ઔષધીયગુણોથી સમૃધ્ધ હળદરની પ્રાકૃતિક ખેતી, વર્ષે રૂપિયા 8 લાખથી વધુનું ઉત્પાદન મેળવતા ખેડૂત

author img

By

Published : Sep 23, 2021, 11:54 AM IST

Updated : Sep 23, 2021, 12:16 PM IST

ઔષધીયગુણોથી સમૃધ્ધ હળદરની પ્રાકૃતિક ખેતી થકી વર્ષે રૂ.8 લાખથી વધુનું ઉત્પાદન મેળવતા ભંડારીયા ગામના ખેડૂત

રાજકોટથી આશરે 40 કી.મી. દુર ભંડારીયા ગામના ખેડૂત વલ્લભાઇ પટેલ પોતાની 5 વિઘા જમીનમાં ઔષધીયગુણોથી સમૃધ્ધ હળદરની પ્રાકૃતિક ખેતી કરીને લીલી હળદર માર્કેટમાં વેચવાના બદલે તેનો પાવડર બનાવીને બજારમાં વેચીને વર્ષે રૂ.8 લાખથી વધુનું ઉત્પાદન મેળવે છે.

  • આયુર્વેદિક ઔષધોમાં હળદર અનેક રોગમાં ગુણકારી હોવાનું માનવામાં આવે છે
  • હળદર ઉગતા 8 મહિના જેટલો સમય લાગે અને તેને ટપક પધ્ધતિથી પાણી આપી ઉગાડવી પડે છે
  • પ્રમાણપત્ર પણ પ્રમાણીત લેબોરેટરી મારફત મેળવે છે

રાજકોટ: આયુર્વેદિક ઔષધોમાં હળદર અનેક રોગમાં ગુણકારી હોવાનું માનવામાં આવે છે. શરદી, કફ ઉપરાંત ચામડીના રોગમાં રાહત આપતી હળદર કોરોના સમયમાં ઉકાળામાં ખુબ ઉપયોગમાં લેવામાં આવી હતી. રસોઈમાં મોટે ભાગે વપરાતા મસાલામાં હળદર રસોઈને સ્વાદિષ્ટ અને રંગ આપવામાં મદદરૂપ બને છે. રાજકોટથી આશરે 40 કી.મી. દુર ભંડારીયાના ખેડૂત વલ્લભાઇ પટેલ જણાવે છે કે, જયારે પ્રાકૃતિક ખેતી વિષે જાણ્યું ત્યારે ઓર્ગેનિક હળદરના ઉત્પાદનનો વિચાર આવ્યો હતો. સામાન્ય રીતે બજારમાં મળતી હળદર રાસાયણિક ખાતર દ્વારા તૈયાર થતી હોઈ છે, લોકોને સ્વાસ્થ્યમાં વધુ ગુણકારી અને સસ્તી કિંમતે ચોખ્ખો માલ મળી રહે તે માટે ઓર્ગેનિક હળદરના ઉત્પાદનનું અભિયાન શરૂ કર્યું.

ઔષધીયગુણોથી સમૃધ્ધ હળદરની પ્રાકૃતિક ખેતી થકી વર્ષે રૂ.8 લાખથી વધુનું ઉત્પાદન મેળવતા ભંડારીયા ગામના ખેડૂત
ઔષધીયગુણોથી સમૃધ્ધ હળદરની પ્રાકૃતિક ખેતી થકી વર્ષે રૂ.8 લાખથી વધુનું ઉત્પાદન મેળવતા ભંડારીયા ગામના ખેડૂત

આ પણ વાંચો : મને ટ્રેન ચલાવતા જોઈને પેસેન્જર પણ થાય છે ખૂબ જ ખુશ: મહિલા ટ્રેન પાયલોટ

પાંચ વીઘામાં હળદરની પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ

પ્રાકૃતિક પધ્ધતિથી હળદરની ખેતી અંગેની સફર અંગે વલ્લભભાઇ વધુમાં જણાવે છે કે, મેં આજથી પાંચ વર્ષ પહેલા પાંચ વીઘામાં હળદરની પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કર્યો. હળદરની વાવણી માટે ખાસ પાળા ઉભા કરવા સુરતથી ટ્રેકટર અને ચાસ પાડવાના સાધન સામગ્રી મંગાવી ઢોળાવ ઉભા કરી તેમાં હળદરની ગાંઠો જે બિયારણ કહેવાય તેનું વાવેતર કર્યું. હળદર ઉગતા 8 મહિના જેટલો સમય લાગે અને તેને ટપક પધ્ધતિથી પાણી આપી ઉગાડવી પડે. તેઓ વધુમાં જણાવે છે કે એક રોપામાંથી આશરે બે કિલો જેટલી લીલી હળદરનું ઉત્પાદન મળે છે. પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત પણ જાતેજ બનાવ્યું. જેમાં ગૌમૂત્ર, છાણ, લીંબોળી, ચણાનો લોટ, વડલાના ઝાડની માટી સહીતનું મિશ્રણ પીપમાં તૈયાર કર્યું, જે જરૂરિયાત મુજબ પિયત સાથે ભેળવી દેવાનું. આશરે 8 મહીને હળદરનો પાક તૈયાર થાય ત્યારબાદ તેની લણણી કરવાની.

આ પણ વાંચો : પીએમ મોદી અમેરિકા પ્રવાસના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાના પીએમ, કમલા હેરિસ, ગ્લોબલ સીઈઓ સાથે મુલાકાત કરશે

હળદર વેચવાના બદલે તેનો પાવડર બનાવીને તેનું વેચાણ કરવું

કોઠા સુઝ ધરાવતા વલ્લભભાઈએ લીલી હળદર માર્કેટમાં વેચવાના બદલે તેનો પાવડર બનાવી મુલ્યવર્ધન સાથે વેચાણ કરવાનું પણ જોખમ લીધું. હળદરને સૂકવવા બોઇલર તેમજ ક્રશર એટલે કે ઘંટી પણ વસાવી લીધી. પેકીંગ સહીતની જવાબદારી પરિવારજનોએ ઉપાડી લીધી અને ફાર્મ પરથી જ વેચાણ શરૂ કર્યું. વલ્લભભાઈની મહેનત હળદરની માફક રંગ લાવી, આજે તેઓને અગાઉથી હળદરનું બુકીંગ કરવું પડે છે. તેઓ વર્ષે દહાડે વીઘે 40 મણ એટલે કે 5 વીઘે 200 મણ હળદરનું ઉત્પાદન કરી તેના પાવડરનું વેચાણ કરી 8 લાખથી વધુની કમાણી કરી લે છે. તેઓ દર વર્ષે હળદર સંપૂર્ણ ઓર્ગેનિક છે. તેનું પ્રમાણપત્ર પણ પ્રમાણીત લેબોરેટરી મારફત મેળવે છે. આવનારા સમયમાં તેઓ પોતાની બ્રાંડનેમ સાથે માર્કેટમાં પોતાની હળદરને આગવી ઓળખ આપવાનું આયોજન કરી રહ્યા છે.

Last Updated :Sep 23, 2021, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.