પીળી ડોકવાળી ચકલીનો થયો શિકાર અને જન્મ થયો વિશ્વના શ્રેષ્ઠ પક્ષીવિદનો! નામ હતું ડો. સલીમ અલી
10 વર્ષના બાળકે પક્ષીની ઓળખ માટે પક્ષીવિદ મિલાર્ડની મદદ લીધી, ત્યારબાદ વિશ્વને સારા એવા પક્ષીવિદ મળવાની શરૂઆત થઈ.

Published : November 11, 2025 at 5:29 PM IST
જુનાગઢ : ઘટના છે, વર્ષ 1906ની 10 વર્ષની ઉંમરનો એક બાળક પક્ષીને જોવા માટે નાનકડી એક ચકલીનો શીકાર કરે છે. શિકાર કરેલી ચકલીની ડોક પર પીળો કલર જોવા મળતો હતો. 10 વર્ષના બાળકે પક્ષીની ઓળખ માટે પક્ષીવિદ મિલાર્ડની મદદ લીધી, ત્યારબાદ વિશ્વને સારા એવા પક્ષીવિદ મળવાની શરૂઆત થઈ.
આ ઘટના દુનિયાના સર્વોત્તમ પક્ષીવિદ સલીમ અલીના જીવન સાથે જોડાયેલી છે. વેપારી પરિવારમાં જન્મેલા અને જીવનની શરૂઆત મુંબઈથી કરનાર પક્ષીવિદ ડો. સલીમ અલી આજે પણ વિશ્વના પક્ષી વિદોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેમના જન્મદિવસે પક્ષી દિવસ મનાવવામાં આવે છે.
ચકલીનો શિકાર અને તેમાંથી મળ્યા દુનિયાના શ્રેષ્ઠ પક્ષીવિદ
12મી નવેમ્બર ભારતમાં પક્ષી દિવસ તરીકે મનાવવામાં આવે છે, આમ તો સમગ્ર વિશ્વ અને ભારતમાં અનેક પક્ષીઓ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ આજનો આ પ્રસંગ પક્ષીઓ સાથે જોડાયેલા વિશ્વના એક એવા વિરલ વ્યક્તિ સાથે જોડાવા જઈ રહ્યો છે, કે જેનો આજે જન્મદિવસ છે. ડો. સલીમ અલી ભારતના એવા પક્ષીવિદ કે જેને આજે પણ વિશ્વના સર્વ શ્રેષ્ઠ પક્ષીવિદ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1906માં માત્ર 10 વર્ષની ઉંમરે પક્ષીઓને જોવાના એક કુતુહલ ખાતર પીળા ડોકવાળી ચકલીનો શિકાર સ્વયંમ બાળક સલીમ અલીએ કર્યો ચકલીનો શિકાર અને વિશ્વના શ્રેષ્ઠ પક્ષીવિદનો જન્મ ડો. સલીમ અલીના જીવન સાથે જોડાયેલો સૌથી મહત્વનો પ્રસંગ છે.

પક્ષીઓનો ડેટા એકત્ર કરવામાં સલીમ અલીનો સિંહ ફાળો
સલીમ અલી 90 વર્ષની ઉંમર સુધી જીવ્યા, પરંતુ જીવનના પાછલા 80 વર્ષ તેમણે પક્ષીઓનો અભ્યાસ તેને જોવા અને ત્યારબાદ તેનો સંપૂર્ણ ડેટા એકત્ર કરવા પાછળ સમય અને શક્તિ ખર્ચી નાખી સલીમ અલી કોઈ પણ ઉડતા પક્ષીને જોઈ અને તે પક્ષી કયું છે, તેનું આબેહૂબ અને સચોટ વર્ણન કરી શકતા હતા, આટલી હદે સલીમ અલી પક્ષીઓને ઓળખવાની અને જાણવાની ગતિવિધિમાં ઓતપ્રોત થયા હતા.


