અંગદાન એ જીવનદાનઃ અમદાવાદના બ્રેઇનડેડ મિત્તલબેનનું હ્યદય કોલકાતાના દર્દીમાં ધબકશે

author img

By

Published : Oct 6, 2021, 8:12 PM IST

અંગદાન એ જીવનદાનઃ અમદાવાદના બ્રેઇનડેડ મિત્તલબેનનું હ્યદય કોલકાતાના દર્દીમાં ધબકશે

અંગદાન એ જીવનદાન ખરા અર્થમાં સાબિત થયું છે. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમના અથાગ પરિશ્રમના પરિણામે 19 દિવસના ટૂંકાગાળામાં બીજુ હ્યદયદાન મેળવવામાં સફળતા મળી છે.

  • અંગદાન એ જીવનદાન ખરા અર્થમાં સાબિત થયું
  • સિવિલ હોસ્પિટલ 19 દિવસમાં બીજુ હ્યદયદાન મેળવવામાં સફળ
  • હોસ્પિટલની SOTTO હેઠળની ટીમ અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવી રહી છે

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલ થકી અંગદાનની અવારનવાર બનતી ઘટનાઓ માનવતાની અનેરી સુવાસ ફેલાવી રહી છે. આવી જ અંગદાનની વધુ એક ઘટના બુધવારે સિવિલ હોસ્પિટલમાં બની છે. જેમાં 35 વર્ષીય મિત્તલબેન પ્રજાપતિ બ્રેઈનડેડ થતાં તેમના પતિ ભરતભાઇ પ્રજાપતિ અને સ્વજનોએ અંગોનું દાન કરીને દિવંગતને અમરત્વ આપ્યું છે.

સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીનકોરિડોર રચાયો

મિત્તલબેનના મળેલા અંગોના દાનમાં હ્યદય મેળવવામાં સફળતા મળી હતી, જેને ગ્રીનકોરિડોર મારફતે ફક્ત 6 મિનીટમાં અમદાવાદ એરપોર્ટ પહોંચાડવામાં આવ્યું હતુ. અમદાવાદ એરપોર્ટથી મિત્તલબેનનું હ્યદય કલકત્તાના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 19 દિવસના ટૂંકાગાળામાં બીજુ હ્યદયદાન

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 19 દિવસના ટૂંકાગાળામાં બીજુ હ્યદયદાન મેળવવામાં સફળતા મળી છે. અત્યાર સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીના વડપણ હેઠળની SOTTO ની ટીમ દ્વારા 9 મહિનામાં 12 અંગદાન મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષ્યું છે.

મિત્તલબેનનું અકસ્માત થતાં હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં મિત્તલબેનનું અકસ્માત થતાં તેઓને પ્રાથમિક સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઇ ગયા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ બ્રેઇનડેડ જાહેર થયા હતા. બ્રેઇન ડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા મિત્તલબેનના પતિ અને તેમના સ્વજનોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમના પરિવારજનોને અંગદાન માટે વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી, જેનાથી પ્રેરાઇને પરિવારજનોએ મિત્તલબેનના અંગોનું દાન કરવાનો જનહિતલક્ષી, હ્યદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. મિત્તલબેનના અંગદાનમાં 2 કિડની, લીવર, સ્વાદુપિંડ અને હ્યદયનું દાન મેળવવામાં સફળતા મળી હતી, જેના થકી 5 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન પ્રાપ્ત થશે.

મિત્તલબેનના સ્વજનોએ અંગદાનનો નિર્ણય કરીને સમાજ માટે એક ઉદાહરણ

સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડ઼ૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલની SOTTO હેઠળની ટીમ અંગદાન સંદર્ભે દિવસરાત જનજાગૃતિ માટે શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે, જેના પરિણામ સ્વરૂપ જ આજે સિવિલ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ થતાં દર્દીના સ્વજનોમાં અંગદાન અંગે જાગૃકતા આવી છે. છેલ્લા 9 મહિનામાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ સિવિલ હોસ્પિટલમાં 12 અંગદાનમાં સફળતા મળી છે. જેના થકી જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં સુધાર આવ્યો છે. મિત્તલબેનના સ્વજનોએ અંગદાનનો નિર્ણય કરીને સમાજ માટે એક ઉદાહરણ પૂરુ પાડ્યું છે, અને દાન લેનાર જરૂરિયાતમંદ દર્દીઓ જીવનપર્યત તેમના ઋણી રહેશે. હવે મિત્તલબહેનું હ્યદય કોલકાતામાં ધબકતું રહેશે.

આ પણ વાંચોઃ નવરાત્રીના પ્રથમ દિવસે અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે, કુળદેવીના કરશે દર્શન

આ પણ વાંચોઃ ફાયર NOC ન લેનારા સામે AMCના ફાયર વિભાગની લાલ આંખ, 2 મલ્ટિપ્લેક્સ, 5 સિનેમાગૃહ, 9 સ્કૂલ સીલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.