શા માટે કચ્છમાં આવે છે વારંવાર ભૂકંપ?

author img

By

Published : Aug 7, 2021, 5:06 PM IST

કચ્છ જિલ્લામાં અવારનવાર ભૂકંપના આંચકા

કચ્છ જિલ્લામાં અવારનવાર ભૂકંપ(Earthquake)ના આંચકા આવતા હોય છે. વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ કચ્છમાં કંપનો હવે સામાન્ય બની ગયા છે, તો મહિનામાં 3 થી 4ની તીવ્રતાના આંચકા અનુભવતા હોય છે. કેટલાક સમયે તો વાગડમાં આવતા આંચકા છેક ભુજ સુધી અનુભવાય છે. ધરતીના પેટાળમાં બે પ્લેટો વચ્ચે હલનચલન થાય ત્યારે ભૂકંપના આંચકા આવતા હોય છે.

  • જાણો કચ્છમાં અવારનવાર આવતા આંચકાઓ વિશે
  • વાગડ વિસ્તારમાં જ બે ફોલ્ટલાઈન મર્જ થતી હોવાથી નવા આંચકાઓ નોંધાય છે
  • કચ્છ જિલ્લામાં છેલ્લાં 6 મહિનામાં 92 જેટલા આંચકા અનુભવાય છે

કચ્છ: પ્લેટો વચ્ચેની ધ્રુજારી આપણે અટકાવી શકીએ નહીં, પરંતુ ભૂકંપથી થતી નુકસાની અટકાવી શકાય છે, જેથી ભૂકંપના આંચકાથી બચવા લોકોએ સતર્ક રહેવું જરૂરી છે. વર્ષ 2001માં ભૂકંપ(Earthquake) આવ્યા બાદ કચ્છમાં કંપનનો દોર યથાવત રહેતા વર્ષ 2015માં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા કચ્છ યુનિવર્સિટીને ભૂકંપના સંશોધન માટે સૂચના આપી હતી. કચ્છમાં ભૂકંપની 6 ફોલ્ટલાઈન આવેલી છે.

આ પણ વાંચો- શું સૌરાષ્ટ્રમાં આવતા ભૂકંપના આંચકા માટે અતિવૃષ્ટિ છે જવાબદાર? જુઓ વિશેષ અહેવાલ

ફોલ્ટલાઈનોમાં સંશોધન માટે જુદા-જુદા 8 પ્રોજેક્ટ હાથ ધરાયા

ફોલ્ટલાઈનોમાં સંશોધન માટે જુદા-જુદા 8 પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યા હતા, જેનું સમાપન આ વર્ષે થયું છે. ખાસ તો કઈ ફોલ્ટલાઈનમાં કયા સમયે કેટલી તીવ્રતાનો આંચકો આવે છે, કઈ ફોલ્ટલાઈન વધુ સક્રિય છે, તેની આસપાસના વિસ્તારોમાં કેટલી નુકસાનીની તીવ્રતા છે તે સહિતના તારણનો અભ્યાસ કરાયો હતો.

કચ્છ જિલ્લામાં અવારનવાર ભૂકંપના આંચકા

વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છ મેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે

ભૂકંપ(Earthquake)અંગે છેલ્લા 6 વર્ષથી સંશોધનો કરવામાં આવ્યા હતા, જેના તારણો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ વિભાગને સોંપવામાં આવ્યા છે. વાગડમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છ મેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે, જેથી આ બે લાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે.

બાંધકામ કરતા પૂર્વે ફોલ્ટલાઈનને ધ્યાને લઈએ તો નુકસાનીથી બચી શકાય

વાગડ વિસ્તારમાં જ્યાંથી ફોલ્ટલાઈન પસાર થાય છે, તે ફોલ્ટલાઈન આપણે બંધ કરી શકીએ નહીં. કારણ કે, આ કુદરતી ઘટના છે, જેથી આ વિસ્તારમાં બાંધકામ કરતા પૂર્વે ફોલ્ટલાઈનને ધ્યાને લઈએ તો નુકસાનીથી બચી શકીએ તેમ છે. મોટાભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ધરતીકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે.

વાગડ વિસ્તારમાં જ બે ફોલ્ટલાઈન મર્જ થતી હોવાથી નવા આંચકાઓ નોંધાય છે

જે-તે સમયે ભૂકંપ(Earthquake) આવ્યો, ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયો, જેના કારણે 6 મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા 75 કિ.મી. સુધી પ્લેટો તૂટી ગઈ હતી, જેની નુકસાની આજે પણ યથાવત રહેતા આ વિસ્તારમાં આંચકા આવતા હોય છે. આ નુકસાની હજુ સુધી પૂર્ણ થઈ ન હોવાથી તેમજ બે ફોલ્ટલાઈન મર્જ થતી હોવાથી લાંબુ ભંગાણ થયું છે, જેથી ભૂકંપના નવા આંચકા આ વિસ્તારમાં નોંધાવા સામાન્ય બાબત છે.

