પ્રધાનપદ ગુમાવ્યા બાદ ધારાસભ્યોએ કઈ રીતે ઉજવ્યો વડાપ્રધાન મોદીનો જન્મદિવસ?

author img

By

Published : Sep 17, 2021, 7:18 PM IST

પ્રધાનપદ ગુમાવ્યા બાદ ધારાસભ્યોએ કઈ રીતે ઉજવ્યો વડાપ્રધાન મોદીનો જન્મદિવસ?

તાજેતરમાં જ ગુજરાત ભાજપ દ્વારા 'નો રિપીટ થિયરી' અંતર્ગત જૂના તમામ પ્રધાનોને પડતા મૂકીને નવા પ્રધાનમંડળની જાહેરાત કરી છે. ત્યારે પ્રધાનપદ ગુમાવ્યા બાદ મોટાભાગના પૂર્વ પ્રધાનોમાં નિરાશા વ્યાપી ગઈ છે. નિરાશા હોવા છતા હાઈ કમાન્ડના આદેશાનુસાર મોટાભાગના પૂર્વ પ્રધાનોએ આજે શુક્રવારે વડાપ્રધાન મોદીના જન્મદિવસના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તો પૂર્વ પ્રધાનો પૈકી કેટલાક પૂર્વ પ્રધાનોએ કઈ રીતે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવ્યો, વાંચો આ અહેવાલમાં...

  • પ્રધાનપદ ગુમાવ્યા બાદ નારાજ ધારાસભ્યોને કાર્યક્રમોમાં હાજર રહેવા આદેશ
  • ભાજપના ધારાસભ્યો વડાપ્રધાન મોદીના જન્મદિવસના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
  • અંદરથી દુ:ખી હોવા છતા હસતા મોઢે કાર્યક્રમમાં હાજર જોવા મળ્યા પૂર્વ પ્રધાનો

ન્યૂઝ ડેસ્ક: તાજેતરમાં રાજ્યના મુખ્યપ્રધાન બદલાયા બાદની ઉથલપાથલે રાજકીય ગરમાવો ઉભો કર્યો છે. ત્યારે ભાજપની 'નો રિપીટ થિયરી'થી પ્રધાનપદ ગુમાવી ચૂકેલા મોટાભાગના પ્રધાનો નિરાશ છે. જોકે, હાઈ કમાન્ડના આદેશ અનુસાર, મોટાભાગના પૂર્વપ્રધાનો આજે શુક્રવારે વડાપ્રધાન મોદીના જન્મદિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કેટલાકે હતાશ કાર્યકરોનું મનોબળ વધાર્યું હતું, તો કેટલાકે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ આયોજિત 'ગરીબોની બેલી સરકાર' કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

નવા પ્રધાનોને અમારા અનુભવથી જરૂર પડે માર્ગદર્શન આપીશું: સૌરભ પટેલ

બોટાદના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન સૌરભ પટેલ આજે શુક્રવારે બોટાદની મુલાકાતે હતા. જ્યાં તેમણે જિલ્લાના કાર્યકરો અને આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને કાર્યકરોને ચિંતા નહિ કરવા અને ઉત્સાહ સાથે કામ કરવાની કરી હાંકલ કરી હતી. સૌરભ પટેલે જણાવ્યું હતું કે," હું બોટાદનો પ્રધાન છું અને બોટાદમાં મને પૂછ્યા વગર કંઈ થાય નહિ. સરકારના નવા પ્રધાનોને જરૂર પડશે અમારા અનુભવથી જ્યાં જરૂર પડશે માર્ગદર્શન આપશું".

જયદ્રથ સિંહ પરમારે "ગરીબોની બેલી સરકાર" કાર્યક્રમમાં લીધો ભાગ

આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના પૂર્વ પ્રધાન જયદ્રથસિંહ પરમાર દ્વારા હાલોલ નગર પાલિકા હોલ ખાતે ગુજરાત સરકારના "ગરીબોની બેલી સરકાર" કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી યોજનાના લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી, મેડિકલ સેલ પંચમહાલ, ભારતીય જનતા પાર્ટી હાલોલ નગર પાલિકા દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે ભાગ લીધો હતો.

પૂર્વ કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે રાંધણ ગેસની કિટનું વિતરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજકોટમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, જે પૈકી રાંધણ ગેસ, અનાજની કિટ વિતરણ અને સરપંચોના સન્માનના કાર્યક્રમમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમામ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. જોકે, કેબિનેટ પ્રધાન તરીકેનું પદ ગુમાવ્યા બાદ બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારનો આ પહેલો જાહેર કાર્યક્રમ હતો.

ગણપત વસાવાએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મો જન્મદિવસની સુરત જિલ્લામાં અનોખી રીતે ઉજવણી થઈ હતી. ત્યારે સરકારમાંથી પડતા મુકાયેલા પૂર્વ વન, પ્રવાસન પ્રધાન અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાએ માંગરોળના ઝંખવાવ ખાતે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને ઉજવણી કરી હતી અને દર્દીઓ વહેલા સાજા થાય તે માટે આશ્વાસન આપ્યું હતું. કાર્યક્રમમાં તેમની સાથે સ્થાનિક ભાજપ આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.

વાસણ આહિરે કર્યું ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન

વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં યોજાયેલા વિવિધ 17 કાર્યક્રમો પૈકી અંજાર ખાતે “ગરીબોના બેલી" કાર્યક્રમમાં પૂર્વ પ્રધાન વાસણ આહિર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અંજાર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં PM-CARES અંતર્ગત પ્રતિસ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.