World Lion Day 2021: ગુજરાતમાં વર્ષ 1936માં નોંઘાયા હતા 287 સિંહો, હાલમાં કુલ 694 સિંહોનું છે સામ્રાજ્ય

author img

By

Published : Aug 10, 2021, 5:18 PM IST

World Lion Day 2021

આજે મંગળવારે વિશ્વ સિંહ દિવસ (World Lion Day 2021) છે. દેશમાં એકમાત્ર ગુજરાત રાજ્ય સૌથી વધુ એશિયાટીક સિંહો (Asiatic Lions) ની વિરાસત ધરાવે છે. ત્યારે પાછલા કેટલાક વર્ષોમાં સિંહોના સંવર્ધન અને જતન માટે સરકાર અને લોકોના સહયોગથી સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પ્રથમ વખત સિંહોની વસતી ગણતરી થઈ ત્યારથી 2020માં થયેલી અંતિમ ગણતરી સુધીમાં રાજ્યમાં સિંહોની સંખ્યા 400 જેટલી વધી છે.

  • રાજ્યમાં 5 વર્ષમાં સિંહોની સંખ્યામાં થયો છે ઉત્તરોત્તર વધારો
  • હાલમાં રાજ્યમાં કુલ 694 સિંહો કરી રહ્યા છે વસવાટ
  • વિશ્વ સિંહ દિવસ નિમિત્તે કરાઈ ઓનલાઈન ઉજવણી

ગાંધીનગર: ગુજરાત માટે એશિયાટીક સિંહો (Asiatic Lions) એ અનોખી ભેટ છે. છેલ્લા ઘણા વર્ષોથી સરકાર, વિવિધ સામાજિક સંસ્થાઓ અને સ્થાનિકોના સહયોગથી સિંહોના સંવર્ધન અને જતન માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે રાજ્યમાં છેલ્લા 5 વર્ષોમાં સિંહોની સંખ્યા 29 ટકા વધીને 694 પર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આજે મંગળવારે વનવિભાગ દ્વારા યોજાયેલી ઓનલાઈન ઉજવણી કાર્યક્રમમાં આગામી દિવસોમાં સિંહોના સંવર્ધન માટેની રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી.

સિંહોની સંખ્યા
સિંહોની સંખ્યા

આ પણ વાંચો: ડાલામથ્થાને સાચવવું 'ગાંડી ગીરનું ગૌરવ'

સૌરાષ્ટ્રના લોકો સાથે હળીમળી ગયા છે સિંહો

વિશ્વ સિંહ દિવસ (World Lion Day 2021) ની ઓનલાઈન ઉજવણીમાં હાજર રહેલા મુખ્યપ્રધાન રુપાણીએ રાજ્યમાં વધી રહેલી સિંહોની સંખ્યાને લઈને જણાવ્યું હતું કે, આ વૃદ્ધિ સૂચવે છે કે, સૌરાષ્ટ્રમાં માનવ વસતી સાથે સિંહોનો ઉછેર, જનજીવનમાં સ્વીકૃતિ એ હવે સામાન્ય થઈ ગઈ છે. જેનો અર્થ થાય છે કે, સિંહો સૌરાષ્ટ્રના લોકો સાથે હળીમળી ગયા છે. સિંહોના વિસ્તરણ અંગે તેમણે જણાવ્યું હતું કે, ગીરના જંગલોમાં વસતા સિંહો હવે ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર સુધી આગળ વધ્યા છે. હાલમાં રાજ્યમાં 30 હજાર કિલોમીટર વિસ્તારમાં સિંહોનું સામ્રાજ્ય જોવા મળે છે.

World Lion Day 2021
World Lion Day 2021

સિંહો માટેની સુવિધામાં થશે વધારો

મુખ્યપ્રધાન રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સિંહના આરોગ્ય જતન અને સંરક્ષણ માટે સાસણગીરમાં અદ્યતન હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, રેસ્ક્યૂ એન્ડ રેપિડ એક્શન ટીમ, ટ્રેકર્સ અને વન્યપ્રાણી મિત્રના નવો કોન્સેપ્ટ વિકસાવીને વનરાજની માવજત અને જાળવણી માટે કામગીરી કરવામાં આવી છે. સિંહોના આનુવંશિક ગુણો જાળવવા માટે સિંહ સૌરાષ્ટ્રમાં રામપરા, જૂનાગઢના સક્કરબાગ અને સાતવીરડામાં જિનપૂલ પણ શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અગાઉ સમગ્ર ભારતમાં રહેનાર સિંહ આજે માત્ર ગુજરાતમાં જ કેમ જોવા મળે છે ? જાણો કારણ...

લાયન પ્રોજેક્ટ બાબતે પણ કરાઈ ચર્ચા

લાયન પ્રોજેક્ટ અન્વયે આગામી વર્ષોમાં રેસ્ક્યૂ સેન્ટર્સ, હોસ્પિટલ્સ, લેબોરેટરી, બ્રિડીંગ સેન્ટર, સિંહો માટેના સારવાર કેન્દ્રોમાં માળખાગત સુવિધાઓ, રેડિયો કોલર અને મોર્ડન ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સિંહ સંરક્ષણ અને સંવર્ધનની કડી વધુ મજબૂત બનાવવામાં આવશે. સાસણગીર ખાતે આગામી સમયમાં સ્ટેટ ઓફ ધ આર્ટ હોસ્પિટલ અને ડીસીઝ ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.