ગુજરાત વિરોધીઓના આવનારી વિધાનસભા ચૂંટણીમાં થશે સૂપડા સાફ: PM નરેન્દ્ર મોદી

author img

By

Published : Nov 6, 2022, 6:45 PM IST

Updated : Nov 6, 2022, 7:59 PM IST

ગુજરાત વિરોધીઓના આવનારી વિધાનસભા ચૂંટણીમાં થશે સૂપડા સાફ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) જાહેર થયા બાદ પીએમ મોદીએ આજે વલસાડ જિલ્લાથી ચૂંટણી પ્રચારના (election campaign) શ્રીગણેશ કર્યા છે. યોજાયેલી સભા દરમિયાન વિરોધીઓ પર વરસ્યા હતા. જનતાને રેકોર્ડ બ્રેકથી ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી.

નાના પોંઢા (વલસાડ): ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) જાહેર થતાં થતાં PM મોદીએ સંભાળી પ્રચારની કમાન (election campaign) સંભાળી છે. તેઓ વલસાડમાં ખુલ્લી જીપમાં સવાર થઈને લોકો વચ્ચે નીકળ્યા હતા. પ્રધાનમંત્રી મોદીનો (PM Narendra modi) વલસાડમાં ભવ્ય રોડ-શો યોજાયો હતો. ખુલ્લી જીપમાંથી પ્રધાનમંત્રી મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવો નારો આપ્યો છે. પ્રધાનમંત્રીએ ગુજરાતની જનતાને કહ્યું કે, ગર્વથી કહો આ ગુજરાત મેં બનાવ્યું છે...(I have made this Gujarat) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલસાડના કપરાડામાં સભાને સંબોધી હતી.ા

PM નરેન્દ્ર મોદી

વિરોધીઓ પર વરસ્યા: જેમાં તેમણે ચૂંટણી લક્ષી નવો નારો આપ્યો હતો. તેમણે સંબોધન દરમિયાન ‘આ ગુજરાત મેં બનાવ્યું છે...’ એવો નારો આપ્યો. 25 મિનિટના સંબોધન દરમિયાન તેમણે વારંવાર આ વાક્યનો પ્રયોગ કર્યો હતો. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાષણમાં વિરોધીઓને આડે હાથે લીધા હતા. તેમને કહ્યું કે જે લોકોએ ગુજરાતની છબી બગાડવાનો પ્રયાસ કર્યો છે, જે લોકોએ ગુજરાતનું અપમાન કર્યું છે તે લોકોના આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સૂપડા સાફ થઇ જવાના છે.

રેકોર્ડબ્રેક જીત માટે અપીલ: સંબોધનમાં તેમને જણાવ્યું હતું કે દિલ્હીમાં બેસીને મને માહિતી મળી છે કે આ વખતે ભાજપ રેકોર્ડ બ્રેક સાથે વિધાનસભાની ચૂંટણી જીતી રહ્યું છે પરંતુ આ વખતે હું જુના બધા રેકોર્ડ તોડવા માટે આવ્યો છું. મે ગુજરાત ભાજપને કહ્યું છે કે જેટલો વધુ સમય મળે તેટલો વધુ સમય પ્રચાર માટે આપવા તૈયાર છું.પીએમ મોદીએ કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસ અવિરત ચાલી રહ્યો છે. ચૂંટણી જાહેર થયા પછી પ્રથમ કાર્યક્રમ આદિવાસી વિસ્તારમાં રાખ્યો છે તેનો મને ગર્વ છે. પ્રત્યેક ગુજરાતીના હૈયામાંથી નાદ નિકળે છે આ ગુજરાત મે બનાવ્યું છે. આ ચૂંટણી ના ભૂપેન્દ્ર લડે છે ના નરેન્દ્ર લડે છે આ ચૂંટણી તો મારા ગુજરાતના લોકો લડે છે.

વનબંધુ વિશ્વબંધુ બની ગયા: પીએમ મોદીએ આદિવાસી લોકો માટે વાત કરતાં કહ્યું કે મારી ABCDની શરૂઆત થાય છે. A ફોર આદિવાસીથી. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં અમે દીકરીઓને ભણાવવાનું બીડું ઉઠાવ્યું છે. ભાજપ અને PM મોદી પર તમારો વિશ્વાસ અતૂટ છે. આદિવાસી વિકાસ માટે અનેક પગલાં લીધા છે. વનબંધુ વિશ્વબંધુ બની ગયા છે.