છેલ્લાં 6 મહિનામાં કચ્છ જિલ્લામાં 92 આંચકા આવ્યા

કચ્છ જિલ્લામાં 1લી ફેબ્રુઆરીથી આજે 7 ઓગસ્ટ સુધી 92 જેટલા ભુકંપ(Earthquake)ના આંચકા અનુભવાયા હતા. ફેબ્રઆરીમાં 11, માર્ચમાં 16, એપ્રિલમાં 21, મે મહિનામાં 13, જૂન મહિનામાં 14, જુલાઈ મહિનામાં 11, ઓગસ્ટમાં અત્યાર સુધી 6 જેટલા આંચકા અનુભવાયા હતા. 2થી 2.9ની તીવ્રતાના 73, 3થી 3.9ની તીવ્રતાના 17 તથા, 4થી 4.9ની તીવ્રતાના 2 આંચકા નોંધાયા છે.

આ પણ વાંચો- 2001ના ભૂકંપથી કચ્છમાં 105 લોકોને પેરાપ્લેજીયા રોગ થયો, અપૂરતા વળતર સહિતની સમસ્યાઓને લઈને રજૂઆત

હળવા કંપનોના કારણે પણ લોકોમાં ખોટો ગભરાટ ફેલાતો હોય છે

કચ્છમાં દરરોજ ભૂકંપ(Earthquake)ના આંચકા આવતા હોય છે. અવાર-નવાર ભચાઉ, રાપર, દુધઈ, ધોળાવીરા, ખડીર આ તરફ પશ્ચિમમાં તાજેતરમાં ખાવડા, સુખપર, લખપત સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. ભૂકંપના આંચકાની માહિતી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે.

હવે 2.5ની તીવ્રતાથી વધુનો આંચકો હશે તો જ તેની વિગતો જાહેર કરાશે

હળવા કંપનોના કારણે લોકોમાં ખોટો ગભરાટ ફેલાતો હોવાથી નવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હવે 2.5ની તીવ્રતાથી વધુનો આંચકો હશે તો જ તેની વિગતો જારી કરાશે. આ નિર્ણયની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે. આ અંગેની વિગતો મુજબ કચ્છમાં 2001માં આવેલા ભૂકંપ બાદ ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલા ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા ભૂકંપ(Earthquake)નું માપન કરવાની કામગીરી શરૂ કરાઈ હતી.

આઈએસઆર ગાંધીનગર નામની વેબસાઈટ પર આંચકાની વિગતો જાણી શકાશે

આઈએસઆર ગાંધીનગર નામની વેબસાઈટ પર લેટેસ્ટ અર્થક્વેક પર ક્લિક કરીએ તો આપણને ભૂકંપ(Earthquake)ના આંચકાની વિગતો મળે છે, તેમાં કેટલા મેગ્નિટ્યૂડનો આંચકો કયા સ્થળે અને જમીનમાં કેટલી ઉંડાઈએ તથા કેટલી તીવ્રતાનો હતો તેની વિગતો આપવામાં આવે છે.

કચ્છમાં અવાર-નવાર 1 કે 2ની તીવ્રતાના આંચકા નોંધાતા હોય છે

કચ્છમાં અવાર-નવાર 1 કે 2ની તીવ્રતાના આંચકા નોંધાતા હોય છે. આવા આંચકાઓને હળવા કંપન તરીકે ઓળખવામાં આવે છે. કચ્છની પરિભાષામાં કહીએ તો 3.5થી વધુનો આંચકો હોય તો જ ગંભીર ગણવામાં આવે છે. બાકીના આંચકાઓને સામાન્ય માનવામાં આવે છે. જો કે, વેબસાઈટ પર દરરોજ આંકડા અપડેટ થતા હોવાથી લોકોમાં ભય ન ફેલાય એ માટે હવે 2.5થી વધુ તીવ્રતાના આંચકાની વિગતો જ વેબસાઈટ પર મૂકવામાં આવશે, જેની અમલવારી શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો-લદ્દાખમાં 5.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

જાણો શું કહ્યું કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયર્મેન્ટ વિભાગના હેડે?

કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયર્મેન્ટ વિભાગના વડા ડૉ. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, કચ્છની સાથે ભુકંપ(Earthquake) જોડાયેલો છે. કચ્છમાં નોર્થ કાઠિયાવાડ ફોલ્ટ, સાઉથ વાગડ ફોલ્ટ, કચ્છ મેઇનલાઈન ફોલ્ટ, હિલ ફોલ્ટ, આઇલેન્ડ મેનફોલ્ટ, નગરપાર્કર ફોલ્ટલાઈન આવેલી છે, જેમાં હંમેશા આંચકા આવતા રહેતા હોય છે. અવાર-નવાર 2થી લઈને 4ની તીવ્રતાના કંપન પણ નોંધાતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.