ગાંધીનગરમાં રવિવારેે સ્પેશિયલ વેક્સિનેશન કેમ્પ યોજાશે
બાકી રહેલા વેપારીઓ માટે 25મીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો ફરજીયાત
31 જુલાઈ પહેલા વેક્સિન લેવી ફરજીયાત
ગાંધીનગર : કોરોનાની સંભવીત ત્રીજી લહેર (corona third wave) ના પગલે અત્યારથી જ વેક્સિનેશન (vaccination) ની કામગીરી સક્રિય કરવામાં આવી છે. શાકભાજીના વેપારીઓ, હોકર્સ અન્ય વેપારીઓ વગેરેને વેક્સિન લેવી જરૂરી છે. જે હેતુથી રવિવારે સ્પેશિયલ કેમ્પનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવ્યું છે. જેને જોતા ગાંધીનગરમાં પણ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન વિસ્તાર અને ગાંધીનગર જિલ્લામાં વેક્સિન કેમ્પ રવિવારેે ચાલુ રાખવામાં આવશે. જેમાં બાકી રહેલા વેપારીઓએ વેક્સિન ફરજિયાત લેવી પડશે.
કોર્પોરેશનના 5 કેન્દ્રો પર અપાશે વેક્સિન
રવિવારે વેક્સિનેશન કેમ્પ બંધ રાખવાનો આદેશ કરાયો હતો પરંતુ ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં રવિવારે વેપારીઓ માટે સ્પેશિયલ પાંચ કેન્દ્રો પર વેક્સિનેશન ચાલુ રાખવાનો નિર્ણય હાલ પૂરતો લેવામાં આવ્યો છે. આ અંગે વધુમાં માહિતી આપતા કોર્પોરેશનના હેલ્થ અધિકારી (Health officer) કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ કેમ્પ ફક્ત રવિવાર પૂરતા વેપારીઓ માટે જ ચાલુ રહેશે. જેમાં સેક્ટર 21, સેક્ટર 24, સેક્ટર 7, કુડાસણ અને વાવોલમાં ચાલુ રહેશે.
જિલ્લામાં 5000 વેપારીઓ એક જ દિવસમાં વેક્સિન લે તેવી શક્યતાઓ
ગાંધીનગર જિલ્લામાં તાલુકાઓ અને PHC સેન્ટર સેન્ટરો પર વેક્સિન આપવામાં આવશે. જેમાં તાલુકા પ્રમાણે જોવા જઈએ તો કલોલ તાલુકામાં 4, માણસામાં 2, દહેગામમાં 2 સેન્ટરો ચાલુ રહેશે. આ ઉપરાંત PHC સેન્ટર તેમજ અન્ય કેમ્પ જુદી જુદી જગ્યાએ રાખવામાં આવશે. ગાંધીનગર ગ્રામ્ય અને તાલુકાઓમાં રવિવારે એક જ દિવસમાં પાંચ હજાર વેપારીઓને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે. જોકે મોટાભાગના વેપારીઓએ વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ પૂર્ણ કર્યો છે. બાકી રહેલા વેપારીઓને વેક્સિન આપવામાં આવશે.