શિક્ષણ માટે સાયન્સ સ્કૂલો અને કોલેજો બનાવાઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની પહેલી સભામાં શિક્ષણ અંગે વાત કરતા જણાવ્યું કે, આદિવાસી પટ્ટામાં અગાઉ ધોરણ એક થી પાંચ સુધી જ દીકરીઓ અભ્યાસ કરતી હતી જો કે તેમની ગુજરાત સરકાર બનતા જ તેમણે દરેક પિતા પાસે પોતાની દીકરીના શિક્ષણ માટે ત્રણ લેવડાવ્યા હતા. આજે આ તમામ ગુજરાતની દીકરીઓ નામ રોશન કરી રહી હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં તેમણે અત્યાર સુધીમાં અનેક વૈજ્ઞાન ફૂલો અને કોલેજનું નિર્માણ કર્યું છે જેના થકી શિક્ષણનો વિકાસ દર વધી ગયો છે.

આરોગ્ય લક્ષી સુવિધા ઉપલબ્ધ થઈ આરોગ્ય અંગે તેમણે જણાવ્યું કે, અગાઉના સમયમાં આદિવાસી પટ્ટામાં ડોક્ટરો શોધ્યા જડતા ન હતા. જોકે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતા જ આરોગ્ય લક્ષી સેવાઓ સુદ્રઢ બની ગઈ છે. વલસાડ જિલ્લામાં દૂધ સંજીવની યોજનાને લઇને 80,000 બાળકોને તેનો લાભ મળી રહ્યો છે. કુપોષણથી બાળકો મુક્ત થયા છે અને ડબલ એન્જિનની સરકાર પાંચ લાખથી વધુ રૂપિયાની સહાય ગર્ભવતી મહિલાઓને કરી રહી છે. સાથે જ અનેક જગ્યાઓ પર સરકારી હોસ્પિટલો તેમજ ડોક્ટરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

માછીમારો માટે પણ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ ગુજરાતનો સૌથી મોટા દરિયા કિનારા ઉપર અનેક ગામડાઓ ખાલી થવા જઈ રહ્યા હતા. ભાજપ સરકાર આવ્યા બાદ બંદરોનો વિકાસ કર્યો છે અને પોર્ટ ડેવલપમેન્ટ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ટુરિઝમ વિકાસ અને સિમેન્ટ ટુરીઝમ શરૂ કરવામાં આવતા માછીમારોને રોજી રોટી મળવા લાગી છે. નવા નવા ફિશિંગ હાર્બર બનાવવામાં આવ્યા છે, જેને લઇને અનેક માચી મારો જેને રોજગારની ચિંતા હતી અને તેમને રોજગાર મળવા માંડ્યો છે. આમ માછીમારો માટે પણ વિકાસની તક ઉપલબ્ધ બની છે.

પાણીની સુવિધા મળી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, પ્રાથમિક સુવિધાઓમાં સૌથી પહેલા પાણી આવે છે અને ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી ક્ષેત્રની મહિલાઓને પીવાનું પાણી મળતું ન હતું જે વરસાદ બાદ સમુદ્રમાં ચાલ્યું જતું હતું. આ પાણીને મહિલાઓના ઘર સુધી પહોંચતું કરવા માટે વિશેષ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ખાસ કરીને કપરાડાની જૂથ પાણી પુરવઠા યોજના છે જેના થકી 200 માળ ઊંચાઈ સુધી પીવાનું પાણી વિવિધ ગામો અને ફળિયા સુધી પહોંચતું થઈ ગયું છે. જેને લઇને મહિલાઓનો પણ ચહેરે આનંદની લાગણી છવાઈ છે અને અંતરથી મહિલાઓના આશીર્વાદ મળી રહ્યા છે.

