Exclusive Interview: 'જ્યાં ખેતીના પાકને થયેલા નુકસાન અંગે રજૂઆતો આવી છે ત્યાં સર્વેની સૂચના અપાઈ ગઈ છે' : રાઘવજી પટેલ

author img

By

Published : Oct 20, 2021, 6:43 PM IST

Updated : Nov 20, 2021, 11:41 AM IST

Raghvji Patel  Exclusive Interview: 546 કરોડના કૃષિ પેકેજ ઉપરાંતના અન્ય જિલ્લાના ખેડૂતોને લાભ મળશે? થઈ સ્પષ્ટતા

ગુજરાતમાં પાછોતરો વરસાદ થયો અતિવૃષ્ટિ થઇ અને ખૂબ નુકસાન થયું ખેડૂતો રાહ જોઇ રહ્યાં હતાં કે રાજ્ય સરકાર સર્વે કરે (Crop Damage Survey) અને રાહત પેકેજ જાહેર કરે. એ રાહત પેકેજ જાહેર થઇ ચૂક્યું છે. સરકારે ખેડૂતોની માગણીને ધ્યાને લઇને કુલ 546 કરોડનું રાહત પેકેજ જાહેર (546 crore relief package announced ) કર્યું છે. રાહત પેકેજ અને તેને સંલગ્ન બાબતોને લઇને ETV Bharat ગુજરાત બ્યૂરો ચીફ ભરત પંચાલે રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલ સાથે ખાસ વાતચીત કરી હતી. તો આવો નિહાળીએ Raghvji Patel Exclusive Interview

  • રાજ્યમાં સપ્ટેમ્બરમાં થયેલી અતિવૃષ્ટિને લઇને પાકને નુકસાનનો મામલો
  • નુકસાન થયેલાં પાકના સર્વે બાદ રાહતની ખેડૂતોને આશા
  • રાજ્ય સરકારે જાહેર કર્યું છે 546 કરોડનું વિશેષ રાહત પેકેજ

ગાંધીનગર-રાજ્યમાં ગત માસમાં થયેલા પાછોતરા વરસાદમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ એટલે કે અતિવૃષ્ટિ નોંધાઈ હતી. ત્યારે ખેડૂતોને મોટા નુકસાનનો સામનો કરવાનો આવ્યો છે. જેને લઇને સરકારે ખેડૂતોને કોરોનાકાળમાં પડેલા ફટકા બાદ વધુ ભાર ખમવો ન પડે તે માટે વિશેષ મદદ આપતાં કુલ 546 કરોડનું રાહત પેકેજ જાહેર (546 crore relief package announced ) કરવામાં આવ્યું છે. આ અંગે ETV Bharatની કૃષિપ્રધાન સાથેની એક્સક્લૂસિવ મુલાકાત (Raghvji Patel Exclusive Interview) શબ્દશઃ આ રહી...

રાઘવજી પટેલ સાથેની વિશેષ વાતચિત

પ્રશ્ન-1 ખાસ કરીને ગઈકાલે એક રાહત પેકેજ જાહેર કર્યું છે. એની પહેલાં ગુજરાત સરકારે એક સર્વે કર્યો હતો. કેટલું નુકસાન થયું છે અને કેટલા જિલ્લામાં નુકસાન થયું છે?

ઉત્તરઃ સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે સૌરાષ્ટ્રના લગભગ 4 જેટલા જિલ્લાઓમાં ખેડૂતોના ઊભા પાકને અને ખેતીને નુકસાન થયું હતું. ખેતીની જમીન ધોવાઈ ગઈ હતી. આ પ્રશ્ને રાજ્ય સરકારે સર્વે (Crop Damage Survey) કરાવ્યો. સર્વેના અંતે સરકારે રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને જરુરી સહાય મળી રહે તેના માટે એક પેકેજ જાહેર કર્યું છે. કૃષિ સહાય પેકેજ. લગભગ 546 કરોડ રુપિયાના આ પેકેજમાં હેક્ટરદીઠ 13,000 રુપિયાની સહાય અને 2 હેક્ટરની મર્યાદામાં દરેક ખેડૂતને આ યોજનાનો લાભ મળશે. આ પેકેજમાં જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ એમ 4 જિલ્લાના લગભગ 682 જેટલા ગામડાંના ખેડૂતોને આ યોજનાનો લાભ આ પેકેજમાં મળે એવી રીતે સરકારે નક્કી કર્યું છે.

પ્રશ્ન- સાહેબ, આ 4 જિલ્લાનું પેકેજ જાહેર કર્યું છે.આ 4 સિવાયના બીજા જિલ્લાઓના જે ખેડૂતો છે તેમનો પણ વિરોધ આજે જોવા મળી રહ્યો છે...

