'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા': 1લી નવેમ્બરથી રણોત્સવનો થશે શુંભારંભ

author img

By

Published : Oct 29, 2021, 5:10 PM IST

'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા': કચ્છમાં 1લી નવેમબરથી રણોત્સવનો શુંભારંભ થશે

'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' આ પંક્તિને સાર્થક કરતું અને વિશ્વનાં દરેક પ્રવાસીઓને આકર્ષતું કચ્છનું સફેદરણ જેમાં દર વર્ષે શિયાળા દરમિયાન રણોત્સવ(Ranotsav)નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પ્રવાસીઓને આવકારવા માટે સજ્જ થઈ રહ્યું છે. આ વખતે રણોત્સવ(Ranotsav)નું આયોજન 1 નવેમ્બર થી 20 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે અને અત્યારથી જ ટેન્ટસીટી અને સફેદ રણની આસપાસનાં ગામોમાં આવેલ પ્રાઇવેટ હોટલ અને રિસોર્ટનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે.

  • 1લી નવેમ્બરથી 20 ફેબ્રુઆરી સુધી યોજાશે રણોત્સવ
  • ટેન્ટ અને પ્રાઇવેટ હોટલોમાં 60 થી 70 ટકા બુકિંગ
  • 350 ટેન્ટમાં 3000 લોકોએ અત્યાર સુધી કરાવ્યું બુકિંગ
  • 5 પ્રકારના ટેન્ટનું આયોજન કરવામાં આવ્યું
  • જુદી જુદી કેટેગરીનાં ટેન્ટ અને પેકેજ ઉપલબ્ધ

કચ્છ : કચ્છનાં સફેદ રણને તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના દેશનાં વડાપ્રધાન મોદી(Prime Minister Modi)એ વિશ્વ સમક્ષ મૂક્યું હતું. ત્યાર બાદથી સફેદ રણમાં રણોત્સવ(Ranotsav)નું આયોજન કરવામાં આવે છે અને દર વખતે અલગ અલગ થીમ બનાવી ડેકોરેશન કરવામાં આવે છે. ત્યારે આ વખતની થીમ 'અતુલ્ય ભારત'ની રાખવામાં આવી છે. આ રણોત્સવ 1 લી નવેમ્બરથી શરૂ થશે અને ચાર મહિના સુધી લાંબો ચાલશે એટલે કે 20મી ફેબ્રુઆરી સુધી ચાલશે.

'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા': કચ્છમાં 1લી નવેમબરથી રણોત્સવનો શુંભારંભ થશે

છેલ્લાં બે વર્ષ કરતાં આ વર્ષે સારું બુકિંગ

Lallooji & Sons નાં PRO અમિત ગુપ્તા એ જણાવ્યું હતું કે, "રણોત્સવ(Ranotsav) 1 લી નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે ત્યારે સફેદરણમાં આવેલ ટેન્ટસિટીમાં દર વખતે 350 જેટલા ટેન્ટ હોય છે અને જેમાં અત્યાર સુધીમાં 3000 જેટલું બુકિંગ થઈ ચૂક્યું છે. ખાસ કરીને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં બુકિંગ થયું છે. ઉપરાંત ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાં માટે પણ મોટા પ્રમાણમાં બુકિંગ થઈ ગયું છે. ફૂલ મુન નાઈટ માટે પણ ઘણા લોકોએ બુકિંગ કરાવ્યું છે અને છેલ્લાં બે વર્ષ કરતા આ વર્ષે સારું બુકિંગ થશે તેવુ લાગી રહ્યુ છે"

રિસોર્ટમાં પણ 60 થી 70 ટકા એડવાન્સ બુકિંગ

ધોરડો ગામના સરપંચ મિયાં હુસેને જણાવ્યું હતું કે, "રણોત્સવ(Ranotsav) માણવાં આવતા પ્રવાસીઓને જ્યારે ટેન્ટ સિટી ફુલ હોય ત્યારે ટેન્ટ મળતાં નથી. ત્યારે સફેદ રણની આસપાસ આવેલ ગામ હૉડકો અને ધોરડોમાં પણ પ્રવાસીઓ રોકાણ માટે આવે છે ત્યારે કુલ 40 જેટલા પ્રાઇવેટ હોટલ અને રિસોર્ટમાં પણ 60 થી 70 ટકા એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે."

5 પ્રકારના ટેન્ટનું આયોજન કરવામાં આવ્યું

ટેન્ટ સિટીમાં 5 પ્રકારના ટેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરબારી, રજવાડી, પ્રીમિયમ, ડીલક્ષ એસી સ્વિસ કોટેજ અને નોન એસી સ્વિસ કોટેજનો પણ સમાવેશ થાય છે. આ ટેન્ટ સિટી તેમજ સંપૂર્ણ રણોત્સવનું આયોજન અને સંચાલન Lallooji & Sons દ્વારા કરવામાં આવતું હોય છે. ઉપરાંત 1 Night And 2 Days, 2 Nights And 3 Days અને 3 Nights And 4 Days નાં જુદાં જુદાં પેકેજ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે.

