દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટલમાંથી મળ્યો મૃતદેહ, દાદરા નગર હવેલીમાં શોકનું મોજું

author img

By

Published : Feb 22, 2021, 5:47 PM IST

ETV BHARAT

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની એક હોટલમાંથી મળી આવતાં ચકચાર મચી છે. મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં આવેલ સિ-ગ્રીન હોટલમાંથી મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં મુંબઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો કેસ હોવાનું સામે આવ્યું છે. જો કે, હજુ પોલીસ દ્વારા આ વાતની ખરાઈ થઇ નથી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

  • દાદરા નગર હવેલીના સાંસદના મોતના સમાચાર
  • સાંસદ મોહન ડેલકરે આપઘાત કર્યો હોવાની આશંકા
  • મુંબઈની હોટલમાંથી મળ્યો મૃતદેહ

સેલવાસ: દાદરા નગર હવેલીના સાત ટર્મના સાંસદ મોહન ડેલકર મુંબઈની હોટલમાં મૃત અવસ્થામાં મળી આવ્યા છે. આ સમાચારે દાદરા નગર હવેલી પંથકમાં શોકનું મોજું પ્રસરાવ્યું છે. જો કે, તેનું મૃત્યુ ક્યાં સંજોગોમાં થયું છે, તે અંગેનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ ડેલકરે આપઘાત કર્યો હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી છે. ડેલકરના મૃતદેહ સાથે એક સ્યુસાઇડ નોટ પણ મળી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.

ETV BHARAT
મોહન ડેલકર

રાજકીય કારકિર્દી આદિવાસી નેતા તરીકે

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં મોહન ડેલકર 7 ટર્મથી સાંસદ હતાં. તે સંઘપ્રદેશના કદાવર નેતા માનવામાં આવતા હતા. તેમણે પોતાની રાજકીય કારકિર્દી આદિવાસી નેતા તરીકે શરૂ કરી હતી. મોહન ડેલકરના પિતા સનજી ભાઈ ડેલકર દાદરા નગર હવેલીના પ્રથમ સાંસદ હતા. જે બાદ મોહન ડેલકર સતત 7 ટર્મ સાંસદ બન્યા હતા. મોહન ડેલકરે સૌ પ્રથમ કોંગ્રેસ સાથે રહી લોકસભામાં સાંસદ બન્યા હતા. જે બાદ ભાજપ સાથે રહી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમણે પોતાનો પક્ષ સ્થાપી વિજય મેળવેલો જે બાદ ફરી કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા.

દાદરા નગર હવેલીના કદાવર નેતા હતા ડેલકર

વર્ષ 2008 અને 2014માં દાદરા નગર હવેલીમાં ભાજપે જીત મેળવતા ડેલકર આ બન્ને ચૂંટણીઓ કોંગ્રેસ તરફ રહી હાર્યા હતા, જ્યારે 2019ના લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી ભવ્ય વિજય મેળવ્યો હતો અને અપક્ષ સાંસદ બન્યા હતા. ડેલકરે ભૂતકાળમાં અનેક વિવાદોનો સામનો કર્યો હતો. હાલમાં પણ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા તેમને અપમાનિત કરવામાં આવતા હોવાની અને પ્રશાસક પ્રદેશમાં સતત પોતાની મનમાની કરતા હોવાની ફરિયાદો ગૃહ વિભાગ, લોકસભામાં કરી હતી. ડેલકર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હંમેશા સારા નેતા તરીકે અને દેશમાં કરેલા વિકાસ માટે માન આપતા હતા. વડાપ્રધાન મોદી પણ ડેલકરને અચૂક યાદ કરતા હતા. દાદરા નગર હવેલીના પ્રવાસ દરમિયાન વડાપ્રધાને ડેલકર સાથે ખાસ મુલાકત પણ કરી હતી.

ETV BHARAT
મોહન ડેલકર

અપક્ષ ચૂંટણી લડી ભવ્ય વિજય મેળવ્યો

વર્ષ 2020માં ડેલકરે JDUને પોતાનું સમર્થન આપી પ્રથમ વખત દાદરા નગર હવેલીમાં JDUના ઉમેદવારોને મેદાને ઉતારી જિલ્લા પંચાયત કબ્જે કરી પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો. હાલમાં મુંબઈ ખાતેથી તેમના મૃતદેહ મળી આવ્યાના સમાચાર આવતા દાદરા નગર હવેલી પંથકમાં અરેરાટી ફેલાઈ છે.

કોઈની સામે નહીં ઝૂંકનારો નેતા આત્મહત્યા કર નહીં

લોકો મોહન ડેલકરનો એક સક્ષમ અને ક્યારેય કોઈની સામે નહીં ઝૂંકનારો નેતા માનતા હતા, ત્યારે તેમના આત્મહત્યાની વાત કોઈના ગળે ઉતરતી નથી. બીજી તરફ હજુ સુધી તેના મોત અંગેની કોઈ સત્તાવાર વિગતો મળી નથી, ત્યારે સત્તાવાર વિગતો મળ્યા બાદ જ જાણકારી મળશે કે ખરેખર ડેલકરે આત્મહત્યા કરી છે કે કેમ? તેની સ્યૂસાઇડ નોટમાં શુ લખ્યું છે, તે તમામ કારણો હજુ અકબંધ છે. જેથી હાલ તેના મૃત્યુની આશંકા સેવાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.