માણસ હેરાન, પશુ પરેશાન ખતમ નથી થતો વાયરસ રૂપી શેતાન

author img

By

Published : Jul 30, 2022, 8:17 PM IST

Updated : Jul 30, 2022, 8:55 PM IST

માણસ હેરાન, પશુ પરેશાન ખતમ નથી થતો વાયરસ રૂપી શેતાન

કોરોના વાયરસના બે કપરા વર્ષ પસાર કર્યા બાદ લોકોને થોડો હાશકારો મળ્યો હતો. હાલ, રોગચાળાની શ્રેણીમાં એવા એવા વાયરસ (Covid-19 Virus in Gujarat) સામે આવ્યા, જેની અગાઉ કોઈએ કલ્પના પણ ન કરી હોય. માણસ તો ઠીક પણ પ્રાણીઓમાં પણ વાયરસ હવે અબોલ પશુઓ માથે વજ્રઘાત બનીને ત્રાટકી રહ્યો છે. પશુઓમાં લમ્પીએ (Lumpy Virus in Gujarat) આરોગ્ય વિભાગને લથડિયા ખવડાવ્યા છે, તો આ સાથે સ્વાઈન ફ્લુના કેસ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે.

ન્યૂઝ ડેસ્ક: ગુજરાત રાજ્યમાં છેલ્લા બે મહિનાથી પશુઓ પર જાણે ઘાત બેઠી હોય એવો માહોલ જોવા મળ્યો છે. જેના કારણે ઘણા બધા પશુઓના મોત લમ્પી વાયરસરને (Lumpy Virus In Gujarat) કારણે નીપજ્યા છે. જોકે, લમ્પીએ પશુ ચિકિત્સકોની ચિંતામાં વધારો કર્યો છે. ગામેગામ પશુઓની વધું કાળજી રાખવામાં આવી રહી છે. લમ્પી વાયરસને કારણે ગુજરાતના જુદા જુદા ગામમાં કુલ મળીને અત્યાર સુધીમાં 1021 પશુઓના મોત નીપજ્યા છે. આ સમગ્ર સ્થિતિને ધ્યાને લઈને રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે (Raghavji Patel Gujarat) જણાવ્યું હતું કે, પશુઓ માટેની ખાસ વેક્સિનનો ડોઝ તૈયાર છે. યુદ્ધના ધોરણે આ અંગે કામગીરી કરવામાં આવશે, તો બીજી તરફ રાજ્યમાં કોરોના (Covid-19 Virus in Gujarat) અને સ્વાઈન ફ્લુના કેસમાં પણ નોંધાપાત્ર વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: લમ્પી વાયરસના લીધે વણસી સ્થિતિ, કલેક્ટરે ૫શુઓના ૫રિવહન ઉ૫ર પ્રતિબંધ મૂક્યો

સ્વાઈન ફ્લુ: કોરોના વાયરસના કહેર વચ્ચે હવે ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કેસ વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુને કારણે એક વ્યક્તિનું મૃત્યું નીપજ્યું છે. સિવિલ હોસ્પિટલમાં એક દર્દી સ્વાઈન ફ્લુની સારવાર લઈ રહ્યો હતો. એ સારવાર દરમિયાન એનું મૃત્યું નીપજ્યું છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુ માટેનો એક ખાસ વૉર્ડ ઊભો કરવામાં આવ્યો છે. સ્વાઈન ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા A ને H1N1 વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ચેપગ્રસ્ત માણસો અથવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે. તેના લક્ષણો ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો જેવા જ છે.

શરીરના આ કોષને અસર: આ વાઇરસ તમારા નાક, ગળા અને ફેફસાંને લાઇન કરતા કોષને ચેપ લગાડે છે. આ ચેપના લક્ષણો હળવા અને ગંભીર બંને હોઈ શકે છે. સામાન્ય લક્ષણોમાં શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, થાક, ઝાડા, ઉબકા કે ઉલટી, વહેતું નાક વગેરેનો સમાવેશ થાય છે. જો ગંભીર હોય તો, શ્વાસ લેવામાં તકલીફ, ન્યુમોનિયા, ઓક્સિજનની અછત, છાતીમાં દુખાવો, સતત ચક્કર, ભારે નબળાઈ વગેરે જોવા મળે છે. વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના એક તફાવત જોવા મળે છે.