ઉત્તરઃ સપ્ટેમ્બર મહિનાની આ અતિવૃષ્ટિ પછી પણ, રાજ્યના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો. સતત વરસાદ વરસવાથી ખેડૂતોના ઊભા પાક, જેવા કે મગફળી, કઠોળના પાકો, કપાસ એને વ્યાપક નુકસાન થવાના અહેવાલો અમને મળ્યાં હતાં. જુદા જુદા આગેવાનો, ધારાસભ્યો, સાંસદો અને ખેડૂત આગેવાનો તરફથી પણ અમને આ બાબતે રજૂઆતો મળી છે. એ રજૂઆતોના અનુસંધાને અમે ખેતીવાડી અધિકારીઓને જ્યાં જ્યાંથી રજૂઆતો આવી છે એ તમામ વિસ્તારોમાં આ ખેતીના પાકને થયેલા નુકસાન અંગે સર્વે (Crop Damage Survey) કરવાની સૂચના આપી છે. એના અહેવાલો આવ્યાં પછી આગળની કાર્યવાહી હાથ ધરીશું.

પ્રશ્ન- બીજી એક વાત છે કે વિપક્ષનો વિરોધ સામે આવ્યો છે. તેમણે એવું કહ્યું છે કે પહેલાં પીએમની આખી સહાય યોજના હતી પછી ગયા વર્ષે રુપાણી સરકાર હતી એમણે સીએમ કિસાન સહાય યોજના જાહેર કરી હતી. આ વખતે જ્યારે નવી સરકાર આવી છે ત્યારે આખું નવું જ પેકેજ લઇને આવી છે. તો એ અંગે આપ શું કહેશો..?

ઉત્તરઃ - પહેલી વાત તો એ છે કે પીએમ સહાય યોજના હતી જ નહીં, પણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (Pradhan Mantri Fasal Vima Yojana) હતી. ઘણાં વર્ષો સુધી રાજ્ય સરકારે ખેડૂતો વતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં પ્રીમિયમ ભર્યું. દર વર્ષે લગભગ 2500 કરોડથી 3000 કરોડ રુપિયાનું પ્રીમિયમ ભર્યાં પછી રાજ્યના ખેડૂતોને વીમા યોજનાનો લાભ નહિવત મળતો હતો. ખેડૂતોની પણ રજૂઆત હતી. એટલે રાજ્ય સરકારે છેલ્લાં 2 વર્ષથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું પ્રીમિયમ ભરવાનું બંધ કર્યું છે અને એના વિકલ્પમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના દાખલ કરી છે અને મુખ્યમંત્રી કિસાન સહાય અન્વયે અથવા તો કિસાન પેકેજ સહાય યોજના અન્વયે રાજ્ય સરકાર જરુર પડ્યે, ખેડૂતોને જ્યારે તેના પાકનું નુકસાન થયું હોય, કુદરતી આપત્તિ હોય આવા વખતે આવી યોજનાઓ મારફત રાજ્યના ખેડૂતોને આ સરકાર મદદરુપ થાય છે.

પ્રશ્ન- સાહેબ 4 જિલ્લા સિવાયના જે બીજા સર્વેની આપે જ વાત કરી છે, તો એ જે ખેડૂતો છે જે વિરોધ કરી રહ્યાં છે એમને પણ આ સહાયનો લાભ ભવિષ્યમાં મળશે ખરો ?

ઉત્તરઃ અમારા પ્રવક્તા અને રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ આજે પત્રકાર પરિષદમાં બહુ સ્પષ્ટપણે એમ કહ્યું છે કે અત્યારે સર્વેનું (Crop Damage Survey) કામ ચાલી રહ્યું છે અને સર્વે પછી એમ લાગશે કે ખરેખર ખેડૂતોને નુકસાન જ થયું છે એવો અહેવાલ આવશે તો પછી રાજ્ય સરકાર ઉદાર મને ખેડૂતોને મદદ કરવાનું વિચારશે.

જી, આપે ETV Bharat સાથે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે કૃષિ સહાય પેકેજ અંગે તમામ સ્પષ્ટતાઓ કરી અને રાજ્યના ખેડૂતોને આશ્વાસન પણ આપ્યું છે કે સર્વેની કામગીરી હાથ ધરાઈ જશે પછી તમામને સહાય મળશે.

ભરત પંચાલ, બ્યૂરો ચીફ

આ પણ વાંચોઃ ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં હાર્દિક પટેલ

આ પણ વાંચોઃ ગુજરાતના ખેડૂતો આનંદો: કૃષિ સહાય પેકેજમાં પ્રતિ હેક્ટર રૂપિયા 13,000 સહાય ચૂકવાશે

Last Updated :Nov 20, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.