દાદરા નગર હવેલીમાં સેલવાસ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દાદરા નગર હવેલીના પ્રદેશ પ્રમુખ પ્રભુ ટોકીયા અને આદિવાસી એકતા પરિષદના સભ્યો દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પ્રભુ ટોકીયાએ જણાવ્યું હતું કે, "દાદરા નગર હવેલીમાં સરકારી વિભાગોમાં 30 વર્ષથી કામ કરતા 500 જેટલા કર્મચારીઓને પ્રશાસને અચાનક જ ફરજમુક્ત કરી દીધા છે. જેનો એક પણ જન પ્રતિનિધિએ વિરોધ કર્યો નથી. આ ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ સરકારી પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જે અંગે જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક સરપંચો સહિતના તમામ જવાબદાર અધિકારી અને જનપ્રતિનિધિઓ સમક્ષ કાર્યવાહી કરવામાં આવે."
દાદરા નગર હવેલી દમણ અને દીવ એક જ પ્રશાસન નીચે લાવવાના આ નિર્ણય અંગે પણ તેમણે પોતાનો બળાપો કાઢતા પ્રભુ ટોકીયાએ જણાવ્યું હતું કે, "આ અંગે હજુ સુધી પ્રશાસન દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. દાદરા નગર હવેલીની જનતા વિલીનીકરણ મુદ્દે શું ઈચ્છે છે. તે માટે કોઈને સાંભળ્યા વિના જ વિલીનીકરણની વાત કરવામાં આવી છે. જેનાથી દાદરા નગર હવેલીના આદિવાસીઓનું અસ્તિત્વ જોખમમાં મૂકાયું છે.
દાદરા નગર હવેલીમાં ઔદ્યોગિક એકમો બાદ પણ સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી. વિકાસના નામે પાણીની પણ પૂરતી સુવિધા નથી. ભ્રષ્ટાચારે માજા મુકી છે. ત્યારે, દાદરા નગર હવેલી, દમણ અને દીવના વિલય બાદ કેવી રીતે માની શકાય કે પ્રદેશમાં પ્રગતિ થશે. આ અંગે પ્રશાસને બેઠક કરવી જોઈએ અને તે બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. હાલમાં જે કંઈપણ નીતિઓ પ્રશાસન અખત્યાર કરી રહ્યું છે. તે તમામ નીતિઓ આદિવાસીઓના હકને કચડવા સમાન છે.
ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલી, દમણ અને દીવને એક એક પ્રશાસન હેઠળ આવરી લેવાની ચર્ચાએ વિસ્તારમાં જોર પકડ્યું છે. એ ઉપરાંત હાલમાં જ પ્રશાસન દ્વારા છેલ્લા 30 વર્ષથી સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા 500 જેટલા કર્મચારીઓને ફરજ મુક્ત કરી દેવાયા છે. તેમજ વિકાસના નામે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનું સામે આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આદિવાસી એકતા પરિષદે ઉચ્ચારેલી ચીમકીથી પ્રશાસન કેટલું હરકતમાં આવે છે.