આ પણ વાંચો: વિદ્યાના ધામમાં વિદ્યાર્થીઓ સાથે કરાવવામાં આવતું હતું આવું કામ, આ રીતે ફૂટ્યો સમગ્ર ભાંડો

બાળકો પણ શિકાર: વયસ્કોને પેટની પરેશાની અને છાતીમાં દબાણ, દુ:ખાવાની ફરિયાદ, વારંવાર ઉલટી થવી, અચાનક ચક્કર આવવા જેવી મુશ્કેલીઓ પડે છે. અમદાવાદ સિવાય નડિયાદમાં પણ સ્વાઈન ફ્લુનો કેસ મળ્યો છે. ખેડા જિલ્લામાંથી મંગળવારે 13 કેસ નોંધાયા હતા. ત્યારે શનિવારે નડિયાદ શહેરમાં સ્વાઈન ફ્લૂના વધુ બે કેસ મળી આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ અંગે આરોગ્ય વિભાગનો સંપર્ક કરતા નડિયાદ કોલેજ રોડ તેમજ પેટલાદ રોડ વિસ્તારમાં બાળકને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યું છે. આ બંને બાળકો હાલ નડિયાદ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

લક્ષણો: આરોગ્ય વિભાગના સૂત્રોએ એમ ઉમેર્યું હતું કે, વડોદરામાં H1N1 ચિંતાજનક સ્તરે છે. આ સાથે H1N1 અને સ્વાઈન ફ્લૂ બંને લક્ષણ ધરાવતા કેસ પણ સપાટી પર આવી રહ્યા છે. 60 વર્ષની મહિલા દર્દી સંયુક્ત બીમારી સાથે ઝપટમાં આવી છે. વૃદ્ધ મહિલામાં કોમોર્બીટ (જૂની) બીમારી હતી. એમની કન્ડિશન નાજુક હતી અને ફેફસા ખરાબ થઈ ગયા હતા. કુલ મળીને રાજ્યમાં 13 કેસ સ્વાઈન ફુલના સામે આવ્યા છે. જોકે, તબીબોનું એવું કહેવું છે કે, સ્વાઈન ફ્લુ અને કોરોના વાયરસના લક્ષણો સરખા છે. જોકે, આ સ્વાઈન ફ્લુની શરૂઆત પણ તાવ અને શરદી ઉધરસથી થાય છે. જે આગળ જતા મોટું રૂપ લે છે. જેની સીધી અસર વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર થાય છે. આરોગ્ય વિભાગના રીપોર્ટ અનુસાર સ્વાઈન ફ્લૂમાં મોર્ટાલીટી રેટ વધારે જોવા મળે છે. અમદાવાદમાંથી સ્વાઈન ફ્લુના એક દર્દીનું મૃત્યું થયું છે. જ્યારે વડોદરામાંથી 60 જેટલા દર્દીઓ તાવને કારણે સારવાર હેઠળ છે. જેમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:ગુજરાતનું આ તે કેવું ગામ, જ્યા પાણી કરતા વધારે મળે છે દારૂ

શું કહે છે તબીબ: સોલા સિવિલના RMO ડો પ્રદીપ પટેલ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્વાઈન ફલૂના બે દર્દી નોંધાયા છે. જે પૈકી એકનું મોત થયું છે અને એક સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ હાલ સતર્ક છે. જેને લઈ અલાયદા વોર્ડ પણ શરૂ કરી દેવમાં આવ્યો છે. હાલ નારણપુરા ખાતે રહેતા એક વૃદ્ધની બાયપેપ ઉપર સારવાર ચાલી રહી છે... જરૂર પડ્યે વેન્ટિલેટર ઉપર લેવામાં આવશે.. હાલ સોલા સિવિલમાં જરૂર પડશે તો 36 વેન્ટિલેટર બેડે સ્વાઈન ફલૂ માટે રખાશે, એક દર્દીને 26મીએ સાંજે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમનો સ્વાઈન ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

માસ્ક પહેરો: ઇન્ડિય મેડિકલ એસોસિએશનના સભ્ય ડોકટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે વરસાદની સીઝનમાં તમામ વાઇરસ એક્ટિવ થાત હોય છે. જેના કારણે ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા કેસોમાં સતત વધારા થતા હોય છે, પરંતુ હાલ સ્વાઈન ફ્લૂના પણ કેસો આવી રહ્યા છે, જેથી હાલ સાવધાન રહેવાની જરૂર છે, નાનામાં નાના લક્ષણો જોવા મળે તો તુરંત નજીકના ડોક્ટરને બતાવવું ખુબજ જરૂરી છે, સ્વાઈન ફલૂ અને કોરોનાને ધ્યાને લઇ તમામ લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. બન્ને વાઇરસને લઈ માસ્ક પહેરવું ફરી એક વખત ખુબજ જરૂરી છે.

