'PMJAY અંતર્ગત કોવિડ-19ના પેકેજ અંગે તદ્દન અસ્પષ્ટતા પ્રવર્તે છે'

author img

By

Published : May 30, 2020, 12:00 AM IST

દેશના અનેક રાજ્યોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય -PMJAY) અંતર્ગત કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે હેલ્થ ઇન્સ્યોરન્સનું શું પેકેજ હોવું જોઇએ તે અંગેની વ્યાખ્યા હજુ સુધી નક્કી કરી નથી. આ સંજોગોમાં PMJAY હેઠળ કરાયેલા દાવાને પ્રોસેસ કરવામાં દેશભરની ખાનગી હોસ્પિટલોને મુશ્કેલીઓ પડી રહી છે.

નવી દિલ્હી, દેશના અનેક રાજ્યોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય -PMJAY) અંતર્ગત કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે હેલ્થ ઇન્સ્યોરન્સનું શું પેકેજ હોવું જોઇએ તે અંગેની વ્યાખ્યા હજુ સુધી નક્કી કરી નથી. આ સંજોગોમાં PMJAY હેઠળ કરાયેલા દાવાને પ્રોસેસ કરવામાં દેશભરની ખાનગી હોસ્પિટલોને મુશ્કેલીઓ પડી રહી છે.

કોવિડ-19ની સારવારનો શું ખર્ચ હોવો જોઇએ અને તે ખર્ચનો દાવો કરવા શું પેકેજ હોવું જોઇએ તે અંગે લોકડાઉનના બે મહિના બાદ પણ કોઇ સ્પષ્ટતા ન હોઇ અનેક રાજ્યોની ખાનગી હોસ્પટલો મુંઝવણમાં મૂકાઇ ગઇ છે. આ પ્રકારના દાવાની રકમ પરત મળશે કે નહીં તે અંગે અને સારવારના ખર્ચ અંગે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાએ તેઓની સમસ્યામાં વધારો કરી દીધો છે, જેના પરિણામ સ્વરૂપ ઘણી હોસ્પિટલોએ ફક્ત વીમાના હેતુસર કોવિડ-19ના દર્દીને શ્વસનતંત્રની સમસ્યા અથવા તો ફેઇલ કેસની કેટગરીમાં મૂકવાની શરૂઆત કરી દીધી છે.

સરકારી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર તદ્દન મફત થાય છે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં તેમ થતું નથી. મોટાભાગના રાજ્યોમાં PMJAY અંતર્ગત કોવિડ-19 માટે કોઇ નિશ્ચિત પેકેજની વ્યાખ્યા કરાઇ નથી. મોટાભાગની ખાનગી હોસ્પિટલો કોવિડ-19ના કેસની કેવી રીતે નોંધણી કરવી તે અંગે મૂંઝવણમાં મૂકાઇ ગઇ છે, અને તેથી જ દર્દીઓને શ્વસનતંત્રની બિમારી થઇ હોવાની કેટેગરીમાં મૂકવામાં આવી રહ્યા છે એમ એક ખાનગી વીમા કંપનીના એક અધિકારીએ કહ્યું હતું. વધુમાં લોકોના સારવારના ખર્ચ અંગે કાંઇ ખબર નથી. જો PMJAY અંતર્ગત કોઇ પેકેજ નિર્ધારિત કરાયું હોત તો ગરીબ લોકોને પોતાની સારવારના ખર્ચ અંગે થોડી ખબર પડી હોત એમ તે અધિકારીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કોવિડ-19ના પેકેજ અંગે તદ્દન અસ્પષ્ટતા પ્રવર્તે છે
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કોવિડ-19ના પેકેજ અંગે તદ્દન અસ્પષ્ટતા પ્રવર્તે છે

PMJAY અંતર્ગત વેન્ટિલેટરનો દૈનિક ચાર્જ રૂ. 4500 નક્કી કરાયો છે પરંતુ કોવિડ-19ના કિસ્સામાં સુરક્ષા સંબંધિત સાધનોનો વધારાનો ખર્ચ પણ ઉમેરાય છે જે અંદાજે દૈનિક રૂ. 7000-8000 સુધી પહોંચી શકે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ)ના અધિકારીના જણાવ્યા અનુસાર લોકડાઉનના બે મહિના પૂરા થવા આવ્યા છે તેમ છતાં મોટાભાગ રાજ્યો હજુ નેશનલ હેલ્થ ઓથોરિટિ (એનએચએ)તરફથી પેકેજની મંજૂરી મેળવવાની પ્રક્રિયા કરી રહ્યા છે.