ફુલ મૂન અને દિવાળીનાં દિવસોમાં ટેન્ટના ભાવમાં ફેરફારો

ટેન્ટ સિટીના ટેન્ટનાં ભાવ નવેમ્બર થી ફેબ્રુઆરીમાં ફુલ મૂન અને દિવાળીને બાદ કરતાં બાકીનાં દિવસો માટે અલગ ભાવ હોય છે. 4 નવેમ્બર થી 9 નવેમ્બર તથા ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ ટેન્ટનાં ભાવ અલગ અલગ હોય છે તથા ફુલ મૂન માટેનાં દિવસનાં તમામ ટેન્ટનાં ભાવ પણ અલગ અલગ હોય છે.

જુદી જુદી કેટેગરીનાં ટેન્ટ અને પેકેજ

પ્રીમિયમ ટેન્ટનાં ભાવ વ્યક્તિદીઠ 7,649 રૂપિયા થી કરીને 24,449 રૂપિયા, ડીલક્ષ એસી સ્વિસ કોટેજના ભાવ 6,149 રૂપિયા થી લઈને 21,449 રૂપિયા, નોન એસી સ્વિસ કોટેજનાં ભાવ 4,149થી લઈને 17,949 રૂપિયાનાં સુધીનાં પેકેજ પ્રવાસીઓને આકર્ષવા માટે ઉપલબ્ધ છે. ઉપરાંત દરબારી અને રજવાડી લુક પણ લોકોને ખૂબ આકર્ષે છે ત્યારે દરબારી ટેન્ટનાં ભાવ 50,000 રૂપિયા થી લઈને 1,40,000 રૂપિયા સુધીના પેકેજ ઉપલબ્ધ છે જેમાં દરબારી ટેન્ટમાં 4 લોકો રહી શકે છે. રજવાડી ટેન્ટનાં ભાવ 25,000 થી લઈને 65,000 રૂપિયા સુધીનાં પેકેજ ઉપલબ્ધ છે જેમાં 2 લોકો રહી શકે છે.

ગત વર્ષે કોરોનાને લીધે રદ કરાયો હતો રણોત્સવ

છેલ્લાં દોઢેક વર્ષથી લોકો કોરોનાંની મહામારીનો સામનો કરી રહ્યા છે ત્યારે ગત વર્ષે કોરોનાને કારણે રણોત્સવનું આયોજન કરવામાં નહોતું આવ્યું. આ વર્ષે હવે બીજી લહેર પૂર્ણ થઈ ચૂકી છે અને ત્રીજી લહેરની સંભાવના નહિવત જોવા મળી રહી છે તેમજ વેક્સિનેશન પણ પૂરજોશમાં થઈ રહ્યું છે, ત્યારે ફરીથી રણોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનાં કારણે સફેદ રણનાં આજુ બાજુનાં ગામનાં લોકોને પણ રોજગારી મળી રહેશે.

પ્રવાસીઓને આકર્ષવા કરાશે સુશોભનો

રણોત્સવનાં ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની માહિતી મુજબ પ્રથમ વખત દેશભરનાં હસ્ત કળાનાં કારીગરોને પ્રવાસન વિભાગ આમંત્રણ આપશે. તો પ્રવાસીઓને આકર્ષવા BSF ચોકીથી વોચ ટાવર સુધી લાઈટિંગ પણ કરવામાં આવશે. દેશ વિદેશનાં પ્રવાસીઓને આકર્ષતા આ ઉત્સવ માટે ભિરંડીયારા થી ધોરડો સુધી કુલ 40 જેટલા નાના મોટા રીસોર્ટ્સમાં પણ રણોત્સવ જેવો માહોલ શરૂ થશે.

'અતુલ્ય ભારત' થીમ સાથે લાઈવ ડેમોસ્ટ્રેશનની વ્યવસ્થા

દર વખતે રણોત્સવમાં જુદી જુદી થીમ હોય છે ત્યારે આ વખતે પણ 'અતુલ્ય ભારત' થીમ રાખવામાં આવી છે. સફેદ રણમાં દર વર્ષે પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી ચાર મહિના માટે બંધાય છે. જેમાં 350 જેટલા તંબુ નવ ક્લસ્ટરમાં ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ વર્ષે કચ્છનાં દરેક ખૂણાના કારીગરો માટે લાઈવ ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની આઠ ખ્યાતનામ હસ્તકળા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે અને તે માટે કારીગરોને તેમને વળતર પણ ચુકવવામાં આવશે.

આ પણ વાંચો : બેગુસરાયના સૌરભે કેબીસીમાં જીત્યા 25 લાખ, સૌરભની કહાની સાંભળીને બચ્ચન હેરાન

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 સમિટમાં ભાગ લેવા ઇટલી પહોંચ્યાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.