વર્લ્ડ કપ 2023: ફાઈનલ મેચ સંદર્ભે ભાવસિંહજી ક્રિકેટ કલબના પ્લેયર્સના રસપ્રદ મંતવ્યો

વર્લ્ડ કપ 2023: ફાઈનલ મેચ સંદર્ભે ભાવસિંહજી ક્રિકેટ કલબના પ્લેયર્સના રસપ્રદ મંતવ્યો
આવતીકાલે અમદાવાદમાં જે ફાઈનલ રમાવાની છે તેના પર ક્રિકેટ ફેન્સ પોતાના મંતવ્યો, અનુમાનો, સંભાવનાઓ અને અપેક્ષાઓ રજૂ કરી રહ્યા છે. ત્યારે ભાવનગરના ભાવસિંહજી ક્રિકેટ કલબના પ્લેયર્સ અને કોચે આ ખાસ મેચ સંદર્ભે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. વાંચો વિગતવાર ICC World cup 2023 final match india vs australia bhavnagar bhavshinhji cricket club young players coach
ભાવનગરઃ આવતીકાલની મેચનો ઉન્માદ અત્યારથી જ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ફેન્સ અને નાગરિકો ચોરેને ચૌટે આ ફાઈનલ મેચ પર ચર્ચા કરી રહ્યા છે. ક્રિકેટ રમતા પ્લેયર્સના અને ક્રિકેટ કોચના મંતવ્યો આ મેચ વિશે કેવા છે તે જાણીએ ભાવનગરની ભાવસિંહજી ક્રિકેટ કલબ એટલે કે ભરુચા ક્રિકેટ કલબના કોચ અને પ્લેયર્સ પાસેથી.
ભરુચા ક્રિકેટ કલબનો માહોલઃ જ્યારે ETV BHARATની ટીમ ભરુચા ક્રિકેટ કલબની મુલાકાતે પહોંચી ત્યારે ત્યાંનો માહોલ ઉત્સાહપૂર્ણ હતો. નવી પેઢીના 20થી વધુ ખેલાડીઓને કોચ હિમાંશુ શર્મા પ્રેક્ટિસ કરાવતા હતા. આ નવી પેઢીના ખેલાડીઓ ખુદ જાણે ફાઈનલ રમતા હોય તેવી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ યુવા ખેલાડીઓનું પર્ફોર્મન્સ અને ટીમ સ્પિરિટ કાબિલે દાદ હતા. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય ક્ષેત્રનું તેઓ સઘન પ્રશિક્ષણ લઈ રહ્યા હતા. બાઉન્ડરી પરના ઊંચા કેચ કેવી રીતે પકડવા તેની પ્રેક્ટિસમાં ખેલાડીઓએ ખૂબ રસ દાખવ્યો હતો.
ભારતના શરુઆતના પાંચેય બેટ્સમેન સદી કરી ચૂક્યા છે અને બધા જ ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 2003માં આપણને હરાવ્યા હતા, પરંતુ 2023માં 2003 જેવું પરિણામ નહિ આવે તે નક્કી છે. આ વખતની ફાઈનલ મેચ ભારત જ જીતશે...હિમાંશુ શર્મા(ક્રિકેટ કોચ, ભાવસિંહજી ક્રિકેટ કલબ, ભાવનગર)
નવી પેઢીના ખેલાડીઓના મંતવ્યોઃ ભાવનગરની ભરુચા ક્રિકેટ કલબમાં 20થી વધુ નવી પેઢીના ખેલાડીઓ ક્રિકેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ETV BHARATની ટીમે આવતીકાલની ઈન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ પર મંતવ્યો જાણ્યા હતા. યુવા પેઢીના ખેલાડીઓ જણાવે છે કે ભારતના દરેક બેટ્સમેન સારા ફોર્મમાં છે. રોહિત, કોહલી, ઐયર અને કે. એલ. રાહુલ સારુ પ્રદર્શન કરી મોટો સ્કોર ખડકી શકે તેમ છે. અમદાવાદની પિચ ફાસ્ટ બોલર્સ માટે અનુકુળ છે. જો કે ભારતીય સ્પિનર્સ જાડેજા અને કુલદીપને પણ સારી તક મળવાની સંભાવના છે. શામી, બુમરાહ અને સીરાજ સારુ પ્રદર્શન કરીને ભારતને જીત અપાવશે તેમાં કોઈ બેમત નથી. આજે 350 રન જેટલો સ્કોર થવાની સંભાવના છે. ઓસ્ટ્રેલિયા મજબૂત હરિફ હોવાથી મુકાબલો રોમાંચક બની રહેશે.ટૂંકમાં ભારતના દરેક ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે તેવી ભરુચા ક્રિકેટ કલબના યુવા ખેલાડીઓને આશા છે.
