- વડોદરા કોરોના મહામારી દરમિયાન મ્યાય યાત્રા મુદ્દે કોંગ્રેસની પત્રકાર પરિષદ
- કોરોના મહામારી દરમિયાન હજારો લોકોના મોત થયા
- કોવિડની નિષ્ફળતા મુખ્ય મુદ્દો 2022 ઇલેક્શનનો રહેશે
વડોદરા : આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ પણ સક્રિય થયું છે અને કોવિડ ન્યાય યાત્રા યોજી જનતા સુધી પહોંચવાના પ્રયાસ થઈ રહ્યા છે જે મામલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ગઇકાલે વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે રાજ્ય સરકારે સત્તાવર 10,081 લોકોના કોરોનાથી મોત જાહેર કર્યા છે પરંતુ કોંગ્રેસની ન્યાય યાત્રામાં 22,115 ફોર્મ ભરાયા છે. કોવિડ મહામારી દરમ્યાન ભાજપની સરકારે કોરોનાની વ્યવસ્થા અધિકારીઓ પર છોડી. અત્યાર સુધી સૌરાષ્ટ્ર ઝોનમાં 4607, નોર્થ ઝોનમાં 5756, મધ્ય ઝોનમાં 3425, સાઉથ ઝોનમાં 8327 લોકોના કોરોનાથી મોત થયાના ફોર્મ ભરાયા છે. સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરતી હોય તો મૃતકોને 7 લાખ કેમ ન આપી શકે.
અધિકારી ચલાવે છે સરકાર
નવા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ મામલે ભરતસિંહ સોલંકીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતની સરકાર કૈલાસ નાથન નામના અધિકારી ચલાવે છે. કેન્દ્ર સરકારે પોતાની નિષ્ફળતા છુપાવવા રૂપાણીના નામે ઠીકરું ફોડયુ છે. નવા મુખ્યમંત્રીના માથે ફન્ડ રેઝિંગની જવાબદારી આવશે જ. સી.આર.પાટીલ નવા મુખ્યમંત્રીને કામ કરવા દેશે કે કેમ તે અંગે શંકા છે.ભાજપના જ ધારાસભ્યો પોતાની સમસ્યા કહી શકતા નથી. ભરતસિંહ સોલંકીએ ભાજપ સંગઠન અને સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે સી.આર.પાટીલ નવા મુખ્યમંત્રી ને કોઈ કામ નહીં કરવા દે.અને 2022 ચૂંટણીમાં કોંગ્રેસ નો મુખ્ય મુદ્દો સરકારની કોવિડમાં નિષ્ફળતા રહેશે.