વડોદરામાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી અકસ્માત બીકે સ્લીપ ખાતા મોત

author img

By

Published : May 31, 2021, 5:01 PM IST

વડોદરામાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી અકસ્માત બીકે સ્લીપ ખાતા મોત

વડોદરા સહિત અનેક શહેરોને ટેકનોલોજીના ઉપયોગથી વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમાવવામાં આવ્યા છે, ત્યારે વડોદરામાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી અકસ્માત બીકે સ્લીપ ખાતા એક વ્યક્તિનું મોત થયું છે.

  • શહેરમાં પીવાના પાણી, રોડ રસ્તા સહિતની અનેક સમસ્યાઓ હાલ પણ યથાવત
  • ગોરવા ITI રોડ પર આવેલા રિદ્ધી–સિદ્ધી મંદિર પાસેની ઘટના
  • રાત્રે નોકરી પર જતી વેળાએ સર્જાયો અકસ્માત

વડોદરાઃ કેન્દ્ર સરકાર દ્વારા શહેરોનો વિક્સાવવા માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ લાગુ કર્યો હતો. રાજ્યમાં વડોદરા મળીને કુલ 4 શહેરોને સ્માર્ટ સિટીમાં સમાવવામાં આવ્યાં છે, પરંતુ સ્થાનિક કક્ષાએ જે પ્રકારે વહીવટ થઇ રહ્યો છે તે તંત્ર ઓવર સ્માર્ટ હોવા તરફ ઇશારો કરે છે. ગત રાત્રીએ હાઇટેન્શન રોડ પર ગટરનું ઢાંકણું બંધ નહીં કર્યું હોવાને કારણે બાઇક સ્લિપ થઇ હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અગાઉ પાલિકા તંત્રના ગેરવહીવટના અનેક ઉદાહરણો સામે આવી ચુક્યાં છે. સમગ્ર શહેર પર જેણે દેખરેખ રાખવાની જવાબદારી છે તેવા મેયરના વોર્ડમાં જ તંત્રની બેદરકારી સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચોઃ સુરતમાં ખરાબ રસ્તાઓના કારણે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

પાલિકા તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકે જીવ ગુમાવ્યો

વડોદરા સહિત અનેક શહેરોને ટેકનોલોજીના ઉપયોગથી વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમાવવામાં આવ્યા છે. કેટલીક હદ સુધી શહેરના વહીવટી તંત્રમાં ટેકનોલોજીનો સફળતા પુર્વક થઇ પણ રહ્યો છે, પરંતુ તેની સામે સ્થાનિક વહીવટી તંત્રનો ગેરવહીવટ પણ સામે આવતો હોય છે. શહેરમાં પીવાના પાણી, રોડ રસ્તા સહિતની અનેક સમસ્યાઓ હાલ પણ યથાવત છે. તેવા સમયે પાલિકા તંત્રની બેદરકારી વધુ એક વખત છતી કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે પાલિકા તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકે જીવ ગુમાવ્યો છે.

મેયરના વોર્ડમાં અકસ્માત

જે જગ્યાએ અકસ્માત થયો છે, તે વોર્ડ મેયરનો છે. સમગ્ર શહેર પર વિકાસના કામોની દેખરેખ રાખવાની જવાબદારી મેયર પર હોય છે. મેયરના પોતાના વોર્ડમાં જ જો આ પ્રકારની બેદરકારી સાથે કામ કરવામાં આવતું હોય તો શહેરમાં ચાલતા વિકાસની કામગીરી પર દેખરેખનો અંગેનો અંદાજો લગાડી શકાય છે. ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના સુભાનપુરા વિસ્તારમાં પ્રવિણ ચૌહાણ તેમના પરિવાર સાથે રહેતા હતા અને તે રણોલી ખાતે નોકરી કરતા હતા. ગત રાત્રીના રોજ સાડા 10 વાગ્યાની આસપાસ રણોલી ખાતે આવેલી કંપનીમાં બાઇક પર કામ કરવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન પ્રક્રૃતિ એમ્પાયર, ગોરવા ITI રોડ પર આવેલા રિદ્ધી–સિદ્ધી મંદિર પાસેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે બાઇક સ્લિપ થઇ ગઇ હતી અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચોઃ સુરતમાં બાઇક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત, ઘટના CCTVમાં કેદ

સ્લિપ થવાને કારણે મોત

મળતી માહિતી પ્રમાણે સ્માર્ટ સિટીના ઓવર સ્માર્ટ શાસકો દ્વારા સ્થળ પર ગટરની કામગીરી ચાલી રહી હતી. ગટરની કામગીરીને લઇને તેનું ઢાંકણું ખુલ્લું હતું. આ દરમિયાન રાત્રે વિસ્તારમાંથી પસાર થઇ રહેલા પ્રવિણભાઇને ઢાંકણાથી બચવા માટેના પ્રયાસો કરવા જતા બાઇક સ્લિપ થઇ હતી અને તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અકસ્માતને પગલે સ્થાનિકોના લોકટોળા સ્થળ પર એકત્ર થયા હતા. ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે SSG હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે બનાવની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને મૃતહેદને પોસ્ટ મોર્ટમ અર્થે કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.