જન્માષ્ટમી નિમિત્તે આણંદના લોકસાહિત્ય કલાકાર ડો. નિર્મળદાન ગઢવીનો ભગવાન શ્રીકૃષ્ણને પત્ર

author img

By

Published : Aug 30, 2021, 6:03 AM IST

ભગવાન શ્રીકૃષ્ણને પત્ર

આજે 30 ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીનો પર્વ છે. ગયા વર્ષે આ પર્વની ઉજવણી કોરોનાના કારણે થઇ ન હતી. ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા સરકારે કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને ઉજવણીમાં છૂટછાટ આપી છે. ત્યારે આણંદના લોકસાહિત્ય કલાકાર ડો. નિર્મળદાન ગઢવીએ જન્માષ્ટમીના પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણને એક પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.

વ્હાલા કાના,

સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય છે કે "હરિ તારા નામ છે હજાર કયા નામે ચિઠ્ઠી ચિતરવી.."

છતાં કહું છું કે હે ગીતાના ગાનારા!

ભગવાન શ્રીકૃષ્ણ !

મને શ્રદ્ધા છે કે, તમને યાદ જ હશે, તમે ગીતામાં કહીને ગયા છો.

"યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, અભ્યુત્થાનમ અધર્મષ્ય તદાત્માનં સૃજામયહમ.."

એટલે તું અવતાર લેવાનો છે એ વાત તો નક્કી છે. તો હે કનૈયા ! કોઈક મા દેવકી જેવી ઉજળી કૂખ ગોતી લે, હવે તારો મામો કંસ અહીં નથી. હવે અહીં કાયદા કાનૂનથી ચાલતી લોકશાહીની સરકાર છે અને છતાં પણ એવું કંઈ થાય તો ઘરે-ઘરે જશોદા તારી રાહ જોઇને બેઠી છે, ગોવાળિયા તને યાદ કરે છે, ગાયો તો તારા વગર સુની થઈ છે અને રાષ્ટ્રમાતાના સ્વપ્ન જોવાના ચાલુ થઈ ગયા છે, ઓલી ગોપીઓ તો એવી ને એવી પ્રેમ ઘેલુંડી થઈને તને લાડ લડાવશે, જમુનાનો કાંઠો એવોને એવો જ છે, તને ગમતું કદંબનું ઝાડ પણ છે. હવે આ બદલાયેલા ભારતમાં મહાભારત પણ કંઈક જુદી જ રીતે કરવું પડશે, પણ તારી તો મને ખબર છે, તું તો આખે આખી સિસ્ટમ બદલી નાખવાનો, પણ સાચું કહું તો તારા જેવું બાળપણ હજી સુધી કોઇ જીવી નથી શક્યું, તે જે કિશોરાવસ્થામાં પરાક્રમો કર્યા એવડી અવસ્થામાં તો છોકરા પબજી પાછળ પડ્યા છે. તારા જેવો પ્રેમ પણ કોઈ નથી કરી શક્યું, તારા જેવો શ્રેષ્ઠ ગોવાળિયો હજી કોઈ નથી થયો, કાના ! જેની વાંસળી સાંભળીને યમુનાના વહેતા ઝરણાંના નીર થંભી જાય અને સચરાચર જગતના તમામ જીવ મોહિત થઈ જાય એવો કોઈ સંગીતકાર નથી થયો, તારા જેવો રાજકારણી તારા જેવો યોદ્ધો, તારા જેવો ભાઈ, તારા જેવો ભાઈબંધ, તારા જેવો સર્જક, તારા જેવો ગર્જક, તારા જેવો નેતા, તારા જેવો અભિનેતા હજી સુધી કોઈ નથી થયો અને પોતાની સાડીનો છેડો ફાડીને રાખડી બાંધનાર બેનની ભરચક સભામાં 999 સાડીથી ચીર પુરનારો ભાઈ તો જાણે કલ્પના જ રહી ગઈ છે, ભાઈબંધીના પણ હજી દાખલા કૃષ્ણ તારા અને સુદામાના જ દેવાય છે, અમે સમગ્ર ભારતના તમામ લોકો તને ઘડીએ ભૂલતા નથી, સાંજ-સવાર તને જુદા-જુદા નામે યાદ કરીએ છીએ, શ્રદ્ધા પ્રમાણે દિવા અગરબત્તી કે ગમે તે રીતે પણ તારો રાજીપો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. દર વર્ષે તારો જન્મદિવસ ઉજવીએ છીએ, અહીંની દુનિયા ઘણી બદલાઈ ગઈ છે બધું ઓનલાઇન થઈ ગયું છે. માખણ પણ ઝોમેટોમાં ઓર્ડર કરી શકાય છે. ઘણું બધું સારું છે, તને જીવવાની પણ મજા આવશે, એટલે તું જલ્દી અવતાર લઇ લે અને છેલ્લે યાદ દેવડાવું કે અનીતિ,અત્યાચાર, અધર્મ, ભ્રષ્ટાચાર,લાંચ રૂશ્વત, પાપ,રોગ, દોષ અને વાયરસ આ બધું પારાવાર વધી ગયું છે અને તે જ કહ્યું હતું કે "પરિત્રાણાય સાધુનામ, વિનાશાય ચ દુષ્ક્રીતામ, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે.." "એડવાન્સમાં Happy birthday.

લી.
ડો. નિર્મળદાન ગઢવી
લોકસાહિત્ય કલાકાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.