Bhavnagar News : ભાવનગરમાં રખડતાં ઢોરની અડફેટે વૃદ્ધ આવ્યાં, કમિશનરે કહ્યું આવું

author img

By

Published : Mar 17, 2023, 7:46 PM IST

Bhavnagar News : ભાવનગરમાં રખડતાં ઢોરની અડફેટે વૃદ્ધ આવ્યાં, કમિશનરે કહ્યું આવું

રખડતાં ઢોરની અડફેટે ચડી ઈજાગ્રસ્ત થવાના અને મોત નીપજવાના બનાવોએ ભારે હોબાળો પેદા કરેલો છે. ત્યારે ભાવનગરમાં એક વૃદ્ધ રખડતાં ઢોરની અડફેટે ચડ્યાં હતાં. મૂઢમારની પીડા સહન કરી રહેલા આ વૃદ્ધ સાથે વાત કરતાં સમગ્ર ઘટના વિશે વાત કરી હતી. તો ભાવનગર કમિશનર એન વી ઉપાધ્યાય પણ આ ઘટનાને લઇ રખડતાં ઢોર સામેની કામગીરીની બાબતો જણાવી હતી.

ભાવનગરમાં એક વૃદ્ધ રખડતાં ઢોરની અડફેટે ચડ્યાં હતાં

ભાવનગર: ભાવનગરમાં અનેક લોકો ઢોરની અડફેટે આવતાં રહે છે. જેમાં ક્યારેક મોતનો બનાવ પણ સામે આવે છે. ટોપ 3 સર્કલ પાસે યુવાનના ઢોર વચ્ચે આવતા મોત થયા બાદ ભાવનગર શહેર કમિશનર એન વી ઉપાધ્યાય વિફર્યા હતાં અને રખડતાં ઢોર પકડવા પગલે કડક કાર્યવાહી કરી હતી. જો લાંબા સમય બાદ મૃત્યુ ઘટના નથી બની પણ હવે ફરી રખડતાં ઢોરે વૃદ્ધને હડફેટે લેવાની ઘટનાનો CCTV વાયરલ સામે આવ્યો છે. ત્યારે રખડતાં ઢોર પકડવા મામલે પુનઃ કમિશનર દ્વારા કડક કાર્યવાહીનો ઈશારો પણ થયો છે.

ભોગ બનનાર કોણ અને કમિશનરનો ઈશારો શું ? ભાવનગર શહેરમાં વૃદ્ધને ગાયે હડફેટે લેવાનો ફરી એક ઘટના CCTVમાં કેદ થઈ છે. શહેરની બેંક કોલોની વિસ્તારમાં દુકાનેથી ઘરે જતા વૃદ્ધને ગાયે દોડીને આવી વૃદ્ધને શીંગડામાં લઈને દિવાલ સાથે પટકાવ્યા હતાં. જો કે ઘટના 14 કે 15 માર્ચની હોવાનું ભોગ બનનાર જણાવે છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ હવે ભાવનગરવાસીઓને શેરી ગલીઓમાં રહેતા લોકોને થોડા અંતરે પણ ચાલીને જવામાં ઢોરને પગલે ડર લાગી રહ્યો છે. કારણ એક જ છે કે શેરી ગલીઓમાંથી પણ રખડતાં ઢોર દૂર થતા નથી. ભોગ બનનાર સાથે ETV BHARAT એ વાત કરીને તેમની વ્યથા જાણી હતી.

આ પણ વાંચો Stray Cattle Control Vadodara : માણેજામાં ગાય અડફેટે વૃદ્ધાના મોત મુદ્દે કોઈ જવાબદાર અધિકારી કશું બોલવા તૈયાર નહીં!

ભાવનગરમાં ગલીમાં પણ વૃદ્ધને ગાયેે દોડીને હડફેટે લીધા બાદ મૂઢ ઇજા ભાવનગર શહેરના બેંકની વિસ્તારમાં રહેતા રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના રહીશ કાંતિભાઈ તલસાણીયાને ગાયે હડફેટે લીધા બાદ હલનચલન કરવામાં મુશ્કેલી થઈ રહી છે. આશરે 14 કે 15 તારીખે રાત્રે બનેલી એક અઘટિત ઘટના તેમને આજે પણ શરીરમાં થતા દુખાવા યાદ કરાવે છે. કાંતિભાઈ દુકાનેથી ઘરે પરત જતા હતાં એ સમય ગલીમાં ઊભેલી ગાય અચાનક દોડીને આવીને તેમને શીંગડામાં લઇ દીવાલ સાથે પટકાવ્યા હતાં. ગાય વધુ માથું મારવા લાગી હતી. જો કે આસપાસના લોકો જોઈ જતા ગાયને ભગાડવામાં આવી હતી અને કાંતિભાઇને ઉભા કરીને ઘરે પહોંચાડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો વાયરલ થયો છે.

