તૌકતે વાવઝોડાને પગલે રાજ્ય સરકારે 500 કરોડનું વાવાઝોડા કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું

author img

By

Published : May 26, 2021, 10:11 PM IST

Updated : May 26, 2021, 10:29 PM IST

મુખ્યપ્રધાન રૂપાણી

તૌકતે વાવાઝોડા બાદ કેન્દ્ર સરકારે 1,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી, જે બાદ રાજ્ય સરકારે 500 કરોડના આર્થિક સહાયની જાહેરાત કરી છે. જેમાં ઉનાળો પિયત પાકોને નુકસાન, બાગાયતી પાકોને નુકસાન તેમજ ફળ ઝાડ પડી જવાથી નુકસાની માટે 33 ટકાથી વધુ નુકસાન માટે રાજ્ય સરકાર સહાય આપશે.

  • રાજ્ય સરકારે 500 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી
  • મુખ્યપ્રધાન રૂપાણીએ 500 કરોડ રૂપિયાનું તૌકતે વાવાઝોડા કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું
  • એક અઠવાડિયામાં અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે સીધી સહાય

ગાંધીનગર : રાજ્યમાં 17 અને 18 મે ના દિવસે દરિયાકિનારાના વિસ્તારોમાં તૌકતે વાવાઝોડાએ વિનાશ સર્જ્યો હતો, ત્યારે અનેક બાગાયતી ખેતી ઉપરાંત ઉનાળુ પિયત પાક અને ફળ તથા ઝાડ પડી જવાથી ખેડૂતોને નુકસાન થયું છે. કૃષિમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાના મુદ્દે પણ બુધવારની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ મુખ્યપ્રધાન રૂપાણી ( CM rupani )ની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે તૌકતે વાવાઝોડા કૃષિ રાહત પેકેજ( cyclone agriculture relief package ) હેઠળ 500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

આંબા, નાળિયેરી, ચીકુ અને લીંબુ ના ઝાડ ઉખડી જવાથી હેકટર દીઠ 1 લાખની સહાય

મુખ્યપ્રધાન રૂપાણી( CM rupani )ની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી પાકોને નુકસાનમાં મદદરૂપ થવા માટે 500 કરોડ રૂપિયાનું તૌકતે વાવાઝોડા કૃષિ રાહત પેકેજ ( cyclone agriculture relief package ) જાહેર કર્યું છે.

  • આંબા, નાળિયેરી, ચીકુ, લીંબુ જેવા બાગાયતી પાકોના ફળઝાડ મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નુકસાન પામવાના કિસ્સામાં દીઠ વધુમાં વધુ રૂપિયા એક લાખની સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે.
  • ઝાડ ઉભા હોય પરંતુ ફળ ખરી પડ્યા હોય તેવા કિસ્સામાં વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રૂપિયા 30 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.
  • ઉનાળુ કૃષિ પાકોને નુકસાનના કિસ્સામાં મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 20 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

2 લાખ હેક્ટર વિસ્તારમાં થયું નુકસાન

મુખ્યપ્રધાન રૂપાણી( CM rupani )એ ખેડૂતોના હિતને લઈને કરવામાં આવેલા નિર્ણય બાદ જણાવ્યું હતું કે, વાવાઝોડાને વ્યાપક અસર ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એમ 5 જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લામાં પણ થઈ હતી. રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે 2 લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું હોવાનું નિવેદન પણ આપ્યું હતું.

સર્વે પૂર્ણ થયા બાદ અપાશે સહાય

કેબિનેટ બેઠક બાદ મુખ્યપ્રધાન રૂપાણી( CM rupani )એ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, સર્વેનું કામ લગભગ પૂર્ણતાને આરે છે, પરંતુ જ્યારે પણ સર્વે પૂર્ણ કરવામાં આવશે, ત્યારે ગણતરીના દિવસોમાં જ લાભાર્થીઓને બેન્ક એકાઉન્ટ મારફતે સીધા તેમના ખાતામાં સહાય ચૂકવી આપવામાં આવશે. આમ સર્વે પૂર્ણ થયાનાં સાત દિવસની અંદર જ સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવી દેવામાં આવશે.

કેન્દ્ર સરકારે જાહેર કરી છે 1000 કરોડની સહાય

19 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવાઇ નિરીક્ષણ કરવા માટે ભાવનગર પહોંચ્યા હતા અને ભાવનગર, ગીર સોમનાથ અને દીવની પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યપ્રધાન રૂપાણી( CM rupani ) અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જે બાદ 1,000 કરોડ રુપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોને બે લાખ રૂપિયાની સહાય પણ વડાપ્રધાન મોદી દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો -

Last Updated :May 26, 2021, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.