ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પત્રિવિધિનો એકમાત્ર અધિકાર કચ્છના મહારાણીને

author img

By

Published : Sep 21, 2021, 9:54 PM IST

Court of Bhuj

માતાના મઢ ખાતે વર્ષોથી કરવામાં આવતી ચામર- પત્રિવિધી અંગે ભુજ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં આ વિધીનો એકમાત્ર અધિકાર કચ્છનાં રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીને આપવામાં આવ્યો છે.

  • ભુજની કોર્ટનો માતાના મઢની પત્રિવિધી બાબતે ઐતિહાસિક ચુકાદો
  • પત્રિવિધીનો એકમાત્ર અધિકાર કચ્છના મહારાણીને
  • 350 વર્ષથી ચાલી આવતી પત્રિવિધીના અધિકાર અંગેના વિવાદનો આવ્યો ચુકાદો

કચ્છ: આ સમગ્ર કેસ 26 સપ્ટેમ્બર 2009 ના રોજ સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ નવરાત્રિ દરમ્યાન પત્રિવિધીની પૂજા માટે માતાના મઢ ગયા હતા. તે સમયે ચાચરા કુંડ મધ્યે જતા પગથિયા ચડતી વખતે તકલીફ ઉભી થતાં તેઓ તેવી પરિસ્થિતિમાં બાકીની વિધિ પૂરી કરી શકે તેવી પરિસ્થિતિ ન હોતાં. તેમની સાથે રહેલા જુવાનસિંહ હમીરસિંહ જાડેજાને આ વિધિ કરવા માટે જણાવ્યું હતું. તે સમયે માતાના મઢના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા દ્વારા આ વિધિ કરતા તેમને રોકેલા અને તેથી સૈકાઓથી ચાલી આવતી તે પત્રિવિધી સંપન્ન થઈ નહીં.

પત્રિવિધિનો એકમાત્ર અધિકાર કચ્છના મહારાણીને

2010 માં પણ પત્રિવિધી માટે લખપત -દયાપરની કોર્ટમાં પણ સ્વ. પ્રાગમલજી ત્રીજા દ્વારા કરાઈ હતી અપીલ

સ્વ. મહારાવ પ્રગામલજી ત્રીજા ઓફ કચ્છ દ્વારા આ બાબતે નખત્રાણાની કોર્ટમાં યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા વિરૂધ્ધ દાવો નોંધાવ્યો હતો. જે દાવામાં ત્યારબાદ હનુવંતસિંહ મદનસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જોરાવરસિંહ જાડેજા તથા દેવેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા પણ પ્રતિવાદી તરીકે પાછળથી દાખલ થયેલા. જે બાદ દયાપરની કોર્ટમાં આ દાવો તબદિલ થયો અને દયાપરની કોર્ટ દ્વારા 6 માર્ચ 2019 ના રોજ ચુકાદો આપ્યો અને આ ચુકાદા મુજબ સ્વ. મહારાવ પ્રગામલજી ત્રીજા ઓફ કચ્છ સ્વ. રાજવી મહારાવ મદનસિંહજીના મોટા પુત્ર તરીકે કરી શકશે તેવું ઠરાવ્યું હતું અને તેમની અનઉપસ્થિતિ કે, અસમર્થતતામાં આ પત્રિવિધી રાજવી કુળના વંશાનુક્રમે આવતી નજીકની વ્યકિત રાજ કુટુંબના મુખ્ય વ્યકિત સાથે રહીને કરી શકશે, તેવું ઠરાવ્યું તથા વધુમાં આવી વિધિ થાય તે બાબતે યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા વિરૂદ્ધ મનાઈ હુકમ ફરમાવ્યો હતો.

પત્રિવિધિનો એકમાત્ર અધિકાર કચ્છના મહારાણીને
પત્રિવિધિનો એકમાત્ર અધિકાર કચ્છના મહારાણીને

સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજા અવસાન પામતા તેમના વારસ તરીકે મહારાણી પ્રીતિદેવીએ દાખલ થવા અરજી કરી

આ હુકમના સંદર્ભમાં દયાપર કોર્ટે એવું ઠરાવ્યું હતું કે, અનઉપસ્થિતિ કે, અસમર્થતતામાં આ પત્રિવિધી રાજવી કુળના વંશાનુક્રમે આવતી નજીકની વ્યકિત રાજ કુટુંબના મુખ્ય વ્યકિત સાથે રહીને કરી શકશે. તેટલા પૂરતું હુકમ યોગ્ય ન હોતાં સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા ભુજની કોર્ટમાં અપીલ કરી અને આ જ હુકમને હનુવંતસિંહ મદનસિંહ જાડેજા દ્વારા પણ પડકારવામાં આવ્યો હતો. દયાપર કોર્ટના હુકમને બાકીના પક્ષકારોએ પડકાર્યો નહીં. જે બાદ હનુવંસિંહજી મદનસિંહ જાડેજા દ્વારા પોતે કરેલી અપીલ પાછી ખેંચી હતી. આ દરમ્યાન સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ અવસાન પામતા તેમના વારસ તરીકે મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છએ દાખલ થવા અરજી કરી હતી, જે કોર્ટે મંજૂર કરી હતી.

ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

પ્રતિવાદીઓને આ વિધિ માટે કોઈ અધિકાર પણ નથી તેવું કોર્ટે જણાવ્યું હતું

પક્ષકારોને સાંભળી ભુજના દેશમા અધિક ડિસ્ટ્રીકટ જજ દ્વારા 20 સપ્ટેમ્બર 2021 ના ચુકાદો આપી અપીલ અંશતઃ મંજૂર કરી અને ઠરાવ્યું કે, આ પત્રિવિધી મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છએ જ્યાં સુધી પોતે હયાત હોય ત્યાં સુધી જાતે કરે તથા આ વિધિ અન્ય કોઈને ટ્રાન્સફર ન કરવાનું ઠરાવ્યું હતું તથા તમામ પ્રતિવાદીઓ વિરૂદ્ધ મનાઈ હુકમ ફરમાવ્યો છે. કોર્ટે એ પણ નોધ્યું છે કે, હનુવંતસિંહ જાડેજાએ આ ચામર તથા પત્રિવિધીમાં છેલ્લા 30 વર્ષથી ભાગ લીધો નથી. વધુમાં જણાવ્યું છે કે તેમનો આ વિધિ માટે કોઈ અધિકાર પણ નથી.

ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

કોર્ટે જેન્ડર ભેદ રહ્યો નથી તેનો પણ ઉલ્લેખ કર્યો

આ ચુકાદામાં કોર્ટ દ્વારા પ્રતિપક્ષની એ પ્રકારની દલીલ કરી કે, મહિલાઓ આ પ્રકારની પત્રિવિધી કે પૂજા કરી શકે નહી. તે અંગે ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે, આ સાંભળીને કોર્ટને ખુબ જ શોક લાગ્યો છે. વધુમાં કોર્ટે એવું પણ નોંધ્યું તથા તારણ આપ્યું કે, હાલમાં જેન્ડર ભેદ રહ્યો નથી તથા ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાએ કન્વેન્શન ઓન ધી એલીમીનેશન ઓફ ઓલ ફોર્મસ ઓફ ડિસ્ક્રિમીનેશન અગેઈન્સ્ટ વુમન (CEDAW) કે, જેને 1979માં UN જર્નલ એસેમ્બલીએ પણ એડોપ્ટ કરેલો છે તથા તમામ રાજ્યોમાં પણ આ બાબતે યોગ્ય પગલા ભરાય તેની ખાતરી આપી છે, ત્યારે મહિલાઓ પ્રત્યેનો ભેદ ન રહેવો જોઈએ. એટલું જ નહીં તેમણે કહ્યું કે, ભૂતકાળમાં રાણી લક્ષ્મીબાઈએ પણ રાજ સંભાળેલું અને અગાઉની પ્રથા જેવી કે, સતી પ્રથા વગેરેને પણ નાબુદ કરી છે, ત્યારે આ પ્રકારનો ભેદભાવ અયોગ્ય છે.

આ ચુકાદો મહિલાઓની સમાનતા માટેનો છે

વધુમાં કોર્ટે એ પણ નોંધ્યું છે કે, આ પૂજા આશાપુરા માતા સમક્ષની છે અને હાલના કેસમાં મહિલા જ માતા સામે આ પ્રકારની પૂજા કરવાની છે. જો એક મહિલાને પૂજા કરતા રોકવું એ ખુબ જ ખોટો દાખલો બનશે. વધુમાં કોર્ટે નોંધ્યું છે કે, હાલના સંજોગોમાં માત્ર સરકાર નહીં પરંતુ તમામ નાગરિકો પણ સાથે મળીને આવા પ્રકારની પ્રથાને કે, વિચારને કે જેમાં મહિલાઓને સમાનતા ન મળતી હોય તે માટે આગળ આવવું જોઈએ તથા પ્રયત્ન કરવા જોઈએ. વધુમાં કોર્ટે સ્પષ્ટપણે અભિપ્રાય આપ્યો છે કે, તમામે આ પૂજા માટે સપોર્ટ આપવો જોઈએ. આમ આ ચુકાદો મહિલાઓની સમાનતા માટેનો છે તથા વિધિઓના સંદર્ભમાં ઐતિહાસિક ચુકાદો બની રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.