Diwali 2023: નવા વર્ષે દેશવાસીઓનું એક જૂનું સપનું થશે સાકાર, વાંચો જીતુ વાઘાણી કયા જૂના સપનાની વાત કરે છે ?

Diwali 2023: નવા વર્ષે દેશવાસીઓનું એક જૂનું સપનું થશે સાકાર, વાંચો જીતુ વાઘાણી કયા જૂના સપનાની વાત કરે છે ?
ભાવનગર મહા નગર પાલિકા દર વર્ષે નૂતન વર્ષના દિવસે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરે છે. આજના દિવસે પણ મહા નગર પાલિકા દ્વારા સ્નહે મિલન યોજવામાં આવ્યું હતું. જેમાં મહાનુભાવોનો મેળાવડો જામ્યો હતો. વાંચો સમગ્ર સમાચાર વિસ્તાર પૂર્વક
ભાવનગરઃ દર વર્ષે નૂતન વર્ષના દિવસે ભાવનગર મહા નગર પાલિકા સ્નેહ મિલન સમારંભ યોજે છે. વર્ષ 2023માં પણ મહા નગર પાલિકાએ પોતાની આ પરંપરા જાળવી રાખી છે. જેમાં શહેરના મોતીબાગ ટાઉનહોલમાં આ સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં મહાનુભાવોએ હરખભેર નૂતન વર્ષાભિનંદનની આપલે કરી હતી.
મહાનુભાવોનો મેળાવડોઃ ભાવનગર મનપા દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારંભમાં મહાનુભાવોનો મેળાવડો જોવા મળ્યો હતો. આ મહાનુભાવોમાં સાંસદ, ધારાસભ્યો, મનપાના મેયર ભરત બારડ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રાજુ રાબડીયા, અન્ય પદાધિકારીઓ, નગરસેવકો, કમિશ્નર એન.વી. ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી અને પૂર્વ ધારાસભ્ય સેજલ પંડ્યા પણ આ સ્નેહ મિલનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહારાજાની સમાધિના દર્શનઃ પ્રજા વત્સલ અને અખંડ ભારતના નિર્માણ માટે પોતાનું રજવાડું ભાવનગર સૌ પ્રથમ સોંપનાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની સમાધિની પણ મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. સમાધિ સ્થળે નતમસ્તક થઈ, દર્શન કરી જીતુ વાઘાણી અને સેજલ પંડ્યા સહિત અનેક મહાનુભાવોએ મહારાજાના શુભાષિશ મેળવ્યા હતા. જીતુ વાઘાણીની મહારાજાની સમાધિની મુલાકાત દરમિયાન પૂર્વ મેયર મનભા મોરી પણ જોડાયા હતા.
વિક્રમ સંવત 2080નું નવું વર્ષ આપ સર્વને ફળદાઈ, સુખદાઈ અને આરોગ્યદાઈ નીવડે તેવી મારી શુભેચ્છાઓ. આ વર્ષે આપણા અનેક સપનાઓ સાકાર થવાના છે. જેમાં આપણું એક વર્ષો જૂનું સપનું 'રામ મંદિર' પણ પૂર્ણ થવાનું છે. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠાની રાહ સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે. આ વર્ષો જૂનું આપણું સપનું નવા વર્ષે સાકાર થવાનું છે. આ નવા વર્ષે ઈશ્વર આપ સૌના સંકલ્પો પણ પૂર્ણ કરે તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ...જીતુ વાઘાણી(પૂર્વ શિક્ષણ પ્રધાન, ગુજરાત)
આજથી આપણા ગુજરાતીઓનું નવું વર્ષ શરુ થાય છે. સૌને હું નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આજે અમે પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના શરણે નમન કરવા આવ્યા છીએ. ભાવનગર માટે અમારે કંઈક કરવાની ભાવના છે. ભાવનગરવાસીઓને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...સેજલ પંડ્યા(ધારાસભ્ય, ભાવનગર પૂર્વ )
'રામ મંદિર' અને લોકસભા ચૂંટણીઃ અત્યારે ભાજપના દરેક નેતા, પ્રધાનો એક જ રાગ ગાઈ રહ્યા છે અને તે એટલે 'રામ મંદિર'. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી જીતવા માટે 'રામ મંદિર'નો સહારો લેવાની આ સ્ટ્રેટેજી પણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પણ લોકસભા ચૂંટણી અગાઉ થવાની છે.
