દમણગંગા નદીમાં CETP પ્લાન્ટમાંથી પ્રદૂષણયુક્ત પાણી છોડાયું, GPCBએ તપાસ આરંભી

author img

By

Published : Sep 13, 2021, 7:45 PM IST

Updated : Sep 13, 2021, 10:02 PM IST

દમણગંગા નદીમાં CETP પ્લાન્ટમાંથી પ્રદૂષણમુક્ત પાણી છોડાયું, GPCBએ તપાસ આરંભીદમણગંગા નદીમાં CETP પ્લાન્ટમાંથી પ્રદૂષણમુક્ત પાણી છોડાયું, GPCBએ તપાસ આરંભી

વાપીના CETP પ્લાન્ટમાંથી વરસાદી પાણીની આડમાં ઉદ્યોગોનું ફિલ્ટર કર્યા વગરનું કેમિકલયુક્ત પાણી દમણગંગા નદીમાં છોડી દેવાયું હોવાની ફરિયાદ સ્થાનિક ચંડોર ગામના સરપંચે અને ગામલોકોએ GPCBને કરતા GPCBની ટીમે CETP અને તેના આઉટફ્લો એવા દમણગંગા નદીના પટમાંથી પાણીના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • વાપીમાં CETP એ છોડ્યું કેમિકલયુક્ત પાણી
  • દમણગંગા નદીમાં પાણી છોડતા GPCBએ તપાસ હાથ ધરી
  • ગામલોકોમાં કેમિકલયુક્ત પાણીને લઈને આક્રોશ
  • વરસાદી પાણીનો લાભ લઇ કેમિકલયુક્ત પાણી છોડ્યું

વાપી: 10 કરોડના ઉઘરાણા પ્રકરણ બાદ ધણીધોરી વગરના બનેલા CETP પ્લાન્ટમાંથી દમણગંગા નદીમાં કેમિકલયુક્ત પાણી છોડી દેવામાં આવતું હોવાની ફરિયાદ GPCBને મળતા GPCBની ટીમે સોમવારે CETP અને દમણગંગા નદીના પાણીના સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, કેમિકલયુક્ત પાણી નદીમાં છોડી દેવાના કારણે આસપાસના ગામલોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

ગણેશ વિસર્જન કરતી વખતે આવ્યું ધ્યાને

રવિવારે દમણગંગા નદીમાં ચંડોર ગામ અને વાપીના ગણેશ ભક્તો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા ગયા હતાં. ત્યારે, નદીમાં મોટાપાયે કલરવાળું પાણી જોવા મળ્યું હતું. જે અંગે તપાસ કરતા આ પાણી વાપીના ઉદ્યોગો માટે બનાવેલ CETPના નાળામાંથી આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ પાણી CETPમાં ફિલ્ટર કર્યા વિના જ ઉદ્યોગોમાંથી આવેલું કેમિકલયુક્ત પાણી હતું. જેને બારોબર વરસાદી પાણીની આડમાં નદીમાં છોડવામાં આવ્યું હતું.

દમણગંગા નદીમાં CETP પ્લાન્ટમાંથી પ્રદૂષણમુક્ત પાણી છોડાયું, GPCBએ તપાસ આરંભી

ચંડોર ગામના સરપંચ રણજિત પટેલે GPCBમાં ટેલિફોનિક જાણ કરી હતી

કેમિકલયુક્ત ફિલ્ટર કર્યા વગરનું પાણી દમણગંગા નદીમાં વહેતુ હોવાથી રોષે ભરાયેલા ગામલોકો અને ચંડોર ગામના સરપંચ રણજિત પટેલે GPCBમાં ટેલિફોનિક જાણ કરી હતી. જે બાદ સોમવારે GPCBની એક ટીમ CETPમાં અને દમણગંગા નદીના પટમાં તપાસ અર્થે આવીને પાણીના સેમ્પલ કલેક્ટ કર્યા હતાં. GPCBના અધિકારી એચ. એમ. ગાવીત સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ એક ટીમને મોકલી તપાસ હાથ ધરી છે. તેમજ પાણીના સેમ્પલ કલેક્ટ કર્યા છે. જેનો રિપોર્ટ તૈયાર કરી તે બાદ કાર્યવાહી કરવામાં આવશે.

CETP પ્લાન્ટ
CETP પ્લાન્ટ

કલરયુક્ત ગંદુ પાણી વરસાદી પાણી સાથે દમણગંગા નદીમાં છોડી દેવાયું

જ્યારે ગામના સરપંચ રણજિત પટેલે આક્ષેપો કર્યા હતાં કે, વાપી GIDCમાં આવેલી કેમિકલ કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ અને કેમિકલયુક્ત પાણી ફિલ્ટર કરવા માટે CETPમાંં આવે છે. તે પ્લાન્ટમાંથી વરસતા વરસાદ સાથે એકાએક CETP પ્લાન્ટની દિવાલમાંથી બે જેટલા સિમેન્ટના મોટા ચાર ફુટના નાળામાંથી ફિલ્ટર કર્યા વગરનું કલરયુક્ત ગંદુ પાણી વરસાદી પાણી સાથે દમણગંગા નદીમાં ચંડોર ગામની હદમાં છોડી દેવામાં આવ્યું છે.

GPCBએ તપાસ આરંભી
GPCBએ તપાસ આરંભી

નદીમાં મોટી સંખ્યામાં માછલીઓ મરી ગઈ હતી

સરપંચ રણજિત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વાપી GIDCના વિવાદાસ્પદ CETPના પ્લાન્ટમાંથી સતત સમાંતરે ગેરકાયદે કેમિકલયુક્ત ફિલ્ટર કર્યા વગરનું પાણી છોડી દેવામાં આવે છે. જેને લઈને વર્ષોથી દમણગંગા નદીમાં કેમિકલયુક્ત પાણી વહી રહ્યું છે. જેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા પણ વરસાદનો લાભ લઇને આવું જ કેમિકલયુક્ત પાણી છોડી દેતા નદીમાં મોટી સંખ્યામાં માછલીઓ મરી ગઈ હતી. આ કેમિકલયુક્ત પાણીને કારણે ગામલોકો માટેનું પીવાનું શુદ્ધ પાણી દૂષિત થયું છે.

ઉદ્યોગોકારો અને CETPના કાર્યભારીઓ સામે GPCB પગલાં ભરશે ?

તાજેતરમાં જ વાપીના 120 જેટલા ઉદ્યોગોએ પોતાના CETP પ્લાન્ટમાં મોકલતા કેમિકલયુક્ત પાણીમાં વધારો કરવા વિસ્તરણના નામે 10 કરોડ રૂપિયા ઉઘરાવીને GPCBના અધિકારીને આપ્યા હોવાના મામલે VGELના ડાયરેક્ટરો સામે તપાસની પસ્તાળ પડી છે. ત્યારે એ પ્રકરણ શાંત પડે તે પહેલાં જ CETPના આ નવા કારસાએ લોકોમાં રોષનો દાવાનળ ભભૂકતો કર્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે, ઉદ્યોગોકારો અને CETPના કાર્યભારીઓ સામે GPCB કેવા પગલાં ભરે છે.

Last Updated :Sep 13, 2021, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.