નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ સાથેનું બેલેન્સ પ્રધાનમંડળ

author img

By

Published : Sep 16, 2021, 6:33 PM IST

નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ સાથેનું બેલેન્સ પ્રધાનમંડળ

ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 25 પ્રધાનોની ટીમે શપથગ્રહણ કરી લીધા છે. ગઈકાલનો રોષ આજે દેખાયો ન હતો, ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. ખૂબ જ શાંતિથી શપથવિધિ યોજાઈ હતી. વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિહ ચૂડાસ્મા જેવા તમામ સીનીયર પ્રધાનો હાજર હતા. અને તદન નવી ટીમે શપથ લીધા હતા. તમામ એંગલથી જોતા નવું પ્રધાનમંડળ કેટલું બેલેન્સ છે? તે વિષય પર ઈટીવી ભારતનો વિશેષ અહેવાલ…

  • સાત પાટીદાર ધારાસભ્યોનો સમાવેશ
  • બે મહિલા ધારાસભ્યોને મળ્યું પ્રધાનપદ
  • બે બ્રાહ્મણ અને સાત ઓબીસીને સ્થાન મળ્યું

અમદાવાદ : ભાજપ મોવડીમંડળે ખૂબ કવાયત પછી નવું પ્રધાનમંડળ રચ્યું છે. તમામ ક્ષેત્ર, તમામ ઝોન, તમામ જ્ઞાતિ અને શિક્ષણને ધ્યાનમાં રાખીને નવી ટીમની રચના કરી હોય તેવું પ્રથમ નજરે જણાઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ નવું પ્રધાનમંડળ બનાવ્યું છે. તમામ જિલ્લાને અને તમામ દિશાને મહત્વ આપ્યું છે. ખાસ કરીને પાટીદાર પ્રભત્વ ધરાવતા પાટીદાર પાવરને પણ ધ્યાને લીધું છે. આવું બેલેન્સ પ્રધાનમંડળ રચાયું છે.

ચાર લેઉઆ અને ત્રણ કડવા પાટીદાર
નવા પ્રધાનમંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ સાત પાટીદાર પ્રધાનો છે, જેમાં ચાર લેઉઆ પટેલ છે અને 3 કડવા પટેલ છે.


લેઉઆ પટેલ
(1) વીનુ મોરડિયા
(2) અરવિંદ રૈયાણી
(3) રાઘવજી પટેલ
(4) જીતુ વાઘાણી

કડવા પટેલ
(1) ભૂપેન્દ્ર પટેલ(સીએમ)
(2) ઋષિકેશ પટેલ
(3) બ્રિજેશ મેરજા

સૌરાષ્ટ્રમાંથી ચાર પાટીદારને સ્થાન મળ્યું
પાટીદાર નેતાઓમાં જોઈએ તો ઉત્તર ગુજરાતમાંથી એક, સાઉથ ગુજરાતમાંથી એક, મધ્ય ગુજરાતમાંથી એક અને સૌરાષ્ટ્રમાંથી ચાર પાટીદાર નેતાને નવી કેબિનટમાં સ્થાન મળ્યું છે. પાટીદાર વોટ માટે ખૂબ જ મહત્વના હોવાથી ચારે દિશાને પ્રાધાન્ય આપ્યું છે, જેથી તેમની જવાબદારી થશે કે વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોને તેમના તરફ ખેંચી લાવવા, તેમજ કડવા અને લેઉઆ પાટીદારોને એક કરીને ભાજપ તરફી રહે તે માટે પ્રચાર પ્રસાર કરવો પડશે.

તમામ જ્ઞાતિઓને ન્યાય આપવાનો પ્રયાસ
જ્ઞાતિવાદી સમીકરણ પર નજર કરીએ તો 7 પાટીદાર નેતા, બે બ્રાહ્મણ, બે ક્ષત્રિય, સાત ઓબીસી, ચાર આદિવાસી, એક જૈન અને બે મહિલાઓ ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની ટીમમાં સ્થાન મળ્યું છે. આમ કુલ 25 પ્રધાનોની નવી કેબિનટ બની છે. કોઈપણ ચૂંટણી હોય તેમાં જ્ઞાતિવાદી સમીકરણ ખૂબ જ કામ કરે છે. નવી ટીમની રચનામાં પણ તેનું ધ્યાન રખાયું છે.

ઉત્તર ગુજરાતને ઓછુ પ્રતિનિધિત્વ
ઝોન વાઈઝ જોઈએ તો સૌરાષ્ટ્રમાંથી 7, મધ્યગુજરાતમાંથી 7, દક્ષિણ ગુજરાતમાંથી 7 અને ઉત્તર ગુજરાતમાં 3 ધારાસભ્યોને નવી ટીમમાં સ્થાન અપાયું છે. હા એક વાત છે કે નવી ટીમમાં ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ ઓછું છે. પણ ઉત્તર ગુજરાતને ભાજપનો ગઢ ગણાય છે. હવે આ તમામના શીરે ઝોન વાઈઝ બેઠકો જીતવાની જવાબદારી આવશે.

નવી કેબિનેટ કેટલી શિક્ષિત?
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની કેબિનટમાં 10 પ્રધાનોએ શપથ લીધા છે. જેમાં 4 ધારાસભ્યો એલએલબી, 3 ધારાસભ્યો ધોરણ-10 પાસ, 2 ધારાસભ્યો કોમર્સ ગ્રેજ્યુએટ અને એક ડિપ્લોમાં સિવિલ એન્જિનિયર છે. તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખૂદ ડિપ્લોમાં સિવિલ એન્જિનિયર છે.

બે મહિલાઓ પ્રધાન બની
વિજય રૂપાણીના પ્રધાનમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય વિભાવરીબહેન દવે હતા, જ્યારે ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં બે મહિલાઓને સમાવાઈ છે, જેમાં મનિષા વકીલ(વડોદરા) અને નિમિષા સુથાર(મોરવાહડફ) છે.


નવી ટીમને મોકો મળ્યો છે
રૂપાણીની ટીમમાં સીનીયર પ્રધાનો હતા, તેઓ ખૂબ અનુભવી હતા, અને તેમને રાજકારણથી માંડીને વહીવટનો મોટો અનુભવ હતો. તેમા બહુમતી ધારાસભ્યો કોઈને કોઈ રીતે વર્ષોથી રાજકારણમાં હતા, અને કેશુભાઈની સરકારથી માંડીને નરેન્દ્ર મોદી સાથે પણ કામ કર્યું છે, તેવા નેતાઓ હતા. પણ હવે ગુજરાતમાં ભાજપે મેકઓવર કર્યુ છે. તદન નવા જ સીએમ અને નવા જ પ્રધાનો, કે જેમને કોઈ જ અનુભવ નથી, પણ હવે તેઓએ શપથગ્રહણ કર્યા છે, અને પ્રધાન પણ બની ગયા છે. નવી ટીમને મોકો મળ્યો છે, માટે તેઓ હવે દિલથી કામ કરશે. .


ભરત પંચાલ બ્યૂરો ચીફ, ઈ ટીવી ભારત ગુજરાત

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.