કેદારનાથમાં 400 કરોડના કાર્યોના ઉદ્ઘાટન બાદ બોલ્યા PM મોદી: ઈશ્વરની કૃપાથી થયો આ વિકાસ

author img

By

Published : Nov 5, 2021, 11:22 AM IST

PM Narendra Modi in Kedarnath

કેદારનાથ ખાતે 400 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે સૌ આદિ શંકરાચાર્યજીની સમાધિની પુનર્સ્થાપનાના સાક્ષી બની રહ્યા છો. આ ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિ અને વ્યાપકતાનું અલૌકિક દ્રશ્ય છે.

  • વડાપ્રધાન મોદી કેદારનાથ ધામના પ્રવાસે
  • આદિ શંકરાચાર્યની પ્રતિમાનું કર્યું અનાવરણ
  • ઉત્તરાખંડ સરકારને વિકાસ માટે પાઠવ્યા અભિનંદન

ન્યૂઝ ડેસ્ક: કેદારનાથ, વડાપ્રધાન મોદી ભારે સુરક્ષા વચ્ચે કેદારનાથ ધામમાં ઉપસ્થિત છે. તેઓ ત્યાં વિકાસકાર્યોને લઈને જનસભાને સંબોધિત કરી રહ્યા છે. પોતાના સંબોધનની શરૂઆત વડાપ્રધાને 'જય બાબા કેદાર' સાથે કરી હતી.

આદિ શંકરાચાર્યએ બધું જ ત્યાગીને સશક્ત પરંપરા ઉભી કરી હતી : વડાપ્રધાન મોદી

કેદારનાથમાં વડાપ્રધાને કહ્યું કે, આદિ શંકરાચાર્યએ પવિત્ર મઠોની સ્થાપના કરી, ચાર ધામોની સ્થાપના કરી, 12 જ્યોતિર્લિંગોના પુનર્જાગરણનું કાર્ય કર્યું હતું. આદિ શંકરાચાર્યએ તમામ વસ્તુઓ ત્યાગીને દેશ, સમાજ અને માનવતા માટે જીવવાવાળા લોકો માટે એક સશક્ત પરંપરા ઉભી કરી હતી.

વડાપ્રધાને જણાવ્યો 'શંકર'નો અર્થ

કેદારનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શંકરનો સંસ્કૃતમાં અર્થ છે - 'શં કરોતિ સ: શંકર:', અર્થાત જે કલ્યાણ કરે એ શંકર છે. આ પરિભાષાને પણ આચાર્ય શંકરે પ્રત્યક્ષ પ્રમાણિત કરી હતી. તેમનું સંપૂર્ણ જીવન જેટલું અસાધારણ હતું, તેટલા જ તેઓ જન-સાધારણના કલ્યાણ માટે સમર્પિત હતા.

ઈશ્વરની કૃપાથી થયું કેદારનાથનું વિકાસ કાર્ય: મોદી

કેદારનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેદારનાથ જળપ્રલયની તબાહી બાદ ફરીથી ઉભું થયું. આ વિકાસ કાર્ય ઈશ્વરની કૃપાથી થયું છે. વર્ષો પહેલા અહીં જે નુક્સાન થયું છે. તે અકલ્પનીય હતું. જે લોકો અહીં આવે છે એ વિચારે છે કે, શું આપણું આ કેદારધામ ફરીથી ઉભું થઈ શકશે? પરંતુ મારા અંદરનો અવાજ મને કહી રહ્યો હતો કે પહેલાથી અધિક શાન સાથે ઉભું થશે.

કેદારનાથમાં પુનર્નિમાણ માટે વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડ સરકારને પાઠવ્યા ધન્યવાદ

વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, આ આદિ ભૂમિ પર શાશ્વતની સાથે સાથે આધુનિકતાનો મેળ અને વિકાસના આ કામ ભગવાન શંકરની સહજ કૃપાનું જ પરિણામ છે. હું આ પુનીત પ્રયાસો માટે ઉત્તરાખંડ સરકારનો, મુખ્યપ્રધાન ધામીનો અને આ કામોની જવાબદારી ઉપાડનારા તમામ લોકોનો આભારી છું અને તમામનો ધન્યવાદ પાઠવું છું.

કેદારનાથના કણ-કણથી જોડાયેલો છું - PM મોદી

કેદારનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બાબા કેદારનાથની શરણમાં જ્યારે પણ આવું છું, ત્યારે અહીંના કણ-કણ સાથે જોડાઈ જાઉં છું. અહીંનું વાતાવરણ અલગ જ અનુભૂતિમાં લઈ જાય છે. જેને વર્ણવી શકાય તેમ નથી. કાલે સૈનિકો સાથે દિવાળી ઉજવી, આજે સૈનિકોની જન્મભૂમિ પર છું. તેમણે વધુમાં કહ્યું કે, તમે સૌ આદિ શંકરાચાર્યજીની સમાધિની પુનર્સ્થાપનાના સાક્ષી બની રહ્યા છો. આ ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિ અને વ્યાપકતાનું અલૌકિક દ્રશ્ય છે.

પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન મોદીએ કેદારનાથમાં 130 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે 400 કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. આ દરમિયાન ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન તિરથસિંહ રાવત અને હાલના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.