આ ગુજરાત મેં બનાવ્યું છે : મોદી દરેક ગુજરાતીઓને હૈયે એક વિશ્વાસ બેઠો છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ ગુજરાતીઓ માટે અનેક પ્રાથમિક સુવિધાઓ અને વિકાસના કાર્યો ગતિશીલ છે. પ્રાથમિકતાના ધોરણે આદિવાસી વિસ્તારને પસંદ કરવામાં આવ્યો છે. તમામ યોજનાઓ આદિવાસીને મળે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરેક ગુજરાતીના હૈયે અંતર મનમાં વિશ્વાસ બેસ્યો છે અને હૈયામાંથી એક જ નાદ નીકળે છે.

વીજળીની સમસ્યાનું સમાધાન આદિવાસી વિસ્તારમાં અગાઉ વીજળી ન મળતી હોય અને વીજળીના ધાંધ્યા હતા. જેના કારણે વીજળી ક્યારે આવે અને ક્યારે જાય એનો કોઈ સમય નિશ્ચિત ન હતો. ત્યારે છ વાગે એટલે રાત્રે લોકો એક જ વાક્ય કહેતા કે છ વાગી ગયા છે પહેલા જમી લો નહીં તો અંધારું થઈ જશે. જો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ લોકોની પ્રાથમિક સુવિધાને ધ્યાને લઈ 24 કલાક વીજળી મળે તે માટે વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને લોકોને 24 કલાક વીજળી માટે તે માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

સાયકલ ઉપર ફરતા હોવાના સ્મરણ વાગોળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધરમપુર સાથેના તેના જુના સ્મરણો વાગોળ્યા હતા. તેમણે જાહેર મંચ ઉપરથી જણાવ્યું કે, ધરમપુરના સીદમ્બર ગામે પ્રચારક હતા તે સમયે તેઓ સાયકલ ઉપર રમતુભાઈ સાથે ઘનિષ્ઠ મિત્રતા ધરાવતા અને સાયકલ ઉપર અનેક ગામોમાં ફરી પ્રચાર કાર્યકર્તા હતા. સીદમ્બરની વનરાજી અને ઝરણા તેમને ખૂબ જ યાદ આવે છે અને તેમને ગમે છે. આજે પણ તેઓ આ તમામ વાતો યાદ કરીને ખૂબ ભાવુક થઈ જતા હોય છે.

કમળ ખીલવવા લોકો પાસે વચન માગ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના 26 મિનિટના કરેલા પ્રવચનમાં પ્રવચનના અંતે સમગ્ર ગુજરાતમાં આવેલી આદિવાસી પટ્ટી એટલે કે ઉમરગામથી અંબાજી સુધીની પટ્ટીમાં ભાજપનું કમળ ખીલવવા લોકો પાસે વચનો માંગ્યા હતા. ચૂંટણી આવી રહી છે ત્યારે અન્ય કોઈપણ આવે તેઓના વિવિધ વાયદાઓથી ભરમાવું ન જોઈએ અને તેમણે વધુમાં વધુ વિકાસ માટે પ્રયત્નશીલ રહેતી ભાજપ સરકારને આગળ લઈ જવા માટે લોકોને અપીલ કરી હતી.

જનમેદની ઉંમટી પડી હતી કાર્યક્રમ સ્થળ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે પાંચ વિધાનસભામાંથી અને કાર્યકરો અને મોટી સંખ્યામાંની જનમેદની ઉંમટી પડી હતી. સભા સ્થળનો સમગ્ર મંડપ જનમેદનીથી ઉપાયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સભામાં વિપક્ષ સભ્યો અને અન્ય પાર્ટી માટે નામ ન લઈ કેટલાક વાક્યો ઉચ્ચાર્યા હતા. અગાઉ લોકોને પાણીની સુવિધા આપવાના નામે માત્ર એક ટાંકી બનાવવામાં આવે તો પણ કેટલાક પક્ષો આખા ગામમાં ઢોલ પીટતા હતા. તો બીજી તરફ જો ગામની અંદર એક ડંકી બનાવવામાં આવે તો પણ પેંડાઓ વેચતા હતા એમ કહી કેટલાક પક્ષો સામે નામ લીધા વિના આક્ષેપ કર્યા હતા.

Last Updated :Nov 6, 2022, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.