલપોર તાલુકામાં તૈયાર થયેલી ઉભી ડાંગરને નુકસાનીની સંભાવના સેવાઈ રહી છે. ખેતરોમાં ડાંગરની કંઠી બંધાય છે, જે નીચે જમીન પર પડવાથી ફરી ઉગી નીકળે એની ભીતી છે. સાથે જ ઊભેલી ડાંગરમાં રોગ લાગી જાય તો ખેડૂતોને માથે હાથ દઇને રોવાનો વારો આવશે. જેથી હવે મેઘરાજા ખમૈયા કરે એવી પ્રાર્થના ખેડૂતો ઇન્દ્રદેવને કરી રહ્યા છે.
આ પણ વાંચો: Groundnut registration started: પ્રથમ 4 કલાકમાં 13,681 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
ડાંગરને બચાવવા પાણીનો નિતાર, છોડને ટેકો આપવાની ભલામણ
જિલ્લામાં ગત ત્રણ વર્ષોમાં પાછોતરા વરસાદને કારણે લીલા દુષ્કાળની સ્થિતિ બની હતી અને ખેડૂતોએ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. આ વર્ષે જિલ્લામાં 55 થી 60 હજાર હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. હાલ સિઝનનો લગભગ અડધાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેથી વધુ વરસાદ ડાંગરનો તૈયાર પાક બગાડશેની ચિન્તા ખેડૂતોને કોરી રહી છે. વધુ વરસાદથી ડાંગરને બચાવવા કૃષિ નિષ્ણાંતો ખેતરમાં ડાંગરના ક્યારામાંથી પાણીનો નિકાલ કરવા સાથે ઢળી પડેલી ડાંગરના બે-ત્રણ છોડને બાંધીને સીધા રાખવા અથવા લાકડાના ટેકા આપવાની ભલામણ કરી રહ્યા છે. જેની સાથે જ પાણી અને હવાથી ફેલાતા ડાંગરના રોગને અટકાવવા જ્યાં રોગની અસર દેખાય એ કંઠીને હાથ લગાવ્યા વિના કાઢી જમીનમાં દાટી દેવાની સલાહ આપી રહ્યા છે.
આ પણ વાંચો: વલસાડમાં છેલ્લા 3 વર્ષની જેમ આ વર્ષે પણ જૂન મહિનામાં ઓછો વરસાદ પડ્યો, ખેડૂતોમાં ચિંતા
ખેતીમાં નુકશાનથી બચવા ખેડૂતોની ભગવાનને પ્રાર્થના
નવસારીના આદિવાસી પટ્ટા સિવાયના ખેડૂતો નહેર આધારિત ખેતી કરે છે. જેમાં પાછોતરો વરસાદ નવસારીના ડાંગર પકવતા ખેડૂતો માટે આફતરૂપ સાબિત થઇ શકે છે, ત્યારે ખેતીમાં નુકસાનથી બચાવવા ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.