જીવનના 80 વર્ષે સુધી ડો. સલીમ અલી ભારતના તમામ પ્રાંતોમાં ફરીને પક્ષીઓને જોવાની સાથે તેમના ફોટોગ્રાફ્સ પણ એકત્ર કરીને પ્રત્યેક પક્ષીની નાનામાં નાની વિગતો અને જીણવટ ભર્યો અભ્યાસ કર્યા બાદ ભારતના મોટાભાગના પક્ષીઓ કે જે આજે પણ દેશમાં જોવા મળે છે, તેનો તમામ ડેટા એક માત્ર સલીમ અલીએ એકત્ર કર્યો હતો. જેથી આજે પણ ભારતના યુવાન પક્ષીવિદો સલીમ અલીના આ યોગદાનને યાદ કરી રહ્યા છે.

સલીમ અલી દ્વારા લખાયા અનેક પુસ્તકો
ભારતના જ નહીં, પરંતુ વિશ્વના શ્રેષ્ઠ પક્ષીવિદ તરીકે જેની ગણના થાય છે, તેવા ડો. સલીમ અલી દ્વારા માત્ર પક્ષીઓનો અભ્યાસ અને તેના વિગતોની એકત્રીકરણ કરવાનું કામ નહોતું કર્યું. સલીમ અલી એ પક્ષીનો ખૂબ જ જીણવટભર્યો અભ્યાસ કરીને આવનારી પેઢીઓ માટે ઉત્તમ કક્ષાના પુસ્તકો તૈયાર કરવાનું કામ પણ તેમણે કર્યું હતું. સલીમ અલી સ્વયં માનતા હતા કે, પોતાના દ્વારા જોયેલા અને અભ્યાસ કરેલા તમામ પક્ષીઓનો ડેટા આવનારી પેઢી સુધી પહોંચે તે માટે પુસ્તક ખૂબ જરૂરી હતા.

તેમના આ પુસ્તકો થકી આજે પણ અનેક યુવાનો કે જે પર્યાવરણ અને પ્રકૃતિમાં ખૂબ ઊંડો રસ ધરાવે છે, તેના માટે પક્ષી ને લગતી નાની નાની વિગતો જેનો બુકમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તે આજે કોઈ પણ ગ્રંથ કરતા જરા પણ ઓછા નથી. સલીમ અલી દ્વારા લખવામાં આવેલા પ્રથમ પુસ્તક 'ધ બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સ' અને તેના જીવનના અંતિમ બે વર્ષ પૂર્વે લખવામાં આવેલું અને પોતાના પક્ષી અભ્યાસની શરૂઆત થવાના તમામ કિસ્સાઓને સમેટીને લખેલું 'પુસ્તક ધ ફોલ ઓફ એ સ્પેરો' આજે પણ યુવાન અને આધુનિક સમયના પક્ષીવિદો માટે ગીતા સમાન માનવામાં આવે છે.

દેશની ત્રણ યુનિવર્સિટીઓએ ડોક્ટરેટની પદ્મિથી કર્યા સન્માનિત
સલીમ અલીને ભારતની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી અને આંધ્રપ્રદેશ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની માનદ પદવી આપીને તેમની પક્ષીઓ પ્રત્યેના સમર્પણને બિરદાવવામાં આવ્યું હતું. સલીમ અલી દ્વારા જે પક્ષીઓનો અભ્યાસ અને નિરીક્ષણ કર્યું છે, તે તમામ પક્ષીઓનો મોટાભાગનો ડેટા પુસ્તકોના રૂપમાં આજે પણ પક્ષી પ્રેમીઓ સુધી પહોંચી રહ્યો છે, માત્ર પક્ષી જોવાની તલાવેલી અને ત્યારબાદ 10 વર્ષની ઉંમરે એક નાની ચકલીનો શિકાર સમગ્ર વિશ્વને એક મહાન પક્ષીવિદ આપવા જઈ રહ્યો છે, તે આજે પણ એક સપના સમાન લાગી રહ્યો છે, પરંતુ આટલી જ હકીકત એ પણ છેકે એક ચકલીનો શિકાર જો 1906માં ન થયો હોત તો કદાચ વિશ્વને સર્વોત્તમ પક્ષીવિદ ડો. સલીમ અલીના રૂપમાં કદાચ ન મળ્યા હોત.

આ પણ વાંચો...