ગાયે અડફેટે લીધેલા વૃદ્ધની પ્રતિક્રિયા કાંતિભાઈ તલસાણીયાએ જણાવ્યું હતું કે હું દુકાનેથી ઘરે જતો હતો ત્યારે ગાયે માથું મારીને મને પછાડી દીધો હતો. આજુબાજુના લોકો બચાવવા આવી ગયા હતા. અમારા વિસ્તારમાં હજુ સુધી કોઈ ગાય પકડવા આવ્યું નથી કે અમે જોયા પણ નથી. શેરી ગલીઓમાં બાળકો અને મહિલાઓ આવતી જતી હોય છે બાળકોને પણ ઉપાડી લે અને મહિલાઓને પણ ગાયો ઉપાડી લે વાર લાગે એમ નથી. જો કે મને ઉપાડી લેતા પણ વાર લાગી ન હોત પણ આજુબાજુના લોકો આવી જતા બચી ગયો હતો. હજુ પણ શરીરમાં મૂઢમાર વાગ્યાનો દુખાવો થાય છે.

આ પણ વાંચો Patan Accident News : પંચાસરમાં રખડતા પશુની અડફેટે બાઈકચાલક યુવાનનું મોત

શહેરમાં ઢોર કેટલા કમિશનરનો ઘટના પગલે જવાબ ભાવનગર શહેરમાં આશરે ત્રણથી ચાર હજાર રખડતાં ઢોરની સમસ્યા છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકા રોજના ઢોર પકડવાની કામગીરી કરી રહી છે. પરંતુ હાલમાં ઘણા સમયથી કામગીરી બંધ છે. ઘટનાનો વિડીયો વાયરલ થતાં કમિશનર એન વી ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે વિડીયો વાયરલ થયો છે અને તમારા માધ્યમથી અમને જાણ થઈ છે તે મુજબ વૃદ્ધને હાલમાં સ્વાસ્થ્ય સારું છે તે સારી બાબત છે. જો કે અમે ઢોર પકડવાનું બંધ નથી કર્યું.

પકડેલા ઢોર પાંજરાપોળમાં મોકલવાની કામગીરી : તેમણે વધુમાં જણાવ્યું કે ઢોર પકડવાનું બંધ નથી કર્યું પરંતુ સરકારના નિયમ પ્રમાણે રહેલી હાલમાં પકડેલા ઢોર પાંજરાપોળમાં મોકલવાની કામગીરી શરૂ હોવાને પગલે રખડતાં ઢોર પકડવાની કામગીરી બંધ છે. આશરે 400 થી 500 પકડેલા ઢોર છે. પાંજરાપોળમાં ઢોર મોકલવાનું બંધ થતાંની સાથે જ પુનઃ પકડવામાં આવશે. જો કે ટેગવાળા જેટલા પણ ઢોર છે તે રસ્તા ઉપર દેખાશે તો તેને દંડ કરવાની કાર્યવાહી અમે શરૂ કરી દેશું.

ઢોર ડબ્બાનું અસ્તિત્વ આવતા ઢોર સમસ્યા હલ થવાની આશા ભાવનગર શહેરમાં પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય રસ્તા ઉપર ઢોર દૂર થતા નથી. ટેગવાળા પશુ હોય તો પણ પુનઃ આવી જાય છે. મહાનગરપાલિકા ઢોર પકડવાની કામગીરી કરીને ઢોર ડબ્બામાં રાખી રહી છે. ત્યારે હવે પશ્ચિમ વિસ્તારમાં એક પણ ઢોર ડબ્બો નહીં હોવાને પગલે મહાનગરપાલિકાએ આશરે 15 લાખના ખર્ચે માર્કેટિંગ યાર્ડ સામેની પોતાની ખુલ્લી જગ્યામાં નવો ઢોર ડબ્બો બનાવ્યો છે. જે ટૂંક સમયમાં શરૂ થવાનો છે. એટલે એમ કહી શકાય કે જે બોરતળાવ વિસ્તારનો સીસીટીવીનો વિડીયો વાયરલ થયો છે તે જ વિસ્તારનો નવો ઢોર ડબ્બો ટૂંક સમયમાં અસ્તિત્વમાં આવશે. આથી ઢોર પકડવાની શરૂઆત થતાં રખડતાં ઢોરને એ ઢોર ડબામાં રાખવામાં આવશે. જો કે વૃદ્ધ સાથેની ઘટનાને લઈને મહાનગરપાલિકાનું તંત્ર કડક કાર્યવાહી કરે તો નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.