આજે પ્રકૃતિ પૂજક આદિવાસીઓનો ખાસ "વિશ્વ આદિવાસી દિવસ"

author img

By

Published : Aug 9, 2021, 7:03 AM IST

વિશ્વ આદિવાસી દિવસ"

ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ડાંગ જિલ્લામાં આવેલી છે. અહીં 98 ટકા આદિવાસીઓ વસે છે. ડાંગનાં આદિવાસીઓની બોલી મરાઠી અને ગુજરાતી ભાષાની મિક્સ બોલી કહેવાય છે. તેઓ વર્ષોથી પ્રકૃતિ ઉપર નભે છે અને પ્રકૃતિ સાથે રહી પ્રકૃતિની પૂજા કરે છે. જંગલ અને પહાડી વિસ્તારમાં રહેતાં આદીવાસીઓ હવે મુખ્ય ધારા સાથે સંકળાયેલા છે. તેઓની રહેઠાણ અને પહેરવેશ ક્યાંક બદલાયેલો છે પરંતુ તેઓની વર્ષો જૂની સંસ્કૃતિ આજે પણ જળવાઈ રહી છે.

  • આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ
  • ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસ્તી ડાંગ જિલ્લામાં
  • ડાંગ જિલ્લાનાં પ્રકૃતિ પૂજક આદિવાસીઓનું જીવનધોરણ
  • ડાંગનાં આદિવાસીઓની રહેણીકરણી અને સંસ્કૃતિ વિશે જાણીએ

ડાંગ: 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસની સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ અલગ અલગ રીતે ઉજવણી કરે છે. ગુજરાતમાં પણ 15 ટકા વસ્તી આદિવાસીઓની છે, આશરે 1 કરોડ વસ્તી ધરાવતાં આદિવાસીનાં જુદાં જુદાં સમુદાય આવેલાં છે. પરંતુ દરેક સમુદાય મૂળ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. આદિવાસીઓને પ્રકૃતિ પૂજક ગણવામાં આવે છે. દરેક આદિવાસી સમાજની બોલી, રહેણીકરણી, રહેઠાણ પહેરવેશ જુદાં જુદાં છે. અંબાજીથી લઈ ડાંગ ઉમરગામ સુધી આદિવાસીઓની વસ્તી આવેલી છે. જેમાં ડાંગ જિલ્લાનાં આદિવાસીઓ સૌથી જુદા પડે છે.

વિશ્વ આદિવાસી દિવસ
પરંપરાગત વાદ્યો અને સંગીતનો વારસો

આદિવાસી સંગીત અને વાદ્યોનો અનોખો વારસો

વર્ષમાં અનેક આદિવાસી તહેવારો ઉજવાય છે અને પ્રસંગોપાત તેઓ પોતાના સંગીત વાદ્યો અને નાચગાન કરતાં રહે છે. ડાંગનાં આદિવાસીઓનો ડાંગી નાચ ખૂબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત ઠાકર્યા નાચ, પાવરી નાચ, કાહલ્યા નૃત્ય વગેરે આ દરેક નૃત્ય કે કથામાં તેઓ પોતાના જાતે બનાવેલાં સંગીત વાદ્યોનો ઉપયોગ કરે છે. જેમાં થાળી વાદ્ય પણ ખુબ જ પ્રખ્યાત છે. જે શુભ અને અશુભ બન્ને પ્રસંગે વગાડવામાં આવે છે. લહાન બરડાં ગામનાં થાળી વાદક શિવા લહરે જણાવે છે કે, તેઓનાં બાપ-દાદાથી ચાલતી આવેલી પરંપરાને તેમણે જાળવી રાખી છે અને આદિવાસીઓમાં પ્રસંગોપાત થાળી વાદ્ય વગાડવું જ પડે છે. સાથે ડાંગનું પાવરી વાદ્ય પણ આજે દેશવિદેશમાં જાણીતું બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પણ આ વાદ્ય સાંભળ્યુ છે, તેઓ જ્યારે મુખ્યપ્રધાન હતા તે સમયે ડાંગથી બહારના જિલ્લાઓમાં તેમણે ડાંગી નૃત્ય અને પવારી વાદ્યને પ્રોત્સાહન આપ્યું હતું અને આજે દેશમાં આવતા આંતરરાષ્ટ્રીય મહેમાનોના સ્વાગત માટે ખાસ ડાંગી નૃત્યનું આયોજન કરવામાં આવે છે.