જ્યારે બીજી બાજુ નેશનલ હેલ્થ ઓથોરિટિ એ બાબત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે ગુણવત્તા પણ જળવાઇ રહે અને ખર્ચની રકમ પણ કિફાયતી રહે. દૃષ્ટાંત તરીકે ઘણા રાજ્યો આરટી-પીસીઆરના ટેસ્ટનો ખર્ચ રૂ. 4500થી નીચે રાખવાનો ભાવતાલ કરી રહ્યા છે કેમ કે આ રકમ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા નિર્ધારિત કરાઇ છે.

આ અંગે પ્રતિભાવ જાણવા ફોન કરતા એનએચએ અને PMJAYના સીઇઓ ડો. ઇન્દુ ભુષણે કહ્યું હતું કે તમામ રાજ્યોને કોવિડ-19ના સારવારનો ખર્ચ નક્કી કરવા ખાનગી હોસ્પિટલો સાથે ભાવતાલ નક્કી કરવા સમજાવવામાં આવી રહ્યું છે. જો કે ડો. ભુષણે એ વાતનો પણ એકરાર કર્યો હતો કે કોવિડ-19ના સંખ્યાબંધ દર્દીઓની સારવાર સરકારી હોસ્પિટલોમાં ચાલી રહી છે, તેમ છતાં એ વાસ્તવિકતાનો પણ ઇન્કાર કરી શકાય તેમ નથી કે કોવિડ-19ના કેસોમાં પીએમજેએવાય દ્વારા અત્યાર સુધીમાં કોઇ મહત્વની ભૂમિકા ભજવાઇ નથી. જો આગામી દિવસોમાં કેસોની સંખ્યા વધશે તો જાહેર ક્ષેત્રની હોસ્પિટલો તે તમામની કાળજી લઇ શકશે નહીં, અને એવા કિસ્સામાં ખાનગી હોસ્પિટલોમાં કેસોની સંખ્યામાં ચોક્કસ વધારો નોંધાશે.

ડો. ભુષણ એ વાતે પણ સંમત થયા હતા કે દર્દીઓની સંખ્યાં ધરખમ ઘટાડો થયો હોઇ હાલ મોટા ભાગની ખાનગી હોસ્પિટલો આર્થિક ભીંસ અનુભવી રહી છે. ખાનગી હોસ્પિટલો પોતાના સ્ટાફને પગાર ચૂકવવા હાથ ઉપરની મૂડી મેળવવા પણ હાલ ભારે સંઘર્ષ કરી રહી છે, તેથી હું આશા રાખું છું કે પ્રત્યેક રાજ્ય સરકાર તેઓ સાથે યોગ્ય ભાવતાલ નક્કી કરશે એમ તેમણે ઉમેર્યું હતું.

સમાન રીતે પીએમજેએવાય અંતર્ગત સારવાર કરાવનાર દર્દીઓની સંખ્યામાં છેલ્લા બે મહિનામાં ધરખમ ઘટાડો નોંધાયો છે, કેમ કે ઓગસ્ટ-2019 થી ફેબ્રુઆરી 2020 વચ્ચે દર મહિને સરેરાશ 7.4 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થતાં હતાં પરંતુ માર્ચ-2020માં આ આંકડો 57 ટકા ઘટી જઇ 3.2 લાખ નોંધાયો હતો, અને એપ્રિલમાં તેમાં વધુ 53000નો ઘટાડો નોંધાયો હતો.

આ ઘટાડા માટે એનએચએ લોકડાઉન, આવા સંજોગોમાં સારવાર લેવા અંગે દર્દીનો પોતાનો ભય અને હાલ મોટાભાગની હોસ્પિટલોમાં ફક્ત કોવિડ-19ના દર્દીઓની જ ચાલી રહેલી સારવાર જેવા પરિબળોને જવાબદાર ગણાવે છે. જો કે કેમોથેરાપી, ડાયાલિસિસ અને ભારે જોખમી બિમારીઓના કેસોમાં ફક્ત 10-15 ટકાનો જ ઘટાડો નોંધાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.