આ પણ વાંચો: સરકારી મેડિકલ કૉલેજમાં જુનિયર્સનું રેગિંગ, જુઓ થપ્પડ મારતો વીડિયો

મૃત્યુંનો આંક: ગુજરાતમાં છેલ્લા સાડા પાંચ વર્ષમાં સ્વાઈન ફલૂથી 684 દર્દીનાં મોત થયા છે. વર્ષ 2017 માં 431, જ્યારે 2018 માં 97, 2019માં 151, 2020માં 2, 2021માં 2 અને 2022માં જૂન સુધીમાં એક મોત નોંધાયું છે. જોકે, સ્વાઈન ફ્લુ ચોમાસું સીઝનમાં ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે. જેને લઈને તબીબો પણ સાવચેતી રાખવાનું સૂચન કરી રહ્યા છે.

કોરોનાનો રીપોર્ટ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1128 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 6218 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 10 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 6208 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. અત્યારસુધીમાં 10,968 મૃત્યુ નોંધાયા છે, શુક્રવારે 886 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનમાં 03 મૃત્યુ નોંધાયું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 20,408 નવા કોવિડ કેસ નોંધાયા છે. આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, જેથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેની સામે બીજી તરફ જોવા જઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. અત્યારે જે કોરોનાનો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે તે ફક્ત હળવા લક્ષણ વાળો જ છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી અને ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.

આ પણ વાંચો: કોર્પોરેશનની આ સ્કીમથી તો કરદાતા સામે આવીને કર ભરશે, કઈ રીતે, જૂઓ

સાવચેતી રાખવા અપીલ: કચ્છમાં હાલ કોરોનાના કુલ 175 કેસો એક્ટિવ રહેલા છે. જેને લઈને પણ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસોમાં વધારો ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તબીબો પણ અપીલ કરી રહ્યા કે, કોરોનાનો ચેપ ન લાગે એટલે સાવચેતી રાખવી જરૂરી છે. ભાવનગરમાં કોરોનાના કુલ 21632 કેસો નોંધાયેલા છે, જેમાં 165 કેસો એક્ટિવ છે, 21274 દર્દીઓને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા છે. સુરત શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના નવા 116 કેસ નોંધાયા હતા. શહેરમાં 52 દર્દીઓ જ્યારે જિલ્લામાં 21 દર્દીઓ મળી શહેર-જિલ્લામાં 73 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

વેક્સિનેશન: પ્રી-કોશન ડોઝમાં 88,870 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 4397 બીજા ડોઝમાં 3940 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,55,60,693 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જયારે 18 થી 59 સામાન્ય નાગરીકો માં 4,60,939 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં લમ્પી વાયરસ: કચ્છમાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. લમ્પી વાઇરસના કુલ 35867 કેસો એક્ટિવ રહેલા છે. જેમાં 907 પશુના મૃત્યુ થાય છે. જેને લઈ કચ્છમાં આરોગ્ય વિભાગ દ્વારા પશુઓનું સતત રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 161 જેટલા પશુઓને લમ્પી વાઇરસ થયેલો છે. લમ્પી વાઇરસ વધુ પ્રસરે નહિ તેવા હેતુસર જૂનાગઢ આરોગ્ય વિભાગે 44 હજાર કરતા પણ વધુ પશુઓને રસીકરણ કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા લમ્પી સ્કીન ડિસીઝના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યના અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાને "નિયંત્રિત વિસ્તાર" તરીકે જાહેર કરવામાં આવ્યા છે. લમ્પી સ્કીન ડિસીઝના નિવારણ અને નિયંત્રણ માટે પશુઓને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અવરજવરને પ્રતિબંધિત કરવામાં આવી છે.

Last Updated :Jul 30, 2022, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.