વિશ્વ આદિવાસી દિવસ

ડાંગનાં આદિવાસીઓનું રહેઠાણ

જંગલમાં વસવાટ કરનાર આદિવાસી જંગલનાં પ્રાણીઓની પણ પુજા કરતાં હોય છે. જંગલ ઉપર નિર્ભર રહેનાર આદિવાસીનાં ઘર જંગલની વસ્તુઓમાંથી જ બનેલાં હોય છે. વાંસ, સાગી લાકડાં અને માટીનું લીપણ કરી તેઓ પોતાના ઘર બનાવે છે. સ્થાનિક આદિવાસી રેશમ ભાસ્કર નિકુલે જણાવે છે કે, તેઓ વર્ષોથી કાચા મકાનમાં રહેતાં આવ્યાં છે. માટી અને છાણથી લીપણ કરેલા ઘરમાં રહેવાનું તેઓને પસંદ છે. સાથે જ જૂની પરંપરાને તેઓ વળગી રહ્યાં છે અને તે પરંપરા જ તેઓને પસંદ છે. તેઓનાં ખોરાક નાગલી અને અડદની દાળ છે. તેઓ લોટ પણ હાથ વડે દળી શકાય તેવી ઘરઘંટીમાં જ દળે છે.

ડાંગી નૃત્ય
ડાંગી નૃત્ય

આદિવાસીઓ જંગલની પેદાશો ઉપર નભે છે

અહીંના સ્થાનિક લોકો જંગલમાં મળતી પેદાશ ઉપર પોતાનું જીવન ગુજારે છે અને જંગલમાંથી જ તેઓ રોજગારી મેળવે છે. પોતાની જરૂરિયાતની વસ્તુઓ તેઓ જાતે જ બનાવતાં હોય છે. સૂપદહાડ ગામના સ્થાનિક રહેવાસી જણાવે છે કે, તેઓ વાંસની બનાવટો બનાવીને વેચે છે, તેમાંથી તેઓને આવક પણ મળે છે. ઉપરાંત તેઓનાં ઘર અને ઘરનાં દરવાજા તેમજ ખેતીનાં સાધનો તેમજ ઘર ઉપયોગી અન્ય સાધનો તેઓ વાંસમાંથી જાતે જ બનાવે છે.

વિશ્વ આદિવાસી દિવસ
આજે પણ પોતાના હાથથી પરંરાગત રીતે દળેલું અનાજ વાપરે છે આદિવાસીઓ

દેશના એકમાત્ર ડાંગનાં આદિવાસી રાજાઓને પોલિટિકલ પેન્શન પણ મળે છે

ડાંગ જિલ્લાનાં આદિવાસી સ્વભાવે શાંત અને નિખાલસ છે. અહીં પાંચ રાજાઓ પણ છે. જેઓને આજે પણ સરકાર દ્વારા પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે. પ્રજા આ રાજાઓનું માનીને ચાલતી હોય છે. વાર તહેવારોમાં રાજાઓના આદેશ બાદ જ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ડાંગ જીલ્લામાં હોળી પછી ડાંગ દરબારએ મુખ્ય તહેવાર માનવામાં આવે છે. જેની લોકો આતુરતાથી રાહ જુએ છે.

વિશ્વ આદિવાસી દિવસ
ઘરવખરી અને ખેતીમાં હાથથી બનાવયેલા વાંસના સાધનોનો ઉપયોગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.